સોનું ન ખરીદવાની પીએમ મોદીની અપીલ પર રાહુલ ગાંધીએ શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Elke Scholiers/Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ઈરાન યુદ્ધ વચ્ચે દેશવાસીઓને સોનું ન ખરીદવા, વિદેશયાત્રા ઘટાડવા, પેટ્રોલનો ઉપયોગ ઓછો કરવા અને વર્ક ફ્રૉમ હોમની સલાહ આપી છે. તેના પર કૉંગ્રેસના નેતા અને લોકસભામાં વિપક્ષના નેતા રાહુલ ગાંધીએ પ્રતિક્રિયા આપી છે.
તેમણે કહ્યું કે આ વડા પ્રધાનની નિષ્ફળતાનો પુરાવો છે. હવે જનતાને એ પણ કહેવું પડે છે કે શું ખરીદવું અને શું ન ખરીદવું.
રાહુલ ગાંધીએ ઍક્સ પર લખ્યું કે "મોદીજીએ ગઈ કાલે જનતા પાસે ત્યાગની માગણી કરી - સોનું ન ખરીદો, વિદેશ ન જાવ, પેટ્રોલ ઓછું બાળો, ખાતર અને ખાદ્ય તેલ ઓછું વાપરો, મેટ્રોમાં સફર કરો, ઘરેથી કામ કરો. આ ઉપદેશ નથી, પરંતુ નિષ્ફળતાનો પુરાવો છે."
તેમણે લખ્યું કે "12 વર્ષમાં દેશને એવા મુકામ પર લાવી દીધો કે જનતાને કહેવું પડે છે કે શું ખરીદવું, શું ન ખરીદવું, ક્યાં જવું, ક્યાં ન જવું. દરેક વખતે જનતા પર જવાબદારી નાખવામાં આવે છે, જેથી પોતે જવાબદારીમાંથી છટકી શકે. દેશ ચલાવવો હવે કૉમ્પ્રોમાઇઝ્ડ પીએમના હાથની વાત નથી."
વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથની મુલાકાતે, ઍર-શો યોજાશે

ઇમેજ સ્રોત, Gujarat Informatio
ચાર રાજ્ય અને એક કેન્દ્રશાસિત પ્રદેશની ચૂંટણીનાં પરિણામો પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે સોમનાથના પ્રવાસે આવશે. જામનગરથી સોમનાથ પહોંચ્યા બાદ તેઓ હેલિપેડથી વીર હમીરજી સર્કલ સુધી રોડ શોમાં જનતાનું અભિવાદન ઝીલશે. ત્યાર પછી સોમનાથ મહાદેવ મંદિરે પૂજન અને કુંભાભિષેક બાદ જનસભાને સંબોધિત કરશે
ગુજરાત સરકારની પ્રેસ રિલીઝ અનુસાર, સોમનાથ મંદિરના નવનિર્માણનાં 75 વર્ષની ઉજવણીના નિમિત્તે "સોમનાથ અમૃતપર્વ-2026"નું આયોજન કરવામાં આવ્યું છે.
વડા પ્રધાન મોદી સોમનાથ મંદિર કુંભાભિષેક તેમજ ધ્વજારોહણ પણ કરાવશે. ત્યાર પછી વાયુસેનાની સૂર્યકિરણ એક્રોબેટિક્સ ટીમ દ્વારા સોમનાથના આકાશમાં ઍર શો યોજાશે. ત્યાર બાદ વડા પ્રધાન સદભાવના ગ્રાઉન્ડ ખાતે જનસભાને સંબોધિત કરશે.
આ સભામાં તેઓ સોમનાથ મંદિરની પ્રતિકૃતિ સાથેની વિશેષ સ્મારક ડાક ટિકિટ તેમજ 75 રૂપિયાના સિક્કાનું વિમોચન કરશે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ઈરાને કેરોલાઇન લેવિટને શુભેચ્છા પાઠવી ટ્રમ્પને નિશાન બનાવ્યા

ઇમેજ સ્રોત, X/@karolineleavitt
વ્હાઇટ હાઉસનાં પ્રેસ સેક્રેટરી કેરોલાઇન લેવિટને ત્યાં પુત્રીનો જન્મ થયા પછી ઈરાને શુભેચ્છા પાઠવી છે. સાથે સાથે અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને નિશાન પણ બનાવ્યા છે.
લેવિટે 7મેએ એક ઍક્સ પોસ્ટ મારફત જાણકારી આપી હતી કે તેમને દીકરી આવી છે. તેના પર અલગ-અલગ દેશોના ઈરાની દૂતાવાસોએ પ્રતિક્રિયા આપી છે.
આર્મેનિયામાં ઈરાની દૂતાવાસે તેમની પોસ્ટ રિશૅર કરીને લખ્યું કે, "તમને અભિનંદન. બાળકો બહુ માસૂમ અને વહાલાં હોય છે. જે 168 બાળકો, જેને તમારા "બૉસે (ડોનાલ્ડ ટ્રમ્પ) મિનાબની સ્કૂલમાં મારી નાખ્યાં અને તમે તેમનું સમર્થન કર્યું, તે પણ બાળકો જ હતાં."
તેમણે આગળ લખ્યું, "તમે જ્યારે તમારાં બાળકને ચૂમો, ત્યારે તે બાળકોની માતાઓને પણ યાદ કરજો."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન
























