સુરતમાં 20 વર્ષ પહેલાં જ્યારે ભયાનક પૂર આવ્યું અને હજારો લોકો પહેરેલાં કપડે જીવ બચાવવા ભાગ્યા

ઇમેજ સ્રોત, Getty Images
સાલ 2006માં સુરતમાં વિનાશક પૂર આવ્યું હતું જે સુરતના ઇતિહાસનુ વિનાશક પૂર કહી શકાય. આ વિનાશક પૂરમાં સુરત શહેરને અબજો રૂપિયાનું નુકસાન થયું હતું.
સુરતનો મોટાભાગનો વિસ્તારમાં 10-15 ફીટ પાણીમાં ગરકાવ થઈ ગયો હતો અને લોકોને પહરેલાં કપડે આશરો લેવાનો વારો આવ્યો હતો.
ત્રણથી ચાર દિવસ સુધી પૂરનાં પાણીએ સમગ્ર શહેરને બાનમાં લીધું હતું.સુરતના અડાજણ, પાલ, રાંદેર, કતારગામ, છાપરાભાઠા, પૂણા, સિમાડા, લિંબાયત, તળ સુરત જેવા મોટાભાગના વિસ્તારો જળમગ્ન થઈ જતાં લોકો અટવાઈ ગયા હતા. સુરતના ઉપરવાસમાં સ્થિત ઉકાઈ ડૅમથી મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવતા પૂર આવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
આઈઆઈએમ અમદાવાદની પબ્લિક સિસ્ટમ્સ ગ્રુપ દ્વારા સુરત પૂર ઉપર એક સંશોધન કરવામાં આવ્યું હતું.
ડૉ. દિલીપ માવંળકર અને અમિતકુમાર શ્રીવાસ્તવ દ્વારા આ સંશોધન હાથ ધરવામાં આવ્યું હતું જેમાં શહેરમાં આટલું ભારે પૂર કઈ રીતે આવ્યું તેનાં કારણો જાણવાનો પ્રયત્ન કરવામાં આવ્યો હતો.
તેઓ લખે છે કે 7 ઑગસ્ટ 2006ની સવારે હોપ બ્રિજ પાસે તાપી નદીનું જળસ્તર આશરે 8.5 મીટર હતું અને શહેરના નીચાણવાળા વિસ્તારોમાં કોઈ પૂર આવ્યું નહોતું.
આ દરમિયાન ઉકાઈ ડૅમના અધિકારીઓએ અચાનક ડૅમમાંથી વિશાળ પ્રમાણમાં પાણી છોડવાનું શરૂ કર્યું હતું. બપોરે આવનારા પૂરની ચેતવણી જાહેર કરવામાં આવી હતી. પરંતુ લોકોને કોઈ ખ્યાલ નહોતો કે કેટલું પાણી આવવાનું છે.

ઇમેજ સ્રોત, Getty Images
બપોરે આશરે 3 વાગ્યાની આસપાસ શહેરના નીચાણવાળા વિસ્તારોમાં પૂરનાં પાણી પ્રવેશવા લાગ્યાં અને મધરાત સુધીમાં શહેરના મોટાભાગના વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
હોપ બ્રિજ પાસે નદીનું જળસ્તર 12 મીટરના સર્વોચ્ચ સ્તરથી પણ ઉપર પહોંચી ગયું. સુરત શહેરના લગભગ 80 ટકા વિસ્તારમાં પૂર આવ્યું હતું.
શહેરના મોટાભાગના વિસ્તારોમાં 10થી 20 ફૂટ સુધી પાણી ભરાઈ ગયાં હતાં, જ્યારે અન્ય ઘણા વિસ્તારો મધ્યમ (5થી 10 ફૂટ) અથવા ઓછા પ્રમાણનું પૂર (1 થી 5 ફૂટ) આવ્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
પૂરના કારણે 20 લાખ કરતાં વધુ લોકોને અસર થઈ હતી. પુરુષો, મહિલાઓ અને બાળકોને ચાર દિવસ અને ચાર રાત સુધી પોતાના ઘરમાં અથવા ધાબા પર ફસાઈ રહ્યાં હતાં.
તેમની પાસે વીજળી, પીવાનું પાણી, દૂધ, શાકભાજી, ખોરાક અને બહારની દુનિયા સાથે સંપર્ક સાધવાનાં કોઈ સાધનો ઉપલબ્ધ નહોતાં.
સંશોધનમાં કહેવામાં આવ્યું છે કે વરસાદ થવાના કારણે ઉકાઈ ડૅમનું જળસ્તર સતત વધી રહ્યું હતું તેમ છતાં તેમાંથી પાણી છોડવામાં આવી રહ્યું નહોતું.

ઇમેજ સ્રોત, Getty Images
રિપોર્ટ અનુસાર 3 ઑગસ્ટના રોજ જ્યારે ગુજરાતના તે સમયના નર્મદા જળસંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી નરોત્તમભાઈ પટેલે જણાવ્યું હતું કે, "હાલમાં જળાશયમાં પાણીનું સ્તર 334 ફૂટ છે અને 15 ઑગસ્ટ સુધી તેને નિયત સ્તર 337 ફૂટ સુધી પહોંચાડવું જરૂરી છે. જો પાણીનું સ્તર 345 ફૂટથી ઉપર જશે તો ડૅમ માટે જોખમ ઊભું થઈ શકે, પરંતુ તે પહેલાં કોઈપણ પાણી છોડવાનો પ્રશ્ન જ ઊભો થતો નથી."
બંને પોતાના સંશોધનમાં લખે કે 6 ઑગસ્ટના રોજ પૂરનાં પાણી મોટા પ્રમાણમાં જળાશયમાં પ્રવેશવા લાગ્યાં પછી પણ કોઈ મોટા પ્રમાણમાં પાણી છોડવામાં આવ્યું નહોતું.

ઇમેજ સ્રોત, Getty Images
પાણીના સ્તરમાં આવેલા અચાનક અને ઝડપી વધારાને કારણે લોકો પોતાની કિંમતી વસ્તુઓ લીધા વગર જ ઊંચા સ્થળોએ ભાગવા મજબૂર બન્યા હતા અને ઘણા પોતાના પરિવારજનોથી વિખૂટા પડી ગયા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
ઊંચાં મકાનો અથવા ઍપાર્ટમેન્ટમાં રહેતા ઘણા લોકોએ પૂરના સમયમાં પોતાના પડોશીઓને આશરો અને ભોજન પૂરું પાડ્યું હતું.
પૂર દરમિયાન અને ત્યારબાદ, સુરત તથા તેની આસપાસના વિસ્તારોના હજારો લોકોએ શહેરમાં ઝડપથી ખોરાક, પીવાનું પાણી, દૂધ, તાજી શાકભાજી વગેરેનું વિતરણ કર્યું હતું.

ઇમેજ સ્રોત, Getty Images
સંશોધન અનુસાર પૂર દરમિયાન ઉકાણ ડૅમમાંથી પ્રથમ તબક્કામાં 1044 MCM (8.5 લાખ ક્યુસેક) પાણી છોડવામાં આવી રહ્યું હતું જે બીજા તબક્કામાં વધારીને 1100 MCM (9 લાખ ક્યુસેક) સુધી કરી નાંખવામાં આવ્યું હતું.
પૂરના કારણે સુરત શહેર અને જિલ્લામાંથી લગભગ એક લાખ લોકોનું સ્થળાંતર કરાવવામાં આવ્યું હતું અને અન્ય 20 હજારથી વધુ લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા હતા.

ઇમેજ સ્રોત, Getty Images
સરકારી અધિકારીઓ, સામાન્ય નાગરિકો, બિનસરકારી સંસ્થાઓ (NGOs) વગેરે સૌએ મળીને પૂરનું પાણી ઓસર્યા પછી પાછળ રહી ગયેલા કાદવ અને ગંદકીની સફાઈનું વિશાળ કાર્ય પૂર્ણ કરવા માટે મોટા પાયે સહયોગ આપ્યો હતો.
લોકો અને રાહત એજન્સીઓના અવિરત અને વિશાળ પ્રયત્નો છતાં, પૂરને કારણે શહેરને ભારે નુકસાન વેઠવું પડ્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















