You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
સુવેંદુ અધિકારીના પીએનાં માએ દીકરાની હત્યા બાદ કેમ કહ્યું, 'દોષીઓને ફાંસી નહીં ઉંમરકેદ મળે'
પશ્ચિમ બંગાળના નૉર્થ 24 પરગણા જિલ્લાના મધ્યમગ્રામમાં મૃત્યુ પામેલા ચંદ્રનાથ રથનાં માએ કહ્યું છે કે તેઓ નથી ઇચ્છતાં કે દોષિતોને ફાંસી થાય. તેમણે કહ્યું, "હું ઇચ્છું છું કે તેમને ઉંમરકેદ થાય."
ચંદ્રનાથ રથ પશ્ચિમ બંગાળમાં ભારતીય જનતા પાર્ટી (ભાજપ)ના નેતા સુવેંદુ અધિકારીના અંગત સહાયક (પીએ) હતા.
સુવેંદુએ તાજેતરમાં યોજાયેલી પશ્ચિમ બંગાળની વિધાનસભા ચૂંટણીમાં ભવાનીપુરથી મમતા બેનરજીને લગભગ 15 હજાર મતથી હરાવ્યાં હતાં.
ચંદ્રનાથ રથની બુધવારે ગોળી મારીને હત્યા કરી દેવાઈ હતી.
ભાજપે જ્યાં એક તરફ તેમની હત્યાને સુનિયોજિત કાવતરું ગણાવી છે, ત્યાં બીજી તરફ તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)એ હત્યાની નિંદા કરતાં કડક કાર્યવાહીની માગ કરી છે.
ચંદ્રનાથ રથનાં માએ શું કહ્યું?
પૂર્વ મેદિનીપુરના ચાંદીપુરસ્થિત પોતાના ઘરમાં મીડિયા સાથે વાત કરતા ચંદ્રનાથ રથનાં મા હાસીરાની રથે કહ્યું, "હું ઇચ્છું છું કે દોષિતોને સજા મળે. હું એક મા છું. હું નથી ઇચ્છતી કે તેમને ફાંસી મળે."
"હું ઇચ્છું છું કે તેમને ઉંમરકેદની સજા મળે. તેમણે આ બધું એટલા માટે કર્યું, કારણ કે ભાજપ સત્તામાં આવ્યો."
"અમારા પ્રદેશાધ્યક્ષ અને નેતા વારંવાર રાજ્યમાં કાયદો-વ્યવસ્થા જાળવી રાખવાની વાત કરી રહ્યા છે, પરંતુ સત્તાધારી પાર્ટીના લોકો જાતભાતની ઉશ્કેરણીજનક વાતો કરી રહ્યા હતા."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
"તેઓ કહી રહ્યા હતા કે 4 તારીખ બાદ દિલ્હીના બાપ પણ અમને નહીં બચાવી શકે, અને 4 તારીખ બાદ તેમણે એ કરી પણ બતાવ્યું."
"જો મારા દીકરાનું મોત કોઈ અકસ્માતમાં થયું હોત, તો મને આટલું દુ:ખ ન થાત. સુવેંદુબાબુએ મમતા બેનરજીને હરાવ્યાં એ સમયથી અમારા પરિવાર પર આવો ખતરો તોળાઈ રહ્યો છે."
બીબીસી સંવાદદાતા દિલનવાઝ પાશા પ્રમાણે ચંદ્રનાથ રથની હત્યા ત્યારે થઈ જ્યારે તેઓ પોતાની કારમાં સવાર થઈને ક્યાંક જઈ રહ્યા હતા. તેમની કાર પર વિધાનસભા પાસનું સ્ટિકર પણ લાગેલું હતું.
રાજ્યના ડીસીપી સિદ્ધનાથ ગુપ્તાએ સમાચાર એજન્સી એએનઆઇને કહ્યું કે ગુનામાં ઉપયોગમાં લેવાયેલી કાર અને ઘટનાસ્થળેથી એકઠા કરાયેલા પુરાવાને આધારે તપાસને આગળ વધારાઈ રહી છે.
ચંદ્રનાથ રથ કોણ હતા?
સમાચાર એજન્સી પીટીઆઈ પ્રમાણે, 41 વર્ષીય ચંદ્રનાથ રથ મૂળ પૂર્વ મેદિનીપુર જિલ્લાના ચાંદીપુરના રહેવાસી હતા.
તેઓ સુવેંદુ અધિકારીના અત્યંત નિકટના લોકો પૈકી એક હતા અને રાજ્યના રાજકારણમાં અધિકારીની પ્રગતિનું શ્રેય પણ તેમને અપાય છે.
વર્ષો સુધી અધિકારીના આંતરિક સર્કલનો ભાર રહેવા છતાં, તેઓ ઘણી હદ સુધી પડદા પાછળ જ રહ્યા.
સક્રિય રાજકીય સંગઠનાત્મક કાર્યમાં આવતા પહેલાં, રથે રામકૃષ્ણ મિશનમાંથી શિક્ષણ પૂરું કર્યું અને એ બાદ બે દાયકા સુધી ભારતીય વાયુ સૈન્યમાં રહ્યા.
પરિવારના નિકટના લોકોએ જણાવ્યું કે વિદ્યાર્થીકાળમાં તેઓ રામકૃષ્ણ મિશનની વિચારધારા સાથે ખૂબ પ્રભાવિત હતા.
વાયુ સૈન્યમાંથી સ્વૈચ્છિક સેવાનિવૃત્તિ લીધા બાદ, તેમણે થોડા સમય માટે કૉર્પોરેટ સેક્ટરમાં કામ કર્યું, એ બાદ ધીરે-ધીરે રાજકીય સમન્વય અને વહીવટી જવાબદારીઓ ભજવતા થઈ ગયા.
સુવેંદુ અધિકારીના પરિવારની માફક, તેમનો પરિવાર પણ અગાઉ તૃણમૂલ કૉંગ્રંસ સાથે જોડાયેલો હતો.
પરિવારના પરિચિતોએ જણાવ્યું કે રથ પરિવાર અને સુવેંદુ અધિકારી વચ્ચે સંબંધ બે દાયકા કરતાં પણ વધુ પુરાણો છો, આ સંબંધ પૂર્વ મેદિનીપુરમાં ટીએમસીના વિસ્તારનાં પ્રારંભિક વર્ષોથી જળવાયેલાં છે.
તેઓ ઘણી હાઇ-વોલ્ટેજ રાજકીય લડાઈઓ દરમિયાન ભાજપની કોર ટીમનો એક ભાગ પણ હતા, જેમાં ભાજપનું ભવાનીપુર અભિયાન સામેલ હતું.
ભાજપ સંગઠનના અમુક વર્ગોની અંતર એટલે સુધી પણ અટકળો જોવા મળી કે જો વિધાનસભાની ચૂંટણી બાદ સુવેંદુ અધિકારી સરકારમાં મોટી ભૂમિકા સંભાળે, તો રથને મોટી વહીવટી જવાબદારી સોંપાઈ શકાય છે.
ત્રણમૂલ કૉંગ્રેસનું શું કહેવું છે?
તેમની હત્યાથી રાજ્યમાં ફરી એક વાર પરિસ્થિતિ તણાવપૂર્ણ થઈ ગઈ છે.
સુવેંદુ અધિકારીએ આરોપ લગાવ્યો કે આ એક સુનિયોજિત હત્યા હતી અને તેમણે આના માટે ટીએમસીને જવાબદાર ઠેરવતાં તેના 15 વર્ષના શાસને મહાજંગલરાજ ગણાવ્યું.
તેમજ ટીએમસીએ ઘટનાની નિંદા કરતાં કઠોર કાર્યવાહી કરવાની માગ કરી. ટીએમસીએ ચૂંટણી બાદ થયેલી હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો અને આરોપ લગાવ્યો કે આ હિંસામાં ટીએમસીના ત્રણ કાર્યકરોનાં મોત થઈ ગયાં છે.
ભાજપના નેતા દિલીપ ઘોષે એએનઆઇને કહ્યું, "સુવેંદુના પીએ પર હુમલો થયો છે, એ ખૂબ દુખદ છે. ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી છે, પરંતુ સત્તા હજુ અમારા હાથમાં આવી નથી. ટીએમસી સરકારે પોલીસને બેકાર બનાવી દીધી છે."
"હજુ પણ પોલીસ અમારા કાર્યકરોને હેરાન કરી રહી છે. પોલીસે નિષ્પક્ષ રહીને કામ કરવું જોઈએ."
"પોલીસે આ તમામ અસામાજિક તત્ત્વો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ."
ટીએમસીનાં નેતા સયાની ઘોષે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરતાં કહ્યું, "શ્રીચંદ્રનાથ રથ વિશે સામે આવેલી ઘટના અત્યંત વિચલિત કરનારી છે. પાર્ટી લાઇનથી ઉપર ઊઠીને, રાજકારણ અને વૈચારિક મતભેદોથી અલગ અને સત્તામાં કોણ છે તેનાથી અલગ, અમારા બધાની એ જવાબદારી છે કે રાજ્યમાં કાયદો-વ્યવસ્થાની સ્થિતિ જાળવી રાખીએ અને અહીં રહેતી દરેક વ્યક્તિની સુરક્ષા સુનિશ્ચિત કરીએ."
"આવી રીતે કોઈનોય જીવ નહીં જાય. ગત અમુક દિવસોમાં થયેલી દરેક હિંસક ઘટના સાથે સંકળાયેલા તમામ દોષિતો વિરુદ્ધ કઠોર કાર્યવાહી અને પગલાં ઉઠાવવાની અપીલ પોલીસતંત્રને કરું છું."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન