ભારત-એનો ત્રિપક્ષીય વનડે સિરીઝની ફાઇનલ મૅચમાં શ્રીલંકા-એ સામે વિજય, વૈભવ સૂર્યવંશીની તોફાની ઇનિંગ– ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 7 મિનિટ

ભારત-એ ટીમે શ્રીલંકા-એ અને અફઘાનિસ્તાન-એ સાથે રમાઈ રહેલી ત્રિપક્ષીય સિરીઝમાં વિજય મેળવ્યો છે.

ભારતીય ટીમે ફાઇનલ મૅચમાં શ્રીલંકા-એ ટીમને 66 રનથી હરાવી દીધી છે.

પહેલા બેટિંગ કરવા આવેલી ભારતીય ક્રિકેટ ટીમે 50 ઓવરમાં નવ વિકેટ ગુમાવીને 377 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્યાની જોડીએ ટીમને સારી શરૂઆત આપી હતી.

બંનેએ માત્ર 8.5 ઓવરમાં 132 રનની પાર્ટનરશિપ કરી હતી. વૈભવે તોફાની બેટિંગ કરીને માત્ર 11 બૉલમાં અડધી સદી ફટકારી હતી. તેઓ 29 બૉલમાં 94 રન બનાવીને આઉટ થયા.

તિલક વર્માએ 67, ઋતુરાજ ગાયકવાડે 40 અને પ્રિયાંશ આર્યાએ 39 રનની ઇનિંગ્સ રમી હતી.

ત્યાર બાદ 378 રનના ટાર્ગેટ પૂરો કરવા ઊતરેલી શ્રીલંકા-એ ટીમ 311 રન પર ઑલ આઉટ થઈ ગઈ.

શ્રીલંકા માટે વનુજા સહાને સૌથી વધારે 62 રન બનાવ્યા હતા. સદીરા સમરવિક્રમાએ 52 રનની ઇનિંગ્સ રમી હતી.

ભારતીય બૉલર્સમાં યશ ઠાકુર અને વિપ્રજ નિગમે સૌથી વધારે ત્રણ-ત્રણ વિકેટ લીધી, જ્યારે અનુકૂલ રૉયે બે વિકેટ અને આલોક શર્મા અને તિલક વર્માએ એક-એક વિકેટ લીધી.

ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ માટે ભારતીય વનડે ટીમનું એલાન, યશસ્વીને ન મળ્યું સ્થાન

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ (બીસીસીઆઈ)એ ઇંગ્લૅન્ડ સામેની સિરીઝ માટે ભારતીય વનડે ટીમનું એલાન કરી દીધું છે. અફઘાનિસ્તાન વિરુદ્ધ શનિવારે છેલ્લા વનડે મૅચમાં સદી ફટકારનાર યશસ્વી જાયસવાલને ટીમમાં સ્થાન નથી મળ્યું.

યશસ્વીએ અફઘાનિસ્તાન વિરુદ્ધ 110 રન બનાવ્યા હતા. તેમણે રોહિત શર્મા સાથે 170 રનની ઓપનિંગ પાર્ટનરશિપ કરી હતી.

ત્યારે વિરાટ કોહલીને ટીમમાં સામેલ કરવામાં આવશે. જોકે, તેમની ફિટનેસને લઈને સંશય છે.

ફિટ થયા પછી જ તેઓ મૅચ રમશે.

ભારતીય ટીમ જુલાઈ મહીનામાં ઇંગ્લૅન્ડ મુલાકાત પર રહેશે. જ્યાં તેને તીન વનડે મૅચ અને પાંચ ટી20 મૅચ રમવાના છે. ટી20 ટીમનું એલાન પહેલાં જ થઈ ગયું છે.

ઇંગ્લૅન્ડ ટૂર માટે ભારતીય વનડે ટીમ: શુભમન ગિલ (કૅપ્ટન), રોહિત શર્મા, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર (વાઇસ કૅપ્ટન), કે એલ રાહુલ, ઈશાન કિશન, વૉશિંગટન સુંદર, અક્ષર પટેલ, નીતીશકુમાર રેડ્ડી, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, પ્રસિદ્ધ કૃષ્ણા, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, ગુરનૂર બરાડ.

આ ઉપરાંત બીસીસીઆઈએ આયર્લૅન્ડ મુલાકાત માટે ભારતીય ટી-20 ટીમમાં ફેરફાર કરાયો છે. બોર્ડ અનુસાર વરુણ ચક્રવર્તી ઈજાને કારણે યી-20 ટમનો ભાગ નહીં બને.

આયર્લૅન્ડ મુલાકાત માટે અપડેટેડ ભારતીય ટી-20: શ્રેયસ અય્યર (કૅપ્ટન), અભિષેક શર્મા, સંજુ સૅમસન, ઈશાન કિશન, શિવમ દુબે, તિલક વર્મા (વાઇસ કૅપ્ટન), નીતીશકુમાર રેડ્ડી, અક્ષર પટેલ, વૉશિંગટન સુંદર, રવિ બિશ્નોઈ, હર્ષિત રાણા, અર્શદીપ સિંહ, પ્રિન્સ યાદવ, વૈભવ સૂર્યવંશી, પ્રસિદ્ધ કૃષ્ણા.

ઈરાન-અમેરિકા વાતચીત : સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચ્યા શહબાઝ શરીફ અને જેડી વેન્સ

પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ ઈરાન-અમેરિકા વાતચીતમાં સામેલ થવા માટે સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચી ગયા છે. ફિલ્ડ માર્શલ આસિમ મુનીર પણ તેમની સાથે છે.

આ પહેલાં અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચ્યા હતા. ઈરાનું પ્રતિનિધિમંડળ શનિવારે જ અહીં પહોંચી ગયું હતું.

આ પહેલાં શહબાઝ શરીફની કચેરીએ બીબીસીને જણાવ્યું કે પાકિસ્તાને આખા યુદ્ધ દરમિયાન મધ્યસ્થની ભૂમિકા ભજવી છે. પહેલાં પણ અમેરિકા-ઈરાનની વાતચીતની ઇસ્લામાબાદ ખાતે યજમાની કરી હતી.

ઉલ્લેખનીય છે કે આ સપ્તાહની શરૂઆતમાં અમેરિકા અને ઈરાનના રાષ્ટ્રપતિઓએ એક પ્રારંભિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં તમામ મોરચા પર યુદ્ધને સમાપ્ત કરવાની અને આવતા 60 દિવસ સુધી અંતિમ સમજૂતી સુધી પહોંચવાની વાત કરાઈ હતી.

વૈભવ સૂર્યવંશીએ રમી 94 રનની શાનદાર ઇનિંગ, માત્ર 11 બૉલમાં ફિફ્ટી ફટકારી બનાવ્યો રેકૉર્ડ

રણગિરિ દાંબુલા ઇન્ટરનૅશનલ સ્ટેડિયમમાં ઇન્ડિયા-એ અને શ્રીલંકા-એ વચ્ચે ટ્રાય સિરિઝની ફાઇનલ ટક્કર ચાલી રહી છે. ફાઇનલ મુકાબલામાં તિલક વર્મા બ્રિગેટ જબરદસ્ત ખેલનું પ્રદર્શન કરવા મેદાનમાં છે. ટૉસ જીતીને શ્રીલંકા-એની ટીમે પહેલા બૉલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો.

ભારત તરફથી વૈભવ સૂર્યવંશી અને પ્રિયાંશ આર્ય રમતમાં ઉતર્યા હતા.

ભારતે તોફાની શરૂઆત કરી અને માત્ર ત્રણ જ ઓવરમાં 50નો આંકડો પાર કરી લીધો. વૈભવ સૂર્યવંશીએ શાનદાર પ્રદર્શન કરતા 5 છક્કા અને 5 ચોક્કાની મદદથી માત્ર 11 બૉલમાં અર્ધસદી પૂર્ણ કરી હતી. તેઓ 29 બૉલમાં 94 રન બનાવીને આઉટ થયા હતા. માત્ર છ રન માટે તે સદી ચૂકી ગયા હતા. 94 રનમાં તેમણે 8 છક્કા અને 10 ચોક્કા ફટકાર્યા હતા.

જ્યારે તેઓ આઉટ થયા ત્યારે તેમનો સ્ટ્રાઇક રેટ 324.14નો હતો. કોઈ પણ દેશની એ ટીમમાં સૌથી ઝડપે અર્ધસદી ફટકારવાનો વૈભવનો આ રેકૉર્ડ બન્યો છે.

વૈભવે આ પહેલાં આ સિરીઝમાં એક પણ અર્ધસદી ફટકારી નહોતી. તેમણે ચાર મૅચમાં માત્ર 117 રન બનાવ્યા હતા. તેમનો બેસ્ટ સ્કોર 44 હતો. જોકે, આજે તેમણે બધી મૅચની કસર પૂરી કરી.

ભારતના પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે ઍક્સ પર લખ્યું, "વૈભવ 50 ઓવરની ક્રિકેટની રમતને એવું ફૉર્મેટ માને છે, જેમાં તેઓ વધારે ધમાલ મચાવી શકે. કારણકે 10 ઓવર સુધી સર્કલની બહાર માત્ર બે જ ફિલ્ડર હોય છે, 6 નહીં."

સ્વિટ્ઝર્લૅન્ડમાં ઈરાન-અમેરિકાની વાતચીતમાં શહબાઝ શરીફ પણ થશે સામેલ

અમેરિકા અને ઈરાન વચ્ચે સ્વિટ્ઝર્લૅન્ડમાં આજે સીધી વાતચીત શરૂ થનારી છે. તેમાં મધ્યસ્થ તરીકે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફ અને ફિલ્ડ માર્શલ જનરલ આસિમ મુનીર પણ ભાગ લેશે.

શહબાઝ શરીફની કચેરીએ બીબીસીને જણાવ્યું કે પાકિસ્તાને આખા યુદ્ધ દરમિયાન મધ્યસ્થની ભૂમિકા ભજવી છે. પહેલાં પણ અમેરિકા-ઈરાનની વાતચીતની ઇસ્લામાબાદ ખાતે યજમાની કરી હતી.

પાકિસ્તાનના વડા પ્રધાન કાર્યાલયે ઍક્સ પોસ્ટમાં શનિવારે રાત્રે જ જાણકારી અપાઈ હતી કે "વડા પ્રધાન મોહમ્મદ શહબાઝ શરીફ અને સેના પ્રમુખ ફિલ્ડ માર્શલ સૈયદ આસિમ મુનીર આ વાતચીતમાં ભાગ લેશે. વડા પ્રધાન ઉચ્ચસ્તરીય પ્રતિનિધિમંડળ સાથે ઇસ્લામાબાદથી સ્વિટ્ઝર્લૅન્ડ રવાના થઈ ચૂક્યા છે."

ઉલ્લેખનીય છે કે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સ પણ વાતચીત માટે શનિવારે મોડી રાત્રે વૉશિંગ્ટનથી સ્વિટ્ઝર્લૅન્ડ રવાના થઈ ગયા છે.

ઈરાન તરફથી સંસદના સ્પીકર મોહમ્મદ બગર ગાલિબાફ અને વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી પહેલા જ સ્વિટ્ઝર્લૅન્ડ પહોંચી ચૂક્યા છે.

આ સપ્તાહની શરૂઆતમાં અમેરિકા અને ઈરાનના રાષ્ટ્રપતિઓએ એક પ્રારંભિક સમજૂતી પર હસ્તાક્ષર કર્યા હતા. જેમાં તમામ મોરચા પર યુદ્ધને સમાપ્ત કરવાની અને આવતા 60 દિવસ સુધી અંતિમ સમજૂતી સુધી પહોંચવાની વાત કરાઈ હતી.

ડોનાલ્ડ ટ્રમ્પે હવે હોર્મુઝ સામુદ્રધુનીને લઈને કર્યું આ ઍલાન

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ઍલાન કર્યું છે કે યુદ્ધવિરામ દરમિયાન 60 દિવસ સુધી હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ ટોલ નહીં લાગે.

ડોનાલ્ડ ટ્રમ્પનું આ ઍલાન ત્યારે આવ્યું જ્યારે ઈરાનના ખાતમ અલ-અંબિયા મુખ્યાલયે ઘોષણા કરી કે હોર્મુઝ સ્ટ્રેટને જહાજો માટે 'બંધ' કરવામાં આવે છે.

ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર લખ્યું, "યુદ્ધવિરામ દરમિયાન 60 દિવસો સુધી હોર્મુઝ સ્ટ્રેટમાં કોઈ ટોલ નહીં લાગે. 60 દિવસ પૂર્ણ થયા બાદ પણ કોઈ ટોલ નહીં લાગે. જ્યાં સુધી કે અમેરિકા તરફથી કોઈ ટોલ ન લગાવવામાં આવે."

તેમણે આગળ લખ્યું, "જો સમજૂતી નહીં થાય, તો આ ટોલ એ સેવાઓ માટે લેવાશે જે અમેરિકાએ મિડલ ઇસ્ટના દેશો માટે 'ગાર્ડિયન એન્જલ' બનીને આપી છે. તેમાં જૂના, હાલના અને આવનારા ખર્ચની ભરપાઈ સામેલ છે."

આ પહેલા શનિવારે ઈરાનના રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર (આઈઆરજીસી)ના નૌકાદળે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ તમામ જહાજો માટે બંધ કરી દેવામાં આવ્યું છે. નૌકાદળે તેનું કારણ જણાવતા કહ્યું કે અમેરિકા તથા ઇઝરાયલે યુદ્ધવિરામનું ઉલ્લંઘન કર્યું છે.

બીજી તરફ, અમેરિકાએ એ આરોપનું ખંડન કર્યું છે.

અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે કહ્યું, "અમને એવા કોઈ પુરાવા નથી મળ્યા કે ઈરાનીઓએ હજુ પણ હોર્મુઝ સ્ટ્રેટ બંધ કરી રાખ્યું છે."

આજે નીટની ફરી વખત લેવાશે પરીક્ષા

નીટ (યુજી) 2026ની ફરીથી પરીક્ષા આજે યોજાવાની છે. તે પહેલાં સેન્ટર ફાળવણીને લઈને એક નવા વિવાદને કારણે નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ) ચર્ચામાં આવી ગઈ હતી.

હકીકતમાં એક વિદ્યાર્થીએ દાવો કર્યો કે તેનું પરીક્ષા કેન્દ્ર નાગપુરની જગ્યાએ અબુ ધાબી ફાળવવામાં આવ્યું હતું. જોકે, એનટીએએ અબુ ધાબી સેન્ટર ફાળવવાની જવાબદારી ઉમેદવાર પર જ ઢોળી દીધી છે.

શનિવારે એનટીએએ કહ્યું કે ઉમેદવારે પોતે પોર્ટલ મારફતે પરીક્ષા શહેરની પસંદગીઓમાં ફેરફાર કર્યો હતો. તેણે અબુ ધાબીને પ્રથમ અને દુબઈને બીજી પસંદગી તરીકે પસંદ કર્યું હતું.

જ્યારે વિદ્યાર્થીના પિતા અબ્દુલ્લા તાલિબે કહ્યું કે તેમના પુત્રએ નીટ યુજી પરીક્ષા માટે નાગપુર, વર્ધા અને ભંડારા પરીક્ષા કેન્દ્રોને પ્રાથમિકતા આપી હતી.

નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ 3 મેના રોજ યોજાયેલી નીટ (યુજી) 2026ની પરીક્ષાને પેપરલીકની ફરિયાદ બાદ રદ કરી દીધી હતી. એનટીએએ કહ્યું હતું કે કેન્દ્ર સરકારની મંજૂરી બાદ પરીક્ષા રદ કરવામાં આવી હતી. ત્યારબાદ નીટ પરીક્ષા માટે નવી તારીખની જાહેરાત કરવામાં આવી હતી.

કૉક્રોચ જનતા પાર્ટી : જંતરમંતર પર ધરણા પર બેઠેલા અભિજિત દીપકેએ લોકોને શું અપીલ કરી?

કૉક્રોચ જનતા પાર્ટી (સીજેએપી)ના પ્રમુખ અભિજિત દીપકેએ જાહેરાત કરી છે કે તેઓ 'શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનના રાજીનામા સુધી જંતરમંતર નહીં છોડે.'

તેમણે લોકોને અપીલ કરતાં શનિવારે મોડી રાત્રે સોશિયલ મીડિયા પર એક વીડિયો પોસ્ટ કર્યો હતો.

અભિજિત દીપકેએ લોકોને સવારે 9 વાગ્યે દિલ્હીના જંતર-મંતર પહોંચવાની અપીલ કરી છે, તેમણે કહ્યું કે તેમની આ અપીલ ખાસ કરીને દિલ્હીવાસીઓ માટે છે.

સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર પોસ્ટ કરાયેલા વીડિયોમાં અભિજિત દીપકેએ કહ્યું, "જેમ કે તમે બધા જાણો છો કે અમે હજુ પણ જંતરમંતર પર છીએ. અમારું પ્રદર્શન આખી રાત ચાલુ રહેશે અને કાલે પણ ચાલુ રહેશે. હું આપ સૌને વિનંતી કરું છું કે સવારે નવ વાગ્યે જંતરમંતર આવો, અમને તમારા સમર્થનની જરૂર છે."

તેમણે કહ્યું, "અમે લોકોએ સંપૂર્ણ પ્રયાસ કર્યો, અમે આ પ્રદર્શનને જેટલું ખેંચી શકીએ એટલું ખેંચી ચૂક્યા છીએ. પરંતુ તમારા સાથ વગર આ પ્રદર્શન સફળ નહીં થાય. વિદ્યાર્થીઓ, માતાપિતા અને શિક્ષકો અને ખાસ કરીને દિલ્હીવાસીઓને વિનંતી છે કે તેઓ પ્રદર્શનમાં જોડાય."

દીપકેએ કહ્યું, "તમારા ઘરમાં લડાઈ ચાલી રહી છે, તમારા ઘરમાં અમે તમારો હક માંગીએ છીએ. જો હજુ પણ તમે આગળ નહીં આવો, જો હજુ પણ તમે સાથે નહીં આવો તો આ દેશમાં બચેલી એક આશા પણ સમાપ્ત થઈ જશે. હવે તમારી જવાબદારી છે."

ઉલ્લેખનીય છે કે, શનિવાર બપોરથી જ જંતરમંતર પર સીજેએપીનું પ્રદર્શન ચાલુ છે. જ્યારે દિલ્હી પોલીસે પ્રદર્શનકારીઓને અપીલ કરી છે કે તેઓ શક્ય તેટલી વહેલી તકે પ્રદર્શનસ્થળ ખાલી કરે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન