NEET 2024 ગોધરા ગેરરીતિના કેસમાં તમામ આરોપીઓ જામીન પર મુક્ત, અત્યાર સુધીમાં શું-શું થયું?

તાજેતરમાં પેપરલીકની ફરિયાદો પછી દેશભરમાં નીટ-યુજીની પરીક્ષા રદ કરી દેવામાં આવી હતી.

એ પછી દેશભરમાં વિદ્યાર્થીઓનો, વાલીઓનો આક્રોશ જોવા મળી રહ્યો છે. જોકે, આ પ્રથમ વખત નથી જ્યારે આ પરીક્ષામાં આ પ્રકારે ગેરરીતિઓ જોવા મળી હોય.

વર્ષ 2024માં સુપ્રીમ કોર્ટમાં તે સમયની નીટની પરીક્ષા રદ કરીને તેને ફરીથી લેવા માટેની અરજી કરવામાં આવી હતી. એ પછી કોર્ટે નીટની પરીક્ષા ફરીથી લેવાનો ઇન્કાર કરી દીધો હતો.

એ વર્ષે ગુજરાતના ગોધરામાં પણ આ પરીક્ષામાં ગેરરીતિઓ સામે આવી હતી, અને ગોધરા તાલુકા પોલીસસ્ટેશનમાં ફરિયાદ પણ નોંધાઈ હતી.

ગોધરામાં ફરિયાદ બાદ અલગ-અલગ સમયે પરીક્ષાકેન્દ્રની શાળાના પ્રિન્સિપાલ અને એજન્ટો સહિત છ લોકોની ધરપકડ કરવામાં આવી હતી.

આ કેસની તપાસ ત્યારબાદ સીબીઆઈને સોંપી દેવામાં આવી હતી. છેલ્લી પરિસ્થિતિ મુજબ આ કેસની હજુ કોર્ટમાં સુનાવણી ચાલી રહી છે. પરંતુ હાલમાં આ બધા આરોપીઓને જામીન મળી ચૂક્યા છે.

2024માં નીટ પરીક્ષા વખતે ગોધરામાં શું બન્યું હતું?

વર્ષ 2024માં નોંધાયેલી ફરિયાદ મુજબ ગોધરાના જિલ્લા શિક્ષણાધિકારીને એ વાતની માહિતી મળી હતી કે ગોધરાની જલારામ સ્કૂલ ખાતેના પરીક્ષા કેન્દ્રના ડેપ્યુટી સુપ્રિન્ટેન્ડન્ટ તુષાર ભટ્ટ નીટની પરીક્ષા આપવા આવેલા અમુક વિદ્યાર્થીઓની જવાબવહીમાં ખાલી રહી ગયેલા જવાબો પોતે ભરવાના છે.

ફરિયાદ મુજબ પોલીસની ટીમ સાથે ડીઇઓ ત્યાં પહોંચી ગયા હતા અને તુષાર ભટ્ટના ફોનની તપાસ કરવામાં આવી હતી. તેમાં વિદ્યાર્થીઓના રોલ નંબરવાળી એક યાદી મળી હતી.

ત્યારબાદ આ મામલાની પોલીસ ફરિયાદ થઈ હતી અને સ્કૂલના પ્રિન્સિપાલ પુરુષોત્તમ શર્મા ઉપરાંત બીજા લોકોનાં નામ પણ સામે આવ્યાં હતાં. જેમા એજન્ટો, એક પ્રાઇવેટ કોચિંગ ક્લાસ ચલાવતા પરશુરામ રોય, વિભોર આનંદ અને આરીફ વોહરાનો સમાવેશ થયો હતો.

આ કેસ જ્યારે સીબીઆઈને સોંપવામાં આવ્યો ત્યારે તેણે દિક્ષિત પટેલ નામની એક છઠ્ઠી વ્યક્તિની ધરપકડ કરી હતી.

આ તમામ લોકો પર વિશ્વાસઘાત, જાહેર ફરજ ધરાવતી વ્યક્તિ દ્વારા વિશ્વાસઘાત, છેતરપિંડી, ગુનાહિત ષડયંત્ર તેમજ ભ્રષ્ટાચાર વિરોધી કાયદાની કલમ 7(c) હેઠળ ફરિયાદ નોંધવામાં આવી હતી. આ કેસની તપાસ 23 જૂન, 2024ના રોજ સીબીઆઈને સોંપવામાં આવી હતી.

પોલીસ તપાસ મુજબ, તુષાર ભટ્ટે કેટલાક વિદ્યાર્થીઓને મદદરૂપ થવા માટે પરીક્ષા બાદ ઓએમઆર શીટમાં જવાબ ભરી આપવાની યોજના બનાવી હતી. કાવતરાની માહિતી સમયસર મળી જતા આરોપીઓની પરીક્ષા શરૂ થાય તે પહેલાં જ ધરપકડ કરી દેવામાં આવી.

અમદાવાદની સીબીઆઈ કોર્ટમાં કેસ પૅન્ડિંગ

અમદાવાદની ખાસ સીબીઆઈ કોર્ટમાં હાલમાં આ કેસ પૅન્ડિંગ છે.

આ વિશે આ કેસના આરોપી પુરુષોત્તમ શર્માના ગોધરા ખાતેના વકીલ રાજેશ પંચાલે જણાવ્યું હતું કે, "કેસની સુનાવણી શરૂ થવા પર છે. શર્માને ગુજરાત હાઈકોર્ટે જામીન આપ્યા છે."

આ કેસમાં છઠ્ઠા આરોપી તરીકે દિક્ષિત પટેલ નામની વ્યક્તિનું નામ ઉમેરવામાં આવ્યું હતું. ત્યારબાદ તેમણે પોતાનું નામ કમી કરવા માટે ગુજરાત હાઈકોર્ટના દરવાજા ખટખટાવ્યા હતા, પરંતુ હાઈકોર્ટે તેમની ક્વૉશિંગ અરજી નામંજૂર કરી દીધી હતી.

2024માં ગોધરાનાં પરીક્ષાકેન્દ્રોનું પરિણામ શું હતું?

વર્ષ 2024માં ગોધરાની સાથે સાથે ઝારખંડના હઝારીબાગ અને બિહારના પટણામાં નીટની પરીક્ષાને લઈને ગેરરીતિ સામે આવી હતી.

ત્યારબાદ અમુક લોકોએ સુપ્રીમ કોર્ટને અપીલ કરી હતી કે વર્ષ 2024ની નીટની પરીક્ષા રદ કરીને તેને ફરીથી લેવામાં આવે.

જોકે, સુપ્રીમ કોર્ટે આ ત્રણેય સેન્ટરોમાં થયેલી ગેરરીતિઓ વિશે ઝીણવટથી માહિતી મેળવી હતી હતી, અને પરીક્ષા રદ કરવાનો ઇન્કાર કરી દીધો હતો.

વર્ષ 2024માં ગોધરાનાં બે કેન્દ્રો પર પરીક્ષા લેવાઈ હતી. આ બંને સેન્ટરોમાં કુલ 2,484 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી. કુલ પરીક્ષાર્થીઓમાંથી 21 વિદ્યાર્થીઓનો રૅન્ક 108000ની અંદર આવ્યા હતા. જે સુપ્રીમ કોર્ટ અનુસાર લગભગ 0.8 ટકાનો સફળતા દર દર્શાવે છે. 13 વિદ્યાર્થીઓનો રૅન્ક 56000ની અંદર આવ્યો હતો, જે લગભગ 0.05 ટકાનો સફળતા દર સૂચવે છે.

આ પીટિશનના ચુકાદામાં સુપ્રીમ કોર્ટે નોંધ્યું હતું કે, તુલનાત્મક રીતે જોઈએ તો ગોધરામાં સફળતા દર (કુલ ઉપલબ્ધ બેઠકોના પ્રમાણમાં) 2022માં 1.5% અને 2023માં 2.1% હતો. તેથી, 2024માં ગોધરામાં સફળ ઉમેદવારોની સંખ્યા અગાઉનાં વર્ષોની સરખામણીએ ઓછી છે.

ઉપલબ્ધ આંકડામાં આવી કોઈ અનિયમિતતા દેખાતી નથી જે ચિંતા ઊભી કરે અથવા વ્યાપક ગેરરીતિ દર્શાવે.

સુપ્રીમમાં નીટ 2024ની પરીક્ષા રદ થવાની પીટિશનમાં શું થયું હતું?

આ પીટિશન પછી સુપ્રીમ કોર્ટના ચુકાદામાં ગોધરા ખાતે થયેલી ઘટના પર ખાસ ધ્યાન આપવામાં આવ્યું.

કોર્ટે સ્પષ્ટ કર્યું કે ગોધરામાં ગેરરીતિ માટેની યોજના બનાવવામાં આવી હતી, પરંતુ તે અમલમાં આવે તે પહેલાં જ તંત્રએ તેને નિષ્ફળ બનાવી દીધી.

કોર્ટે નોંધ્યું હતું કે ગોધરામાં વાસ્તવમાં કોઈ ગેરરીતિ થઈ નહોતી અને તેમાં સંડોવાયેલા વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમનાં પરિણામો રોકી દેવામાં આવ્યાં.

ગોધરાથી અલગ હઝારીબાગ અને પટણામાં ખરેખર પરીક્ષાનાં પેપર લીક થયાં હતાં. એક તરફ ગોધરાની ગેરરીતિ અટકાવી દેવામાં આવી હતી, પરંતુ બીજી બાજુ આ પરીક્ષાકેન્દ્રોમાં હઝારીબાગ અને પટણામાં લીક થયું હોવા છતાં તે વ્યાપકસ્તરે નહોતું, એવું સુપ્રીમ કોર્ટનું તારણ હતું.

આથી, તે સમયે સુપ્રીમ કોર્ટે સમગ્ર નીટ પરીક્ષા રદ કરવાથી ઇન્કાર કરી દીધો હતો.

સીબીઆઈએ પોતાની પ્રાથમિક તપાસમાં નોંધ્યું હતું કે પ્રશ્નપત્ર હઝારીબાગના સેન્ટર પરથી સવારના સમય દરમિયાન ચોરીને તેની તસવીરો લેવામાં આવી. ત્યારબાદ તે વૉટ્સઍપ દ્વારા વિદ્યાર્થીઓ સુધી પહોંચાડવામાં આવી હતી.

અંદાજે 155 વિદ્યાર્થીઓ આ ગેરરીતિથી લાભાન્વિત થયા. જોકે, કોર્ટે એ પણ કહ્યું કે આ ગેરરીતિ મર્યાદિત સ્થળોએ જ થઈ હતી અને તેમાં સામેલ વિદ્યાર્થીઓને અલગ કરી ઓળખી શકાય છે, તેથી પરિણામોમાં કોઈ 'વ્યાપક' અથવા 'સિસ્ટેમેટિક' ગડબડ જણાઈ નહોતી.

આ પીટિશનમાં સુપ્રીમ કોર્ટે નિર્ણય આપ્યો હતો કે ગોધરા જેવી ઘટના અટકાવી લેવાઈ હોવાથી પરીક્ષા પર પર તેની વિપરીત અસર ન પડી, હઝારીબાગ અને પટણામાં પેપર લીક થયું હોવા છતાં તે વ્યાપકસ્તરે નહોતું. તેથી સમગ્ર નીટ પરીક્ષા રદ કરવી યોગ્ય નથી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન