You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
મમતા બેનરજીએ રાજીનામું આપવાનો ઇનકાર કર્યો, બંધારણ શું કહે છે?
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કૉંગ્રેસના પરાજય બાદ મુખ્ય મંત્રી મમતા બેનરજીએ કહ્યું છે કે તેઓ ચૂંટણી હાર્યાં નથી અને તેથી રાજીનામું નહીં આપે.
મંગળવારે ચૂંટણી હાર્યાં બાદ પોતાની પહેલી પ્રેસ કૉન્ફરન્સમાં તેમણે ભાજપ પર ખોટી રીતે ચૂંટણી જીતવાનો આરોપ લગાવ્યો.
તે જ સમયે, ભાજપે કહ્યું છે કે બંધારણીય પ્રક્રિયામાં વિશ્વાસ રાખનાર કોઈ પણ વ્યક્તિ આવી વાત ન કહી શકે.
મમતા અને ભાજપે શું કહ્યું?
પોતાના રાજીનામા અંગે મમતા બેનરજીએ કહ્યું, "હું કેમ જઉં? અમે હાર્યા નથી કે જઈએ. જો તેમને તેમની હારના પુરાવા આપવામાં આવ્યા હોત તો તેઓ રાજીનામું આપી દેત. જો કોઈ મને રાજીનામું આપવા દબાણ કરે, તો હું રાજીનામું નહીં આપું. હું એટલું કહેવા માગું છું કે અમે ચૂંટણી હાર્યા નથી."
તેમણે પશ્ચિમ બંગાળમાં તેમના પક્ષની હાર માટે ચૂંટણીપંચને જવાબદાર ઠેરવ્યું, તેને મુખ્ય વિલેન ગણાવ્યું.
મમતા બેનરજીએ કહ્યું, "અમે પાર્ટીના સભ્યો સાથે અમારી ભવિષ્યની રણનીતિની ચર્ચા કરીશું. હું હવે ભાજપના અત્યાચારોને સહન કરીશ નહીં. હું ફરીથી રસ્તાઓ પર ઊતરીશ."
દરમિયાન, પશ્ચિમ બંગાળમાં ભાજપે મમતા બેનરજીના રાજીનામું ન આપવાના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.
ભાજપના પ્રવક્તા દેબજિત સરકારે એક પ્રેસ કૉન્ફરન્સમાં કહ્યું, "તે જે વાતો કરી રહી છે તેનાથી તે હાસ્યાસ્પદ લાગી રહી છે. તે થોડા દિવસો માટે ચર્ચામાં રહેવા માગે છે, તેથી જ તે આવી વાતો કરી રહી છે. ભારતીય જનતા પાર્ટી કે બંધારણમાં વિશ્વાસ રાખનાર કોઈ પણ પક્ષ આવી હાસ્યાસ્પદ વાતોનો જવાબ આપી શકે નહીં."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તેમણે કહ્યું, "બંધારણીય પ્રક્રિયામાં વિશ્વાસ રાખનાર કોઈ પણ વ્યક્તિ આવી વાત ન કરી શકે."
બંધારણ શું કહે છે?
બંધારણની કલમ 164 રાજ્યમંત્રી પરિષદની રચના અને આ સંદર્ભમાં રાજ્યપાલની સત્તાઓ સાથે સંબંધિત છે. દરેક ચૂંટણી પછી રાજ્યપાલ વિધાનસભામાં પક્ષોની શક્તિનું મૂલ્યાંકન કરે છે અને બહુમતી ધરાવતા પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે. આ પછી શપથ ગ્રહણ સમારોહ થાય છે.
જો કોઈ મંત્રી તે ગૃહનો સભ્ય ન હોય, તો તેણે છ મહિનાની અંદર સભ્ય બનવું જરૂરી છે. જો છ મહિનાની અંદર ગૃહનું સભ્યપદ ન મળે, તો મંત્રી કે મુખ્ય મંત્રીપદ પરથી ખસી જાય છે.
બંધારણના અનુચ્છેદ 164(1)માં જણાવાયું છે કે મુખ્ય મંત્રી 'રાજ્યપાલની ઇચ્છા સુધી' પદ પર રહે છે.
રાજ્યપાલની ઇચ્છા શું છે? જેએનયુના સેન્ટર ફૉર પૉલિટિકલ સ્ટડીઝના ડૉ. સુધીર કે. સુતાર આ પ્રશ્નનો જવાબ આપે છે.
તેઓ કહે છે, "રાજ્યપાલની 'ઇચ્છા' વાસ્તવમાં બહુમતી ચૂંટાયેલા પ્રતિનિધિઓ (ધારાસભ્યો) દ્વારા એક ચોક્કસ નેતા પર મૂકેલા વિશ્વાસ દ્વારા નક્કી થાય છે. દરેક ચૂંટણી પછી રાજ્યપાલ વિધાનસભામાં પક્ષોની સંખ્યાનું મૂલ્યાંકન કરે છે અને બહુમતી ધરાવતા પક્ષને સરકાર બનાવવા માટે આમંત્રણ આપે છે."
"જો વર્તમાન મુખ્ય મંત્રી રાજીનામું ન આપે, તો રાજ્યપાલ મંત્રી પરિષદને બરતરફ કરવા માટે તેમની સત્તાનો ઉપયોગ કરી શકે છે, જેમાં મુખ્ય મંત્રી પણ આવી જાય."
આ ઉપરાંત, ભારતીય બંધારણની કલમ 172 રાજ્ય વિધાનસભાઓ (વિધાનસભા અને વિધાન પરિષદ)ના કાર્યકાળ સાથે સંબંધિત છે.
આ મુજબ, વિધાનસભાનો કાર્યકાળ તેની પ્રથમ બેઠકની તારીખથી પાંચ વર્ષનો છે. પાંચ વર્ષ પૂરા થયા પછી તે આપમેળે વિસર્જન થઈ જશે.
કલમ 172 કહે છે કે, "દરેક રાજ્યની વિધાનસભા જ્યાં સુધી વહેલા વિસર્જન ન થાય ત્યાં સુધી, તેની પ્રથમ બેઠક માટે નિયત તારીખથી પાંચ વર્ષ સુધી ચાલુ રહેશે અને પાંચ વર્ષના ઉપરોક્ત સમયગાળાની સમાપ્તિ વિધાનસભાના વિસર્જનમાં પરિણમશે."
નિષ્ણાતો શું કહે છે?
વિધિ સેન્ટર ફૉર લીગલ પૉલિસી ખાતે સેન્ટર ફૉર કોનસ્ટીટ્યુશનલ લૉના વડા સ્વપ્નિલ ત્રિપાઠીએ ટાઈમ્સ ઑફ ઈન્ડિયાને જણાવ્યું હતું કે, "આપણા બંધારણીય માળખા મુજબ, કલમ 164 હેઠળ, મુખ્ય મંત્રી રાજ્યપાલની ઇચ્છા પર પદ સંભાળે છે, પરંતુ આ ઇચ્છા વ્યક્તિગત નથી, તે મુખ્ય મંત્રીને વિધાનસભાનો વિશ્વાસ મળે છે કે નહીં તેની સાથે જોડાયેલું છે."
"ચૂંટણીઓ પૂર્ણ થયા પછી અને વિધાનસભાનો કાર્યકાળ પૂર્ણ થયા પછી નવી વિધાનસભાની રચના થાય છે અને તેની સાથે વિશ્વાસનો મત નવા ચૂંટાયેલા પ્રતિનિધિઓને જાય છે."
તેમણે કહ્યું કે બંધારણમાં એક સ્થાપિત પરંપરા છે કે વિદાય લેતા મુખ્ય મંત્રી રાજીનામું આપે છે અને નવી સરકાર શપથ લે ત્યાં સુધી કાર્યકારી મુખ્ય મંત્રી તરીકે થોડા સમય માટે પદ પર રહે છે.
સ્વપ્નિલ ત્રિપાઠીએ કહ્યું,"જો પરંપરાનું પાલન ન કરવાં આવે, તો તેની કાનૂની સ્થિતિમાં કોઈ ફેરફાર થતો નથી. રાજ્યપાલ પોતાની ઇચ્છા પાછી ખેંચી શકે છે અને નવી વિધાનસભામાં બહુમતી ધરાવતા નેતાને આમંત્રણ આપી શકે છે. તેથી, રાજીનામું આપવાનો ઇનકાર કરવો એ કાયદા કરતાં રાજકારણનો વિષય છે."
"બંધારણ એ સુનિશ્ચિત કરે છે કે જે મુખ્ય મંત્રીને બહુમતી સાથે સમર્થન નથી તે પદ પર રહી ન રહી શકે. ચૂંટણી જનાદેશને રદ કરે છે. રાજીનામું ફક્ત તેને માન્યતા આપે છે."
બંધારણીય કાયદાના નિષ્ણાત અને લોકસભાના ભૂતપૂર્વ મહાસચિવ પીડીટી આચાર્યએ ઈન્ડિયા ટુડેને જણાવ્યું હતું કે હાલમાં એવું કંઈ નથી જે મમતા બેનરજીને પદ પર રહેવાની મંજૂરી આપે.
તેમણે કહ્યું, "જો તેણી રાજીનામું ન આપે તો પણ કોઈ ફરક પડતો નથી. રાજ્યપાલ તેમને આગામી મુખ્ય મંત્રી શપથ ગ્રહણ ન કરે ત્યાં સુધી પદ પર ચાલુ રહેવા માટે કહી શકે છે, પરંતુ બંધારણીય જોગવાઈ કહે છે કે કોઈ પણ સરકાર પાંચ વર્ષથી વધુ સમય સુધી ટકી શકતી નથી."
આચાર્યે કહ્યું કે જો બેનરજી આજે રાજીનામું આપે તો પણ રાજ્યપાલ તેમને નવા મુખ્ય મંત્રી શપથ ગ્રહણ ન થાય ત્યાં સુધી પદ પર ચાલુ રહેવા કહેશે.
આચાર્ય કહે છે, "ટેકનિકલી, તેમને રાજીનામું આપવાની જરૂર નથી. ભારતના બંધારણની જોગવાઈઓ હેઠળ, તેઓ ફક્ત વર્તમાન વિધાનસભાના કાર્યકાળ માટે જ મુખ્ય મંત્રી રહી શકે છે. તે તારીખ પછી તેઓ મુખ્ય મંત્રી નહીં રહે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન