You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
ડૉક્ટર ગેરહાજર, નર્સે ડિલિવરી કરાવતાં મહિલા-બાળકનાં મોત, અંતિમ ક્રિયા બાદ અસ્થિમાંથી કાતર મળ્યાનો આરોપ
- લેેખક, ગારિકાપતિ ઉમાકાંત
- પદ, બીબીસી માટે
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 5 મિનિટ
તેલંગાણાના ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના ગુંડાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં (પીએચસી) ડૉક્ટરો ઉપલબ્ધ ન હતા ત્યારે વનજા નામનાં એક મહિલાએ ત્યાં હાજર એક સહાયક નર્સની (એએનએમ) દેખરેખમાં બાળકને જન્મ આપ્યો. જોકે, પ્રસૂતિ બાદ માતા અને બાળક બંનેનું મૃત્યુ થયું.
પરિવારના સભ્યો ત્યારે ચિંતિત થઈ ગયા જ્યારે વનજાની અંતિમ ક્રિયા પછી અસ્થિમાંથી સર્જિકલ કાતર મળી આવી છે.
તેલંગાણા માનવ અધિકાર પંચે આ ઘટના બાદ હરકતમાં આવ્યું અને તપાસનો આદેશ આપ્યો.
બીજી તરફ, તેલંગાણાના આરોગ્ય મંત્રી દામોદર રાજનરસિંહા એક્સ પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે આ ઘટનાની સંપૂર્ણ તપાસના આદેશ આપવામાં આવ્યા છે અને જવાબદારો સામે કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે .
તેમણે કહ્યું કે તે સમયે ફરજ પર રહેલા એએનએમ જ્ઞાનેશ્વરી સામે વિભાગીય કાર્યવાહીના આદેશ આપવામાં આવ્યા છે.
ઘટના બાદ બીબીસી ગુંડાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં ખરેખર શું બન્યું એ અંગે તપાસ કરી હતી.
હૉસ્પિટલમાં તે દિવસે ખરેખર શું થયું?
ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લાના ગુંડાલા મંડળના દૂરસ્થ એજન્સી વિસ્તાર શંભુનીગુડેમનાં 20 વર્ષીય ગર્ભવતી મહિલા વનજાને 13 જૂનના રોજ બપોરે 12 વાગ્યે પેટમાં દુખાવો ઊપડતાં ગુંડાલા પ્રાથમિક આરોગ્ય કેન્દ્રમાં લઈ જવાયાં હતાં.
જોકે, એ સમયે હૉસ્પિટલમાં ડૉ. સુદીપ ઉપલબ્ધ નહોતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પરિણામે, ત્યાં હાજર એએનએમએ બાળકને જન્મ અપાવ્યો. જોકે, ત્યાંના સ્ટાફે બાળકના જન્મ બાદ કોઈ મૂવમેન્ટ ન હોવાથી તેને ઇલેન્દુ સરકારી હૉસ્પિટલમાં ખસેડવાનું સૂચન કર્યું.
જોકે, ઍમ્બ્યુલન્સ બે કલાક મોડી એટલે કે સાંજે ચાર વાગ્યે પહોંચી અને તેને ઇલેન્દુ હૉસ્પિટલ લઈ ગઈ, ત્યાંના ડૉક્ટરોએ બાળકને મૃત જાહેર કરી દીધું.
દરમિયાન, વનજાને ત્યાંથી ખમ્મમ સરકારી હૉસ્પિટલ ખાતે લઈ જવાયાં, કારણ કે તેમનો રક્તસ્રાવ બંધ નહોતો થયો અને તેમના ગર્ભાશયમાંથી ભારે રક્તસ્ત્રાવ થઈ રહ્યો હતો. ખમ્મમના ડૉક્ટરોએ જણાવ્યું કે તેમની હાલત પહેલાંથી જ ખરાબ થઈ ગઈ હતી અને બાદમાં તેમનું મૃત્યુ થયું હતું.
સરકારી નિવેદન પ્રમાણે, "વનજા ગુંડાલા પીએચસી ખાતે ગર્ભવતી તરીકે નોંધાયેલાં હતાં અને માતૃત્વ અને બાળ આરોગ્ય માર્ગદર્શિકા અનુસાર નિયમિતપણે ગર્ભાવસ્થા સંબંધિત પરીક્ષણો કરાવવામાં આવ્યાં હતાં."
"13 જૂનના રોજ, તે પ્રસૂતિ પીડા સાથે ગંભીર સ્થિતિમાં પીએચસી પહોંચી અને એક મૃત બાળકને જન્મ આપ્યો."
"બાદમાં, ભારે રક્તસ્રાવ થયા બાદ, તેને તાત્કાલિક પ્રાથમિક સારવાર આપવામાં આવી અને ઇલેન્દુ કૉમ્યુનિટી હેલ્થ સેન્ટર અને ત્યાંથી ખમ્મમ સરકારી જનરલ હૉસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં."
"ડૉકટરો દ્વારા બધી સારવાર કરાયા છતાં, તેનું ભારે રક્તસ્રાવ અને ત્યાર બાદ કાર્ડિયાક અરેસ્ટને કારણે હેમરેજિક શોકને કારણે મૃત્યુ થયું હતું, ડૉક્ટરોએ પણ આ વાતની પુષ્ટિ કરી છે."
શું ગર્ભવતીનું મૃત્યુ ડૉક્ટરની બેદરકારીથી થયું?
મૃતક વનજાના પતિ સંજીવ રાવે બીબીસીને દુ:ખ વ્યક્ત કરતાં કહ્યું કે ગુંડાલા પીએચસીમાં ડૉકટરોની અછત અને સ્ટાફની બેદરકારીને કારણે તેમનાં પત્ની અને નવજાત પુત્રીનું મૃત્યુ થયું.
"દુખાવો શરૂ થતાં જ અમે તરત તેને અમારા ગામથી 15 કિલોમીટર દૂર મંડળના મુખ્ય મથક ગુંડાલા ખાતે પીએચસીમાં લઈ ગયા. ત્યાંના સ્ટાફે સહેજ પણ સાવચેતી રાખ્યા વિના ડિલિવરી કરી. તેના કારણે જ માતા અને બાળકે જીવ ગુમાવ્યા."
"ડિલિવરી બાદ જ્યારે બાળક બિલકુલ હલતું નહોતું. ત્યારે અમે આનું કારણ પૂછ્યું, તો અમને કહેવાયું કે નવજાત બાળકો ક્યારેક આવું કરે છે અને સારી સારવાર માટે તેને હૉસ્પિટલમાં લઈ જવાનું સૂચન કર્યું."
"બાળકનું વજન ત્રણ કિલોગ્રામ હોવાથી, અમે પીએચસી સ્ટાફની વાત સાંભળી અને તેને હૉસ્પિટલ લઈ ગયા."
"પરંતુ ત્યાંના ડૉક્ટરોએ અમને કહ્યું કે બાળક પહેલાંથી જ મૃત્યુ પામ્યું હતું."
સંજીવ રાવે આરોપ લગાવ્યો, "ગુંડાલા પીએચસી સ્ટાફ જાણતો હતો કે અમારું બાળક ત્યાં મૃત્યુ પામ્યું છે. તેમણે અમને ત્યાંથી દૂર મોકલવા માટે ઇલેન્દુ લઈ જવાનું કહ્યું."
અસ્થિમાંથી કાતર મળી આવ્યાનો આરોપ
સંજીવ રાવે તેમનાં પત્ની અને બાળકનાં મૃત્યુ પર શોક વ્યક્ત કર્યો.
"મારી પત્ની ઇલેન્દુ હૉસ્પિટલમાં લોહી વહેતું બંધ થયા પછી બેભાન થઈ ગઈ. ત્યાંના ડૉક્ટરોએ તેને વધુ સારી સારવાર માટે ખમ્મમ સરકારી હૉસ્પિટલમાં લઈ જવાની સલાહ આપી."
"તેને તાત્કાલિક ખમ્મમ લઈ જવામાં આવી અને આઇસીયુમાં રાખવામાં આવી. થોડા સમય પછી, ડૉક્ટરોએ કહ્યું કે તેનું મૃત્યુ થયું છે."
વનજાના પતિ સંજીવ રાવે બીબીસીને જણાવ્યું, "અંતિમ સંસ્કાર પછીની વિધિના ભાગ રૂપે, અગ્નિ સંસ્કારના સ્થળ પરથી અસ્થિ એકત્રિત કરતી વખતે સારવાર માટે વપરાતી કાતર મળી આવી હતી."
'વનજા જ્યારે આવ્યાં ત્યારે તેમની હાલત સારી નહોતી'
ગુંડાલા પીએચસીના ડૉ. સુદીપે બીબીસીને જણાવ્યું કે એ વાત સાચી છે કે જ્યારે વનજાની ડિલિવરી થઈ ત્યારે તેઓ પીએચસીમાં નહોતા.
તેમણે કહ્યું કે તેઓ બીજા ગામમાં રસીકરણ અંગે જાગૃતિ કાર્યક્રમ હોવાથી એ દિવસે જ ત્યાં ગયા હતા. તેમણે કહ્યું કે વનજાને ડિલિવરી માટે 14 તારીખ આપવામાં આવી હોઈ તેઓ આગલા દિવસે રસીકરણ કાર્યક્રમમાં ગયા હતા.
"વનજા જ્યારે આવ્યાં ત્યારે તેમની હાલત સારી નહોતી. હકીકતમાં, જ્યારે તેઓ પીએચસી પર પહોંચ્યાં ત્યારે બાળકનું માથું તેમના ગર્ભાશયમાંથી બહાર નીકળી ગયું હતું."
"નર્સો ઉપલબ્ધ ન હોવાથી, એએનએમએ કાળજીપૂર્વક ડિલિવરી કરાવી અને બાળકને બહાર કાઢ્યું. તેમણે જોયું કે બાળક જન્મ સમયે હલતું નહોતું."
"જોકે, ક્યારેક જન્મ સમયે કોઈ હલનચલન થતી નથી, પરંતુ તે થોડા સમય પછી હલનચલન થવા લાગે છે."
"આ વાતને ધ્યાનમાં રાખીને, તેમણે બાળકને હૉસ્પિટલ લઈ જવાની સલાહ આપી."
સુદીપે જણાવ્યું, "અમે બાળકીની સ્થિતિનું પણ અવલોકન કર્યું અને તેને હૉસ્પિટલ જવાની સલાહ આપી."
"અમારા સ્ટાફે ડિલિવરીમાં કોઈ બેદરકારી દાખવી નહોતી. આવું જવલ્લે બનતા કિસ્સામાં બને છે. આ ખરેખર એક દુર્ભાગ્યપૂર્ણ ઘટના છે."
ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લા તબીબી અને આરોગ્ય અધિકારી ડૉ. તુકારામ રાઠોડે બીબીસીને જણાવ્યું હતું કે સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ ચાલી રહી છે.
તેમણે કહ્યું કે ગુંડાલા પીએચસીના ડૉ. સુદીપને પહેલાંથી જ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે, અને એએનએમ અને તે દિવસે બાળકને જન્મ આપનારા સ્ટાફની કામગીરીની તપાસ કરવામાં આવી રહી છે, અને જો તેઓ દોષિત જણાશે તો કડક પગલાં લેવામાં આવશે.
આરોગ્ય મંત્રીના નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઘટના સમયે ફરજ પર ગેરહાજર રહેનારા ગુંડાલા પીએચસીના મેડિકલ ઑફિસર ડૉ. સુદીપને તપાસ પૂર્ણ ન થાય ત્યાં સુધી સસ્પેન્ડ કરવાના આદેશ અપાયા છે.
'અમારે એ કાતર સાથે કોઈ લેવાદેવા નથી'
ડીએમએચઓએ બીબીસીને જણાવ્યું કે સંજીવ રાવના પરિવારના સભ્યો દાવો કરી રહ્યા હતા કે તેમના અંતિમ સંસ્કાર પછી વનજાની અસ્થિઓમાંથી કાતર મળી આવી હતી, પરંતુ કોઈ વાસ્તવિક ઑપરેશન થયું ન હોઈ કાતરનો ઉપયોગ કરવાની કોઈ જરૂર જ નહોતી.
તેમણે કહ્યું, "તે નૉર્મલ ડિલિવરી હોઈ ક્યાંય ટાંકા લેવાની જરૂર નહોતી. જ્યાં સુધી હું જાણું છું, કાતર શરીરમાંથી આવી નથી. પરિવાર સાથે જે થયું તે અન્યાય છે. અમારા વિભાગના વરિષ્ઠ અધિકારીઓ તપાસ પછી નક્કી કરશે કે તેમને કેવી રીતે વળતર આપવામાં આવશે."
તેલંગાણા માનવાધિકાર પંચે આ ઘટના બાદ માતા અને બાળકના મૃત્યુ અંગે આકરી પ્રતિક્રિયા આપી છે. કમિશનના પીઆરઓ શ્રીનિવાસ રાવે બીબીસીને જણાવ્યું હતું કે જિલ્લા તબીબી અને આરોગ્ય અધિકારીને સમગ્ર મામલાની સંપૂર્ણ તપાસ કરવા અને સંપૂર્ણ રિપોર્ટ રજૂ કરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
બીજી તરફ, તેલંગાણા સરકારે પણ આ ઘટનાની તમામ ઍંગલથી વ્યાપક તપાસ કરવા અને ભવિષ્યમાં આવી ઘટનાઓનું પુનરાવર્તન અટકાવવા માટે જરૂરી પગલાં સૂચવવા માટે એક ઉચ્ચ સ્તરીય સમિતિની નિમણૂક કરી છે. જેમાં જાહેર આરોગ્ય નિયામક ડૉ. રવિન્દર નાયક, સંયુક્ત નિયામક (માતા અને બાળ આરોગ્ય) ડૉ. સુધીરા, ભદ્રાદ્રી કોઠાગુડેમ જિલ્લા તબીબી અને આરોગ્ય અધિકારી ડૉ. તુકારામ રાઠોડ અને ડીસીએચએસ ડૉ. જી. રવિબાબુનો સમાવેશ કરાયો છે.
સરકારે કહ્યું કે આ ટીમ સંપૂર્ણ તપાસ બાદ અહેવાલ રજૂ કરશે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન