ગુજરાત : ખેડૂતો પાસેથી જમીન ખરીદ્યા કે સંપાદન કર્યા વગર ખાનગી કંપનીઓ વીજળીના થાંભલા ઊભા કેમ કરી શકે છે?

  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 9 મિનિટ

છેલ્લા એક અઠવાડિયાથી મોરબી જિલ્લાના જેતપર ગામમાં ખેડૂતો અદાણી ગ્રૂપની હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ નામની કંપની દ્વારા તેમની જમીનોમાં વીજળીના વહન માટેની લાઇનના થાંભલા ઊભા કરવાની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે.

આશરે 300 કિલોમીટર લાંબી આ લાઇન કચ્છમાં પાકિસ્તાન સરહદની નજીક ખાવડામાં સૂર્ય પ્રકાશ અને પવનની મદદથી વીજળીનું ઉત્પાદન કરવા માટે આકાર લઈ રહેલા હાઇબ્રિડ રિન્યુએબલ ઍનર્જી પાર્કમાં ઉત્પન્ન થનાર 30 ગિગાવૉટ વીજળીમાંથી સાત ગિગાવૉટ વીજળીનું ખાવડાથી મોરબી જિલ્લાના હળવદ સુધી વહન કરવા માટે ઊભી કરાઈ રહી છે.

કેન્દ્ર સરકારની માલિકીની પાવરગ્રિડ કૉર્પોરેશન ઑફ ઇન્ડિયા લિમિટેડની પેટા કંપની પાવરગ્રિડ વટામણ ટ્રાન્સમિશન લિમિટેડ હળવદથી અમદાવાદના વટામણ સુધી આશરે 130 કિલોમીટર લાંબી ટ્રાન્સમિશલ લાઇન ઊભી કરી સાત ગિગાવૉટ વીજળીનું વહન કરવા માટેની લાઇન ઊભી કરી રહી છે.

આ લાઇન મોરબીની પૂર્વે આવેલા સુરેન્દ્રનગર જિલ્લામાંના કોંઢ ગામમાંથી પસાર થાય છે.

કોંઢના ખેડૂતો પણ લગભગ છેલ્લાં ત્રણ અઠવાડિયાંથી આ પાવરલાઇનની કામગીરીનો વિરોધ કરી રહ્યા છે.

મોરબીની પશ્ચિમે આવેલા કચ્છ જિલ્લાના ખેડૂતોએ હળવદ ટ્રાન્સમિશન લિમિટેડની ખાવડા-હળવદ લાઇનની કામગીરીનો ગયા વર્ષે સપ્ટેમ્બરથી નવેંબર એમ ત્રણ મહિના સુધી વિરોધ કર્યો હતો.

આ ત્રણેય જિલ્લાઓમાં ખેડૂતોની રાવ સરખી જ છે—કંપની તેમની જમીનનું પૂરતું વળતર આપ્યા વગર જ વીજલાઇન માટેના ટાવર એટલે કે થાંભલા ઊભા કરી રહી છે અને તાર બાધી રહી છે.

ઊંચા વળતરની માગણીને પ્રબળ બનાવવા માટે કૉંગ્રેસના પાલ આંબલિયા અને લાલજી દેસાઈની આગેવાનીમાં સોમવારે ગાંધીનગરમાં ખેડૂતોની ટ્રૅક્ટર રેલીનું આયોજન કર્યું હતું.

પરંતુ રેલી અમદાવાદ શહેરથી આગળ વધી શકી ન હતી. આમ આદમી પાર્ટીએ પણ આ મુદ્દે ખેડૂતોની આગેવાની લીધી છે.

જમીન ખરીદ્યા વગર કંપનીઓ થાંભલા કેમ ઊભા કરી શકે છે?

હળવદ ટ્રાન્સમિશન કંપની થાંભલા ઊભા કરવા માટે થાંભલા દીઠ ખેડૂતોની આશરે 492 ચોરસ મીટર જમીન વાપરી રહી છે (4037 ચોરસ મીટર=1 એકર). તે જ રીતે આ થાંભલા પર લટકાવવામાં આવનાર તાર ખેડૂતોની જમીન ઉપર આશરે 67 મીટર એટલે કે આશરે 220 ફૂટ પહોળો પટ્ટો રચશે.

સુરેન્દ્રનગરમાં પાવરગ્રિડ પણ આશરે આટલી જ જમીન તેની 765 કિલો વૉટ(ટૂંકમાં કે.વી.)ની લાઇન માટે વાપરી રહી છે. બંને કંપનીએ ખેડૂતોને આપેલ નોટિસમાં જણાવ્યું છે તેઓ ખેડૂતોની જમીન ન તો ખરીદી રહી છે કે ન તો તેનું સંપાદન કરી રહી છે.

પાવરગ્રિડે તેની નોટિસમાં ખેડૂતોને જણાવ્યું છે, "ઉપરોક્ત ટાવર નિર્માણ તથા લાઇનના વીજતાર માટે ઉપયોગમાં લેવાયેલી જમીન માત્ર RoW (રાઇટ ઑફ વે)ના ઉપયોગ બાબતે છે."

"ટ્રાન્સમિશન લાઇસન્સધારક વપરાશકર્તાના અધિકાર સિવાય અન્ય કોઈ અધિકાર પ્રાપ્ત કરશે નહીં."

"જમીન સંપાદન કરવાની થતી નથી જેથી જમીનની માલિકી જે તે જમીન માલિકની જ રહેશે, લાઇન નિર્માણના કાર્ય વખતે થયેલા પાક/વૃક્ષોનું વળતર અલગથી આપવામાં આવશે."

RoW એ Right of Way (રાઇટ ઑફ વે)નું ટૂંકુ રૂપ છે. તેનો અર્થ વપરાશ કરવાના હક્ક કે રસ્તાનો હક્ક તેવો થાય છે.

આ બંને કંપનીએ તેમને મળેલા RoWનો ઉપયોગ કરીને ખેડૂતોની અસહમતી અને વિરોધ છતાં ટ્રાન્સમિશન લાઇન્સની કામગીરી શરુ કરી શકી છે.

કોને ખાનગી જમીનમાંથી પસાર થવાના હક્ક મળી શકે?

ભારતમાં જમીન માલિકો સામાન્ય રીતે પોતાની જમીનનનો વપરાશ કરવા, ભાડે આપવા કે વેચાણ કરવાના હક્કો ધરાવે છે. પરંતુ રાજકોટમાં વકીલાત કરતા ઍડ્વોકેટ વિજય તોગડિયાએ બીબીસી ગુજરાતીને જણાવ્યું કે "ભારતમાં જમીનની અંતિમ માલિકી તો સરકારની જ છે."

તેમણે કહ્યું, "ખેડૂતો અને અન્ય જમીન માલિકો ખરા અર્થમાં તો તેમની જમીનનો અમુક હેતુ માટે ઉપયોગ કરવાના હક્ક ધરાવતી વ્યક્તિ જ છે. આ જ કારણસર કોઇ ખેડૂતે જો તેની જમીનમાં ખેતી સિવાય કંઇક કરવું હોય તો સરકાર પાસેથી પહેલા જમીનને બિન-ખેતીમાં રુપાંતર કરવાની મંજૂરી લે છે. જો કોઇ ખેડૂતની જમીનમાંથી કોલસો, સોનું કે હીરા નીકળે તો સરકાર તે જમીન ખેડૂત પાસેથી લઇ લેવાની સત્તા ધરાવે છે."

તોગડિયા ઉમેરે છે કે આ જ કારણોસર પાણી, ગૅસ, ખનીજ તેલ વગેરેનું વહન કરવા માટે ખાનગી જમીનની અંદર પણ પાઇપલાઇન દાટવા અને વીજળીનું વહન કરવા માટે થાંભલા અને તાર નાખવા RoW દાખલ કરે છે.

તોગડિયા કહે છે કે, સરકારી નિગમો અને કંપનીઓ વીજલાઇનો માટે RoWનું સંપાદન ભારતીય ટેલિગ્રાફ અધિનિયમ, 1885 અને ભારતીય વીજળી અધિનિયમ,2003 હેઠળ કરતી હોય છે.

બ્રિટિશ સરકારના સમયમાં બનેલ ટેલિગ્રાફ અધિનિયમની કલમ 10માં ટેલિગ્રાફ ઑથોરિટી એટલે કે ટેલીગ્રાફની સુવિધા પૂરી પાડનાર સંસ્થાને "કોઈ પણ સ્થાવર મિલ્કતમાં" ટેલીગ્રાફના તાર અને થાંભલા નાખવા માટે વિશેષાધિકાર આપવામાં આવ્યા છે.

કલમ 10 માં લખ્યું છે, "જરૂર પડે ત્યારે ટેલિગ્રાફ ઑથોરિટી કોઈ પણ સ્થાવર મિલકતની નીચે, ઉપર, સમાંતર કે આડી રેખામાં ટેલિગ્રાફ લાઇન તેમ જ કોઈ પણ સ્થાવર મિલકતની અંદર કે ઉપર થાંભલા નાખી શકશે અને તેની દેખભાળ કરી શકશે."

ટેલિગ્રાફ ઑથોરિટીને ટેલિગ્રાફ અધિનિયમની કલમ 10 હેઠળ મળેલી સત્તાઓ અને અધિકારો સરકાર વીજળી પૂરી પાડવાનું કામ કરતા કોઈ સરકારી અધિકારી, લાઇસન્સધારક કે વ્યક્તિને વીજળી અધિનિયમની કલમ 164 હેઠળ આપી શકે છે. હળવદ ટ્રાન્સમિશન લિમિટેડ અને પાવરગ્રિડ વટાણને સરકારે વીજળીનું પ્રવહન કરવાના લાઇસન્સ આપેલું છે. તેથી આ કંપનીઓને ખેડૂતોની સહમતી વગર પણ ટાવર ઊભા કરવા અને તાર નાખવાનો અધિકાર મળેલો છે.

તો કંપનીઓ વળતર શેનું આપે છે?

વીજલાઇનો માટે કંપનીઓ જમીનો ભલે ન ખરીદે કે સંપાદિત ન કરે પરંતુ તેમની કામગીરીથી ખેડૂતોના ઊભા પાક કે બાગાયતી પાકો કે વૃક્ષોને નુકસાન થાય અને કંપનીએ તેનું વળતર આપવું પડે છે.

એ ઉપરાંત ટેલિગ્રાફ અધિનિયમની કલમ 10 હેઠળ ટેલિગ્રાફ ઑથોરીટીને મળેલી સત્તાઓ ચાર શરતોને આધીન છે. તેમાંની ચોથી શરત એ છે કે ટેલિગ્રાફ ઑથોરિટી થાંભલા અને તાર નાખતી વખતે ખાનગી માલિકીની સ્થાવર મિલકતને ઓછામાં ઓછું નુકસાન કરશે અને સંપત્તિના માલિકને થયેલી નુકસાનીનું પૂરેપૂરું વળતર આપશે.

વીજળી અધિનિયમની કલમ 67માં પણ જણાવવામાં આવ્યું છે કે આવા કામથી અસરગ્રસ્ત વ્યક્તિઓને "વળતર કે ભાડું" આપવાના નિયમ સરકાર ઘડી શકશે.

જે ભાગમાં ટાવર ઊભો કરવામાં આવ્યો હોય તેટલી જમીન કાયમ માટે રોકાઈ જાય છે. તે ઉપરાંત તાર નીચેની જમીન પર ખેડૂતો વૃક્ષો વાવી શકતા નથી કે કોઈ બાંધકામ પણ કરી શકતા નથી. આમ, જમીનના વપરાશ પર પણ નિયંત્રણો આવી જાય છે. તેથી, વીજલાઇન નાખતી કંપનીએ તેનું વળતર પણ ચૂકવવું પડે છે.

વળતર કઈ રીતે નક્કી થાય છે?

ગુજરાતના કિસાન કૉંગ્રેસના પ્રમુખ જયેશ પટેલ કહે છે કે વર્ષ 2015 સુધી પાવરલાઇનથી ખેડૂતને થતા નુકસાનનું વળતર નક્કી કરવા કોઈ ચોક્કસ નીતિ-નિયમો ન હતા.

કેન્દ્ર સરકારે 15 ઑક્ટોબર, 2015ના રોજ આ બાબતે એક માર્ગદર્શિકા ઘડી નક્કી કર્યું કે 66 કેવી કે તેનાથી વધારે વીજભારની લાઇનોના ટાવર માટેની જમીનનું વળતર જમીનની બજાર કિંમતના 85 ટકા અને તારના કૉરિડોરની જમીન માટે જમીનની બજાર કિંમતના 15 ટકા લેખે આપવું.

તેમાં કહેવામાં આવ્યું કે બજાર કિંમત જિલ્લા મૅજિસ્ટ્રેટ એટલે કે જિલ્લા કલેક્ટર અથવા "કોઈ પણ ઑથોરિટી" એટલે કે અધિકારી કે સત્તામંડળ નક્કી કરશે. જમીનની બજાર કિંમત જે તે સર્કલના જંત્રીના દર એટલે કે જમીનની સરકારી ચોપડે નોંધાયેલી કિંમત, માર્ગદર્શક કિંમત, સ્ટૅમ્પ ઍક્ટ એટલે કે મહેસુલ અધિનિયમ હેઠળ નક્કી કરવામાં આવશે.

ત્યાર બાદ વર્ષ 2020માં સરકારે આ માર્ગદર્શિકામાં સુધારો કરી કહ્યું કે કૉરિડોરની જમીન પર નિયંત્રણો આવી જતાં હોવાથી બિન-વપરાશ ભથ્થા તરીકે કૉરિડોરના વળતરમાં બજાર ભાવના 15 ટકા વધારાનું વળતર આપવું.

14 જૂન 2024ના રોજ અગાઉની બંને માર્ગદર્શિકા રદ કરી કેન્દ્ર સરકારે નવી માર્ગદર્શિકા જાહેર કરી ઠરાવ્યું કે સામાન્ય સંજોગોમાં જંત્રીના દરને બજાર કિંમત ગણવામાં આવશે પરંતુ જો બજાર કિંમત જંત્રીની દર કરતાં ઊંચી હોય તો રાજ્ય સરકારે નક્કી કર્યું હોય તે પદ્ધતિ અપનાવી જિલ્લા કલેક્ટર જમીનની કિંમત નક્કી કરશે.

નવી માર્ગદર્શિકામાં જણાવાયું કે ટાવરના તળિયા એટલે કે ટાવરના ચાર પાયા વચ્ચે રહેલ જમીનનું વળતર જમીનની કિંમતના 200 ટકા જેટલું અને કૉરિડોરનું વળતર જમીનની કિંમતના 30 ટકા લેખે ચૂકવવું પડશે.

ત્યાર બાદ 21 માર્ચ 2025ના રોજ એક પુરવણી માર્ગદર્શિકા જાહેર કરી કેન્દ્ર સરકારે જમીનની કિંમત નક્કી કરવાની રીત સૂચવી. તે અનુસાર જમીનની કિંમત જિલ્લા કલેક્ટર કે તેના દ્વારા નિમાયેલ અધિકારીના વડપણ હેઠળ રચાયેલ બજાર કિંમત સમિતિ નક્કી કરશે. આ બજાર કિંમત સમિતિમાં એક પ્રતિનિધિ અસરગ્રસ્ત ખેડૂતોનો અને એક પ્રતિનિધિ જે તે પાવર કંપનીનો હશે.

જમીનની બજાર કિંમત નક્કી કરવા માટે એક મૂલ્યાંકનકાર ખેડૂતો પસંદ કરશે અને બીજો મૂલ્યાંકનકાર કંપની નક્કી કરશે.

જો આ બંને મૂલ્યાંકનકારો અલગ અલગ બજાર કિંમત સૂચવે પરંતુ તેમાં તફાવત નીચામાં નીચી કિંમત કરતાં 20 ટકાથી ઓછો હોય તો તે બંને કિંમતની સરેરાશ બજાર કિંમત ગણાશે.

જો તફાવત 20 ટકા કરતાં વધારે હોય તો બજાર કિંમત સમિતિ વાટાઘાટો કરી શકે. જો તેમાં સંમતિ ન સધાય તો સમિતિ એક ત્રીજા મૂલ્યાંકનકાર નીમશે અને તે જે બજાર કિંમત સૂચવે તે અંતિમ ગણાશે.

તો ગુજરાતના ખેડૂતોનો વિરોધ કયા મુદ્દે છે?

બીબીસી ગુજરાતીએ કચ્છ અને સુરેન્દ્રનગરની મુલાકાત કરી વિરોધ કરી રહેલ ખેડૂતો સાથે વાત કરી હતી.

ખેડૂતોએ બીબીસીને જણાવ્યું હતું કે તેમની જમીનોની બજાર કિંમત જંત્રીના દર કરતાં કેટલાંય ગણી વધારે છે તેથી તેમને વળતર બજાર કિંમત મુજબ મળવું જોઇએ.

તેમણે એમ પણ કહ્યું હતું કે પાવરલાઇન આવી જવાથી તેમની બધી જ જમીનની બજાર કિંમત ઘટી જાય છે. કારણ કે તેવી જમીન સરળતાથી બિન-ખેતીમાં રૂપાંતર કરી શકાતી નથી. તેથી વળતર માત્ર કેટલી જમીન વપરાય છે તેને ધ્યાનમાં રાખીને નક્કી કરાય છે તે અન્યાયી છે.

જયેશ પટેલ કહે છે કે ખાવડા-હળવદ અને હળવદ-વટામણ લાઈનો માટે ગુજરાતના ખેડૂતોને મળવાપાત્ર વળતરની ગણતરી કેન્દ્ર સરકારની માર્ગદર્શિકા અનુસાર થવી જોઈએ.

તેમણે કહ્યું, "ટ્રાન્સમિશન લાઇનની બાબતમાં જમીનની કિંમત નક્કી કરવાની રાજ્ય સરકારને સત્તા છે. પરંતુ આ બંને લાઇનો 'ઇન્ટર સ્ટેટ ટ્રાન્સમિશન સ્કીમ' એટલે કે એક રાજ્યમાંથી બીજા રાજ્ય સુધી વીજળીનું વહન કરવાની યોજનાઓ હોવાથી કેન્દ્ર સરકારે સૂચવેલ પદ્ધતિ અને ધારાધોરણો અનુસાર વળતરની રકમ નક્કી કરવી જોઈએ."

કૉંગ્રેસના નેતાએ ઉમેર્યું, "ખેડૂતોની માંગણી છે કે અમારી જમીનમાં થાંભલા અને તાર નાખી તમે ધંધો કરો, તમે નફો કરો તો અમને નફામાં ભાગીદાર કરો અથવા માસિક ભાડું આપો અથવા 2013ના જમીન સંપાદન કાયદા હેઠળ બજાર કિંમતના ચાર ગણા લેખે વળતર આપો અથવા ખેડૂત દીઠ બે કરોડ વળતર આપો."

પરંતુ આ બંને લાઇનો માટે જમીનની કિંમત જે તે જિલ્લાની જમીન મૂલ્યાંકન સમિતિએ નક્કી કરી છે અને રાજ્ય સરકારના અધિકારીઓ કહે છે કે તે નિયમ અનુસાર છે.

સરકારે 14 ઑગસ્ટ, 2017માં એક ઠરાવ કરી નિર્ણય કર્યો હતો કે ટ્રાન્સમિશન લાઇનોના પ્રોજેક્ટમાં ખેડૂતોને ટાવર માટે જંત્રીના દરના 85 ટકા અને તારના કૉરિડોર માટે જંત્રીની દરના 7.5 ટકા વળતર મળશે. ત્યાર પછી તેમાં સમયાંતરે ફેરફાર કરી તેમાં વધારા કરાયા છે. છેલ્લે 1 માર્ચ, 2024ના ઠરાવ મુજબ ટાવર માટે જંત્રીના દરના 200 ટકા લેખે અને કૉરિડોર માટે તે જ દરે જમીનની કિંતમ નક્કી કરી તેના 25 ટકા વળતર પેટે ચૂકવવા તેવું ઠરાવેલું છે.

12 ડિસેમ્બર, 2024ના રોજ રાજ્ય સરકારે અન્ય એક ઠરાવ કરી જાહેર કર્યું કે ખેડૂતો વળતર બાબતે વાંધા ઉઠાવે તો કલેક્ટરના વડપણવાળી જિલ્લા જમીન મૂલ્યાંકન સમિતિ જમીનની કિંમત નક્કી કરશે. આ સમિતિમાં કલેકટર અધ્યક્ષ હોય છે અને જિલ્લા વિકાસ અધિકારી, નિવાસી અઘિક કલેક્ટર, જિલ્લાના ટાઉન પ્લાનર અને જિલ્લામાં સ્ટૅમ્પ ડ્યૂટીનો હવાલો ધરાવતા ડેપ્યુટી કલેક્ટર તેના સભ્ચો હોય છે.

વળી, કેન્દ્ર સરકારની 2025ની માર્ગદર્શિકા રાજ્યોને બંધનકર્તા નથી. માર્ગદર્શિકામાં જણાવ્યું છે, "રાજ્ય સરકારો આ માર્ગદર્શિકાને પૂર્ણ સ્વરૂપે અપનાવી શકશે અથવા તેમની પોતાની સુધારા-વધારા કરેલી માર્ગદર્શિકા અપનાવી શકશે." તે મુજબ ગુજરાત સરકાર તેણે કરેલ ઠરાવો અનુસાર વળતર નક્કી કરે છે તેમ સરેન્દ્રનગરના નિવાસી અધિક કલેકટર કે. આર. પટેલે બીબીસી ગુજરાતીને જણાવ્યું હતું.

બીબીસી માટે કલેક્ટીવ ન્યૂઝરૂમનું પ્રકાશન