વિજયે રાજ્યપાલને ત્રીજી વખત મળીને તામિલનાડુમાં સરકાર બનાવવાનો દાવો કર્યો – ન્યૂઝ અપડેટ

વાંચવાનો સમય: 5 મિનિટ

ટીવીકે પ્રમુખ વિજયે તામિલનાડુના રાજ્યપાલ રાજેન્દ્ર અર્લેકર સાથે મુલાકાત કરીને સરકાર બનાવવાનો દાવો પેશ કર્યો છે. વિજયની રાજ્યપાલ સાથેની આ ત્રીજી મુલાકાત છે.

આ પહેલાં ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (સીપીઆઈ) તથા ભારતીય કમ્યુનિસ્ટ પાર્ટી (માર્ક્સવાદી)(સીપીએમ)એ તામિલનાડુમાં સરકારના ગઠન માટે ટીવીકેને સમર્થન આપ્યું હતું.

ટીવીકેને સીપીઆઈ-સીપીએમ તથા કૉંગ્રેસનું સમર્થન મળ્યાં બાદ સરકાર બનાવવા માટે જરૂરી 116 ધારાસભ્યોનું સમર્થન મળી ગયું છે.

234 બેઠકો ધરાવતી તામિલનાડુ વિધાનસભામાં ટીવીકેએ 108 બેઠકો જીતી છે. જોકે વિજય બે બેઠકો પરથી જીત્યા હતા તેથી તેમણે એક બેઠક પરથી રાજીનામું આપવું પડશે. તેથી તેની બેઠક 107 થઈ જશે. તે સમયે ગૃહનું સંખ્યાબળ પણ ઘટીને 233 થઈ જશે. તેથી બહુમત માટે તેને 117 સભ્યોના સમર્થનની જરૂર પડશે.

આ ઉપરાંત વીસીકે પણ ટીવીકેને સમર્થન આપી શકશે, આ પાર્ટીએ ચૂંટણીમાં બે બેઠકો પ્રાપ્ત કરી છે. પાંચ બેઠક જીતનારી કૉંગ્રેસે ડીએમકે ગઠબંધન તોડીને ટીવીકેને સમર્થનનું ઍલાન કર્યું હતું.

પુડુચેરી : ફરી એક વખત મુખ્ય મંત્રી બનશે એન. રંગાસામી

પુડુચેરીના મુખ્ય મંત્રી એન. રંગાસામી ફરી એક વખત એનડીએ વિધાયક દળના નેતા ચૂંટાઈ આવ્યા છે.

એ. નમસ્સિવયમને એનડીએ વિધાયક દળના ઉપનેતા બનાવાયા છે.

બીજેપી પુડુચેરીએ ઍક્સ પર પોસ્ટ કરીને જાણકારી આપી છે કે, કેન્દ્રીય મંત્રી મનસુખ માંડવિયા આજે પુડુચેરી પહોંચ્યા અને પુડુચેરીના મુખ્ય મંત્રી એન. રંગાસામીને વિધાયક દળના નેતા ચૂંટાઈ આવ્યા તે બદલ તેમને શુભકામના પાઠવી.

પુડુચેરી વિધાનસભાની ચૂંટણીમાં એનડીએને 18 બેઠક મળી છે જેમાં એએઈએનઆરસીને 12 બેઠકો અને ભાજપને ચાર બેઠકો મળી હતી.

ઇન્ડોનેશિયામાં જ્વાળામુખી ફાટવાને કારણે ત્રણનાં મોત

ઇન્ડોનેશિયામાં આજે સવારે માઉન્ટ ડૂકોનોં જ્વાળામુખી ફાટવાને કારણે ત્રણ હાઇકર્સનાં મોત થયાં છે.

ઇન્ડોનેશિયાના વોલ્કેનોલૉજિકલ સર્વેના જણાવ્યા અનુસાર, જ્વાળામુખી સ્થાનિક સમયાનુસાર સવારે 7-41 વાગ્યે ફાટ્યો હતો.

ઇન્ડોનેશિયાના નૉર્થ મોલૂકૂ પ્રાંતના ડૂકોનો વોલ્કેનો દેશનો સૌથી સક્રિય જ્વાળામુખીમાંનો એક છે. આ પર્યટકોમાં પણ ઘણો લોકપ્રિય છે.

લોકલ પોલીસ ચીફે જણાવ્યું કે લગભગ 15 લોકોને અહીંથી બચાવવામાં આવ્યા છે અને તેમને હૉસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

જ્યાંથી હંટા વાઇરસ ફેલાયો એ જહાજ પર બે ભારતીયો પણ હતા

ડચ જહાજ એમવી હોંડિયસ પર હંટા વાઇરસના પાંચ કેસની પુષ્ટિ થઈ છે અને ત્રણ લોકોનાં મોત થયાં છે.

બીબીસી ન્યૂઝના અહેવાલ અનુસાર, આ જહાજ પર ઓછામાં ઓછા બે ભારતીય નાગરિકો પણ છે.

હકીકતમાં આ જહાજ એક ક્રૂઝ શિપ છે અને તેમાં 28 દેશોનાં લગભગ 150 મુસાફરો હતા, પરંતુ ડઝનબંધ લોકો 24 એપ્રિલે સેંટ હેલેના ટાપુ પર ઊતરી ગયા હતા.

આ જહાજ આ અઠવાડિયાનાં અંત સુધીમાં કૅનેરી આઇલૅન્ડ્સમાં લાંગરવામાં આવશે.

વિશ્વ આરોગ્ય સંગઠન (ડબ્લ્યૂએસઓ)નાં વિશેષજ્ઞ મારિયા વૅન કેરખોવેએ પ્રેસ કૉન્ફરન્સમાં જણાવ્યું હતું કે આ સ્થિતિ કોવિડ-19 જેવી નથી.

તેમણે કહ્યું કે હંટા વાઇરસ કોરોના વાઇરસની જેમ નથી ફેલાતો, પરંતુ એ માત્ર "ખૂબ જ ઘનિષ્ઠતા અને વ્યક્તિગત સંપર્કથી" ફેલાય છે.

સોહરાબુદ્દીન ઍન્કાઉન્ટર કેસમાં તમામ 22 આરોપીઓની મુક્તિને બોમ્બે હાઈકોર્ટે માન્ય રાખી

સોહરાબુદ્દીન શેખ, તેમનાં પત્ની કૌસરબી અને તેના સાથીદાર તુલસીરામ પ્રજાપતિના 'બનાવટી ઍન્કાઉન્ટર' કેસમાં બૉમ્બે હાઈકોર્ટે તમામ 22 આરોપીઓની મુક્તિ માન્ય રાખી છે. તેમાં 21 પોલીસ કર્મચારીઓનો સમાવેશ થાય છે.

બાર ઍન્ડ બૅન્ચના અહેવાલ મુજબ ચીફ જસ્ટિસ શ્રી ચંદ્રશેખર અને જસ્ટીસ ગૌતમ અંખડની બેન્ચે આરોપીઓના છુટકારાને માન્ય રાખ્યો હતો અને સોહરાબુદ્દીન શેખના ભાઈઓ રુબાબુદ્દીન અને નયાબુદ્દીનની અપીલ નકારી કાઢી હતી.

શેખના ભાઈઓએ ટ્રાયલ કોર્ટના ચુકાદાને રદ કરવા માટે હાઈકોર્ટમાં અરજી કરી હતી અને ફરીથી કેસ ચલાવવા માગણી કરી હતી. આ અપીલ 2019થી કોર્ટમાં પેન્ડિંગ હતી અને 2025માં ચુકાદો અનામત રખાયો હતો.

શેખના ભાઈઓએ દલીલ કરી હતી કે આ ટ્રાયલ ખામીયુક્ત રીતે ચલાવાયો હતો.

નવેમ્બર 2005માં 'વૉન્ટેડ ગુનેગાર' સોહરાબુદ્દીન શેખ, તેમનાં પત્ની કૌસરબી અને સાથીદાર તુલસી પ્રજાપતિને હૈદરાબાદથી સાંગલી જતી વખતે બસમાંથી ઉતારીને કથિત રીતે તેમનું અપહરણ કરવામાં આવ્યું હતું.

ત્યાર પછી સીબીઆઈએ દાવો કર્યો હતો કે પોલીસે 'બનાવટી ઍન્કાઉન્ટર'માં શેખ અને પ્રજાપતિને મારી નાખ્યા હતા જ્યારે કૌસરબીની હત્યા કરીને તેનાં મૃતદેહનો નિકાલ કરવામાં આવ્યો હતો.

નાસિક ટીસીએસ કેસમાં આરોપી નિદા ખાનને પોલીસે કસ્ટડીમાં લીધાં

નાસિક ટીસીએસ કેસમાં પોલીસે મુખ્ય આરોપી નિદા ખાનને ગુરુવારે રાતે કસ્ટડીમાં લીધાં છે.

નિદા પર જાતીય સતામણી અને બળજબરીથી ધર્મ પરિવર્તન કરાવવાના આરોપો લાગ્યા છે. સમાચાર એજન્સી પીટીઆઇ મુજબ નાસિક પોલીસના વડા સંદીપ કાર્ણિકે જણાવ્યું કે નિદાને છત્રપતિ સંભાજીનગર પોલીસ અને ત્યાંની ક્રાઇમ બ્રાન્ચની મદદથી પકડવામાં આવ્યા છે.

અગાઉ બીજી મેએ નાસિકની કોર્ટે નિદા ખાનની આગોતરા જામીન અરજી નકારી કાઢી હતી. ફરિયાદપક્ષે કોર્ટમાં કહ્યું હતું કે આરોપો ગંભીર છે અને પોલીસ હિરાસતમાં તેમની પૂછપરછ કરવી જરૂરી છે. જોકે, નિદા તે સમયે ફરાર હતાં.

સમાચાર સંસ્થા એએનઆઈ મુજબ પબ્લિક પ્રૉસિક્યુટર અજય મિસરે જણાવ્યું કે નિદા આ કેસમાં મુખ્ય આરોપીઓ પૈકી એક છે. કોર્ટે આ આધારે આગોતરા જામીન આપવાનો ઇનકાર કર્યો હતો.

અમેરિકા-ઈરાન વચ્ચે તણાવ વધતા ક્રૂડ ઑઇલના ભાવમાં ફરી ઉછાળો

અમેરિકા અને ઈરાન વચ્ચે તણાવ વધ્યો હોવાના કારણે એશિયામાં શુક્રવારે ક્રૂડ ઑઇલના ભાવમાં મોટો ઉછાળો આવ્યો છે.

ગ્લોબલ ઑઇલ બેન્ચમાર્ક બ્રેન્ટની કિંમત 2.6 ટકા વધીને 102.70 ડૉલર પ્રતિ બેરલ થયો છે જ્યારે અમેરિકામાં ટ્રેડ થતા ક્રૂડનો ભાવ 2.3 ટકા વધીને 97 ડૉલર પ્રતિ બેરલ થયો છે.

અમેરિકા અને ઈરાન વચ્ચે હોર્મુઝની સામુદ્રધુનીમાં ગોળીબાર થયો છે. ત્યાર પછી અમેરિકાએ કહ્યું કે ઈરાને વગર કારણે કરેલા હુમલાનો જવાબ આપવા માટે વળતો હુમલો કરવામાં આવ્યો હતો.

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે જણાવ્યું કે, "જે અમેરિકન જહાજો પર હુમલો થયો, તે ત્રણ ડિસ્ટ્રોયર હતા અને કોઈ પણ નુકસાન વગર હોર્મુઝમાંથી નીકળી ગયા હતા. જવાબી હુમલામાં ઈરાનની અનેક નાની બોટનો નાશ કરવામાં આવ્યો છે. અમેરિકાના જહાજોને નિશાન બનાવતી મિસાઇલોને હવામાં જ તોડી પાડવામાં આવી હતી."

બીજી તરફ ઈરાનની સેનાએ અમેરિકા પર યુદ્ધવિરામનો ભંગ કરવાનો આરોપ લગાવ્યો છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન