કેન્દ્ર સરકારે 2026-27 ખરીફ સીઝન માટે ટેકાના ભાવમાં વધારાને મંજૂરી આપી- ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

આર્થિક બાબતોની કેબિનેટ સમિતી (સીસીઈએ)એ વર્ષ 2026-27ની માર્કેટિંગ સીઝન માટે 14 ખરીફ પાકોના લઘુતમ ટેકાના ભાવ (એમએસપી)માં વધારો મંજૂર કર્યો છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ નિર્ણયને આવકાર્યો છે.

કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિની વૈષ્ણવે કહ્યું કે પાક ઉગાડનારાઓને યોગ્ય વળતર મળી રહે તે માટે 14 ખરીફ પાકના ટેકાના ભાવમાં વધારો કરવામાં આવ્યો છે.

તેમણે કહ્યું કે ખરીફ સીઝનમાં ખેડૂતોને કુલ 2.40 લાખ કરોડ રૂપિયાની ચુકવણી કરવામાં આવશે. આ સીઝનમાં 824 લાખ ટનથી વધારે પાકની ખરીદી કરવામાં આવશે. સૂર્યમૂખીના બીજ માટે ટેકાના ભાવમાં પ્રતિ ક્વિન્ટલ 662 રૂપિયાનો વધારો કરવામાં આવ્યો છે. ત્યાર પછી કોટનમાં 557 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ અને તલમાં 500 રૂપિયાનો વધારો થયો છે.

ગુજરાતમાં પોલીસ આરોપીઓનું જાહેરમાં સરઘસ નહીં કાઢી શકે : ડીજીપીનો નિર્દેશ

ગુજરાતમાં કોઈ અપરાધ પછી આરોપીઓનું જાહેરમાં સરઘસ કાઢવામાં આવે તેવી ઘટનાઓ વારંવાર નોંધાઈ છે.

હવે રાજ્યના ઇન-ચાર્જ પોલીસ વડા કે.એલ.એન. રાવે પોલીસને આ રીતે આરોપીઓના જાહેરમાં સરઘસ કાઢવાની મનાઈ કરી છે. તેમણે કહ્યું કે આવી રીતે આરોપીઓને પરેડ કરાવવા એ પોલીસ કસ્ટડીમાં રહેલી વ્યક્તિઓ અંગે સુપ્રીમ કોર્ટ અને ગુજરાત હાઈકોર્ટની માર્ગદર્શિકાનો ભંગ છે.

તેમણે કહ્યું છે કે હવેથી આ નિર્દેશનું પાલન થાય તેનું મૉનિટરિંગ કરવામાં આવશે. પોલીસ હૅડક્વાર્ટર દ્વારા તેના અમલીકરણની સમીક્ષા કરવામાં આવશે.

તાજેતરમાં આરોપીઓના જાહેર સરઘસ દરમિયાન પોલીસ બંદોબસ્ત વચ્ચે પણ આરોપીઓ પર લોકોએ હુમલા કર્યા હોય તેવી ઘટનાઓ બની છે જેના કારણે આ મુદ્દો ચર્ચામાં છે.

ચોટીલા પાસે લક્ઝરી બસ અને ટૅન્કર વચ્ચે ભયાનક અકસ્માત, બસ સંપૂર્ણ સળગી ગઈ

અમદાવાદ-રાજકોટ હાઇવે પર ચોટીલાના સાંગાણી ગામ પાસે ગઈકાલે મોડી રાત્રે ભયાનક અકસ્માત થયો છે.

એક ખાનગી લક્ઝરી બસ અને ટૅન્કર વચ્ચેના આ અકસ્માતને કારણે આખી બસ સળગી ગઈ હતી.

સુરેન્દ્રનગરથી બીબીસી સહયોગી સચીન પીઠવાએ આપેલી માહિતી અનુસાર, આ અકસ્માતમાં ઓછામાં ઓછાં ચાર લોકોનાં મોત થયાં છે તથા 10 લોકો ઘાયલ થયા છે.

ઘટનાસ્થળે પોલીસ, ફાયરબ્રિગેડ તથા 108 ઍમ્બ્યુલન્સની ટીમો આવી ગઈ હતી અને રાહત-બચાવ કાર્ય કર્યું હતું.

ચોટીલાના નાયબ કલેક્ટર એચ.ટી. મકવાણાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું કે, "આજે રાત્રે દોઢ વાગ્યાની આસપાસ ફાયરનો મેજર કૉલ આવ્યો હતો. નૅશનલ હાઇવે-47 રાજકોટ-ચોટીલા હાઇવે પર સાંગાણી નજીક આ અકસ્માત બન્યો હતો."

તેમણે ઘટના કઈ રીતે બની એ અંગે માહિતી આપતા કહ્યું હતું કે, "એક ડામર ભરેલા ડમ્પરનું ટાયર અચાનક ફાટી ગયું હતું."

"રસ્તા પર પાછળ ચાલી આવતી ખાનગી બસ તેની સાથે અથડાઈ હતી અને તેના કારણે બસમાં આગ લાગી ગઈ હતી."

"આ ઘટનામાં ચાર લોકોનાં મોત થયાં છે અને 10 લોકો ઘાયલ થયા હતા."

ડોનાલ્ડ ટ્રમ્પ અને શી જિનપિંગ વચ્ચે નિર્ધારિત સમય કરતા વધુ લાંબી વાતચીત ચાલી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ચીનના રાષ્ટ્રપતિ શી જિનપિંગ વચ્ચે દ્વિપક્ષીય વાતચીત પૂરી થઈ છે. આ વાતચીત લગભગ બે કલાક ચાલી હતી, જે અગાઉથી નક્કી સમય કરતા લગભગ એક કલાક વધારે ચાલી હતી.

આજે સાંજે ડોનાલ્ડ ટ્રમ્પના સન્માનમાં આયોજિત રાજકીય ભોજન સમારોહમાં તેઓ હાજર રહેશે. બીજી તરફ તાઇવાને અમેરિકાના સમર્થન પર આભાર વ્યક્ત કર્યો છે.

તાઇવાન સરકારના પ્રવક્તા મિશેલ લીએ બેઇજિંગમાં ટ્રમ્પ-શી શિખર મંત્રણા પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે અમેરિકા દ્વારા વારંવાર તાઇવાનને સમર્થ દોહરાવવામાં આવ્યું તે બદલ અમે તેમના આભારી છીએ.

બંને મહાસત્તાઓ વચ્ચેની આ બેઠકમાં તાઇવાનનો મુદ્દો મહત્ત્વનો વિષય છે અને તાઇવાન આ મુલાકાત પર ખાસ નજર રાખે છે.

અમૂલ દૂધના ભાવમાં લિટરે બે રૂપિયાનો વધારો

ગુજરાત કૉ-ઑપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશને(GCMMF) અમૂલ બ્રાન્ડ હેઠળ વેચાતા દૂધમાં પ્રતિ લિટર બે રૂપિયાનો વધારો કર્યો છે.

આ વધારો ભારતભરમાં 14મેથી લાગુ થઈ જશે.

પ્રેસ રિલીઝમાં જીસીએમએમફે જણાવ્યું હતું કે, "તેમણે મે, 2025થી દૂધના ભાવમાં કોઈ વધારો કર્યો નથી. દૂધના ઉત્પાદન ખર્ચ અને ઑપરેશન્સમાં ખર્ચમાં વધારો થવાના કારણે આ ભાવવધારો કરવામાં આવ્યો છે."

"પશુઓનો ચારો, દૂધના પૅકેજિંગ અને ઇંધણમાં પણ ભાવવધારો થયો છે, જેના કારણે આ નિર્ણય લેવાયો છે."

ફેડરેશને એમ પણ જણાવ્યું હતું કે, "પશુપાલકોને મળતા ખરીદ મૂલ્યમાં પણ 30 રૂપિયા પ્રતિકિલો ફેટનો વધારો કરવામાં આવ્યો છે, જે મે-2025 કરતાં 3.7 ટકા વધુ છે."

"અમૂલની નીતિ રહી છે કે દરેક રૂપિયામાંથી 80 પૈસા દૂધ ઉત્પાદન કરનારા લોકોને મળે. ભાવવધારાથી તેમને પણ ફાયદો થશે અને વધુ દૂધઉત્પાદન માટે તેઓ પ્રોત્સાહિત થશે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ચીન પહોંચ્યા

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ બે દિવસની યાત્રાએ ચીન પહોંચ્યા છે.

આજે બેઇજિંગના 'ગ્રેટ હૉલ ઑફ ધ પીપલ'માં ચીનના રાષ્ટ્રપતિ જિનપિંગ સાથે તેમનો સ્વાગત સમારોહ યોજાયો હતો.

બંને નેતાઓ વચ્ચે દ્વિપક્ષીય મંત્રણા પણ યોજાશે.

ટ્રંપના પ્રતિનિધિમંડળમાં ટેસ્લાના ઇલોન મસ્ક અને એનવીડિયાના જેનસન હુઆંગ સહિત અનેક ટેક કંપનીઓના સીઇઓ સામેલ છે.

ચીનના ઉપરાષ્ટ્રપતિ હાન ઝેંગે ટ્રમ્પનું સ્વાગત કર્યું હતું. 2017ના ટ્રમ્પના ચીન પ્રવાસ વખતે નીચલા ક્રમના અધિકારીએ સ્વાગત કર્યું હતું.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન