You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
એક સમયે ભારતીય રાજવી પરિવારની માલિકીના 17મી સદીના 'સુપર કમ્પ્યૂટર'ની લંડનમાં થઈ હરાજી, આ સાધનમાં શું છે ખાસ?
- લેેખક, નિખિલ ઇનામદાર
- પદ, બીબીસી સંવાદદાતા
- વાંચવાનો સમય: 5 મિનિટ
17મી સદીનું અદ્ભુત પિત્તળનું ઍસ્ટ્રૉલૅબ (હાથમાં પકડી શકાય તેવું ખગોળીય કમ્પ્યૂટર) એક સમયે પશ્ચિમ ભારતીય શહેર જયપુરના શાહી સંગ્રહનો ભાગ હતું, તેને લંડનમાં સોથેબી ખાતે લિલામ કરવામાં આવ્યું હતું.
લંડનમાં તે 2 મિલિયન પાઉન્ડ એટલે કે અંદાજિત 25 કરોડ 65 લાખ રૂપિયામાં વેચાયું હતું. આ હરાજીનું આયોજન કરનારા સોથેબીના પ્રતિનિધિએ બીબીસીને જણાવ્યું કે, તેનાથી ઇસ્લામિક વિશ્વના ખગોળશાસ્ત્રીય સાધનની હરાજીનો નવો રેકૉર્ડ બન્યો છે. આ સપ્તાહે ઑક્શન હાઉસની લંડન ગૅલેરીમાં તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.
સોથેબીના ઇસ્લામિક અને ભારતીય કળા વિભાગના વડા બૅનેડિક્ટ કાર્ટરે બીબીસીને કહ્યું હતું કે આ "કદાચ અત્યાર સુધીની સૌથી મોટી બાબત છે" અને અગાઉ ક્યારેય તેને પ્રદર્શિત કરવામાં આવ્યું નથી.
જયપુરના મહારાજા સવાઈ માનસિંહના શાહી સંગ્રહનો ભાગ ગણાતું આ ઍસ્ટ્રૉલૅબ, મહારાજાના મૃત્યુ પછી તેમનાં પત્ની મહારાણી ગાયત્રીદેવીને સોંપવામાં આવ્યું હતું. ગાયત્રીદેવી તેમના સમયની સૌથી જાજરમાન મહિલાઓ પૈકીનાં એક હતાં. ત્યાર બાદ તેમના જીવનકાળમાં જ ઍસ્ટ્રૉલૅબ એક અંગત સંગ્રહનો હિસ્સો બની ગયું હતું.
ઍસ્ટ્રૉલૅબ બહુસ્તરીય, ઇન્ટરલૉકિંગ ઘટકો ધરાવતી ધાતુની ડિસ્ક છે, જેનો ઉપયોગ ઐતિહાસિક રીતે સમય જાણવા, તારાઓના નકશાને જાણવા અને આકાશની ગતિ દર્શાવવા માટે કરવામાં આવતો હતો.
ઑક્સફર્ડ સેન્ટર ફૉર હિસ્ટ્રી એન્ડ સાયન્સ, મેડિસિન એન્ડ ટૅક્નૉલૉજીનાં ડૉ. ફૅડરિકા ગિગાન્ટેએ કહ્યું હતું કે "તે મૂળભૂત રીતે ત્રિ-પરિમાણીય બ્રહ્માંડનું દ્વિ-પરિમાણીય પ્રોજેક્શન છે. હું તેની તુલના આધુનિક સ્માર્ટફોન સાથે કરું છું, કારણ કે તમે તેના વડે ઘણું બધું કરી શકો છો."
"તમે સૂર્યાસ્ત, સૂર્યોદયનો સમય, ઇમારતની ઊંચાઈ, કૂવાની ઊંડાઈ અને અંતરની ગણતરી કરી શકો છો. ભવિષ્યની આગાહી માટે પણ તેનો ઉપયોગ કરી શકો છો. પંચાગની સાથે એક સમયે જન્માક્ષર બનાવવા માટે તેનો ઉપયોગ કરવામાં આવતો હતો."
શું છે ઍસ્ટ્રૉલૅબનો ઇતિહાસ?
ઍસ્ટ્રૉલૅબ્સ સૌપ્રથમ પ્રાચીન ગ્રીસમાં ઈ.સ. પૂર્વે બીજી સદીમાં વિકસાવવામાં આવ્યાં હતાં અને તે આઠમી સદી સુધીમાં ઇસ્લામિક વિશ્વમાં ફેલાઈ ગયાં હતાં. એ પછીની સદીઓમાં તેનાં ઉત્પાદન કેન્દ્રો ઇરાક, ઈરાન, ઉત્તર આફ્રિકા અને અલ-અંદાલુસ (હાલના સ્પેન)માં વિકસ્યાં હતાં.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ ખાસ સાધન, હવે પાકિસ્તાનમાં આવેલા લાહોરમાં 17મી સદીની શરૂઆતમાં બનાવવામાં આવ્યું હતું. એ સમયે લાહોર મુઘલ વિશ્વમાં ઍસ્ટ્રૉલૅબના નિર્માણનું એક અગ્રણી કેન્દ્ર બની ગયું હતું. કૈમ મુહમ્મદ અને મુહમ્મદ મુકીમ નામના બે ભાઈઓએ એક મુઘલ ઉમરાવ માટે તેને બનાવ્યું હતું.
આ જોડી કથિત "લાહોર સ્કૂલ"નો ભાગ હતી અને લાહોર સ્કૂલ એ સમયે ઍસ્ટ્રૉલૅબનાં ઉત્પાદનનાં સૌથી પ્રખ્યાત કેન્દ્રો પૈકીની એક હતી. આ હસ્તકળા એક જ પરિવારમાં જાળવી રાખવામાં આવી હતી અને પરિવારની એક પછી એક પેઢીને તે વારસામાં મળી હતી.
કૈમ અને મુહમ્મદે સાથે મળીને ફક્ત બે ઍસ્ટ્રૉલૅબ બનાવ્યા હોવાનું જાણવા મળે છે. બીજું ઍસ્ટ્રૉલૅબ ઇરાકના એક નાના સંગ્રહાલયમાં રાખવામાં આવ્યું છે.
આ સાધન અકા અફઝલ નામના એક ઉમરાવે બનાવડાવ્યું હતું. અકા અફઝલ એ સમયગાળામાં લાહોરનો વહીવટ સંભાળતા હતા. મૂળ ઈરાનના ઇસ્ફહાનના વતની અકા અફઝલે મુઘલ સમ્રાટો જહાંગીર અને શાહજહાંના કાર્યકાળમાં અનેક ઉચ્ચ હોદ્દાઓ સંભાળ્યા હતા. આ સાધનનું વિશાળ કદ અને ભવ્યતા આશ્રયદાતાના કદને પ્રતિબિંબિત કરે છે.
કાર્ટરે કહ્યું હતું કે "તેનું વજન 8.2 કિલો છે, જ્યારે વ્યાસ લગભગ 30 સેમી અને ઊંચાઈ લગભગ 46 સેમી છે, જે 17મી સદીના ભારતના સામાન્ય ઍસ્ટ્રૉલૅબ કરતાં લગભગ ચાર ગણું છે."
"તેમાં એક આકર્ષક ક્રૉસ-કલ્ચર તત્ત્વ પણ છે. તારા નિર્દેશકોનાં સ્ટાન્ડર્ડ નામો ફારસી ભાષામાં છે અને સાથે દેવનાગરી લિપિમાં કોતરેલા તેના સમાનાર્થી સંસ્કૃત શબ્દો પણ છે."
સોથેબીના જણાવ્યા મુજબ, આ સાધન પર 94 શહેરોનાં નામ લખેલાં છે. દરેક શહેરના અક્ષાંસ અને રેખાંશ પણ અંકિત છે. સાથે-સાથે 38 તારાનાં પૉઇન્ટર્સ પણ છે, જે ફૂલોનાં બારિક નકશીકામ સાથે સંકળાયેલાં છે. તેમાં પાંચ અત્યંત ચોકસાઈપૂર્વક કૅલિબ્રેટ કરવામાં આવેલી પ્લેટ્સ અને ડિગ્રી ડિવિઝન પણ છે.
"તે એટલા ઝીણવટભર્યા છે કે તેમને એક ડિગ્રીના ત્રીજા હિસ્સા સુધી ઉપ-વિભાજિત કરવામાં આવ્યા છે," એમ કાર્ટર જણાવે છે.
કાર્ટરના કહેવા મુજબ, આ સ્તરનું ઝીણવટભર્યુ કામ લાહોર સ્કૂલનું અસાધારણ કૌશલ્ય દર્શાવે છે. લાહોર સ્કૂલ એ સમયે તેના સૌથી સર્વોચ્ચ સ્તરે હતી. અહીં તકનીકી ચોકસાઈ, કાર્યક્ષમતા અને કળાત્મક સુંદરતા એવી રીતે એકરૂપ થઈ ગઈ છે કે એ તેને, અગાઉ મધ્યપૂર્વમાં બનાવવામાં આવેલાં ઍસ્ટ્રૉલૅબ્સથી અલગ પાડે છે. તે ઍસ્ટ્રૉલૅબ્સ કદાચ માત્ર કામ માટે જ ઉપયોગી હતાં.
આ ચીજ મુઘલ દરબારના વ્યાપક વૈજ્ઞાનિક અભિગમને પણ દર્શાવે છે. મુઘલ દરબારમાં શાસકો અને દરબારીઓ ખગોળશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રની પ્રગતિમાં વધુ રસ લેતા હતા.
ડૉ. ગિગાન્ટેએ કહ્યું હતું કે "એ માત્ર મોટું, સુંદર અને ભારેખમ નથી. તે એટલું સચોટ છે કે તમને (અવકાશી પદાર્થની) ઉંચાઈની ચોક્કસ ડિગ્રી પણ દર્શાવશે."
તેમણે ઉમેર્યું હતું કે એકમાત્ર તુલનાત્મક સાધન કદાચ પર્શિયાના રાજા અબ્બાસ દ્વિતિય માટે બનાવવામાં આવ્યું હતું.
સોથેબીના જણાવ્યા મુજબ, આ ઍસ્ટ્રૉલૅબની નૈસર્ગિક સ્થિતિ અને શાહી મૂળને કારણે સંગ્રહાલયો તથા સંગ્રાહકો તેમાં ઊંડો રસ લેશે તેવી અપેક્ષા છે.
અગાઉનો રેકૉર્ડ એક ઓટોમન ઍસ્ટ્રૉલૅબના નામે હતો. તે સુલતાન બાયઝિદ દ્વિતિય માટે બનાવવામાં આવ્યું હતું. તે આ ઍસ્ટ્રૉલૅબ કરતાં બહુ નાનું હતું અને તે 2014માં 10 લાખ પાઉન્ડથી થોડી ઓછી કિંમતે વેચાયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન