આસામમાં હિમંતા બિસ્વા સરમા ભાજપ ધારાસભ્ય દળના નેતા બન્યા - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Sanjeev Verma/Hindustan Times via Getty Images
હિમંતા બિસ્વા સરમાને આસામમાં ભાજપ ધારાસભ્ય દળના નેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. તેઓ 12મેએ આસામના મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે. આ સમારોહમાં વડા પ્રધાન નરેન્દ્ર મોદી મુખ્ય અતિથિ તરીકે હાજર રહેશે.
ધારાસભ્ય દળના નેતાની ચૂંટણી માટે નિરીક્ષક તરીકે કેન્દ્રીય મંત્રી જેપી નડ્ડા અને સહ-નિરીક્ષક તરીકે હરિયાણાના મુખ્ય મંત્રી નાયબસિંહ સૈની શનિવારે ગુવાહાટી પહોંચ્યા હતા.
આસામમાં ભાજપના નેતૃત્વ હેઠળના ગઠબંધનને 102 બેઠકો મળી છે, જ્યારે કૉંગ્રેસની આગેવાની હેઠળના ગઠબંધને 21 બેઠકો જીતી છે.
વિજયની શપથવિધિ પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, LUIS ROBAYO/AFP via Getty Images
તામિલનાડુમાં ટીવીકેના અધ્યક્ષ સી. જોસેફ વિજયે મુખ્ય મંત્રી તરીકે શપથ લીધા છે. ત્યાર પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને શુભેચ્છા પાઠવતા કહ્યું કે કેન્દ્ર સરકાર તામિલનાડુ સરકારની સાથે મળીને કામ કરતી રહેશે.
પીએમ મોદીએ ઍક્સ પર લખ્યું કે, "તામિલનાડુના મુખ્ય મંત્રીપદે શપથ લેવા બદલ સી. જોસેફ વિજયને અભિનંદન. તેમને કાર્યકાળ માટે શુભકામનાઓ."
તેમણે લખ્યું કે, "કેન્દ્ર સરકાર તામિલનાડુ સરકાર સાથે મળીને લોકોનું જીવન બહેતર બનાવવા માટે કામ કરતી રહેશે."
વિધાનસભાની ચૂંટણીમાં ટીવીકેએ 234માંથી 108 બેઠકો જીતી છે. કૉંગ્રેસ, સીપીઆઇ, સીપીઆઇ (એમ), વીસીકે અને ઇન્ડિયન યુનિયન મુસ્લિમ લીગના ટેકાથી તેમણે બહુમત મેળવ્યો છે.
વીનેશ ફોગાટે ભારતીય કુસ્તી સંઘની નોટિસ પછી શું કહ્યું?

ઇમેજ સ્રોત, X/@Phogat_Vinesh
ભારતીય કુસ્તી સંઘ (ડબલ્યુએફઆઇ)એ પહેલવાન વીનેશ ફોગાટને ગેરશિસ્ત અને એન્ટી-ડોપિંગ નિયમો તોડવાના આરોપ સાથે એક નોટિસ મોકલી છે. ત્યાર પછી વીનેશ ફોગાટે પોતાની પ્રતિક્રિયા આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીનેશ ફોગાટે શનિવારે ઍક્સ પર એક પોસ્ટમાં શાયરી લખી, "જિંદગી ફંસી હૈ, કિસી મઝધાર મેં, જમાના ઢૂંઢતા હૈ ખામી મેરે કિરદાર મેં...જિંદગી, તેરા સર સદા બુલંદ રખા હૈ, ઝુકાને કી તાકત નહીં કિસી તલવાર મેં."
પીટીઆઇ મુજબ ડબલ્યુએફઆઇએ કહ્યું હતું કે ખેલાડીઓએ નિવૃત્તિ પાછી લેતી વખતે એન્ટી-ડોપિંગ નિયમો હેઠળ છ મહિનાની નોટિસ આપવી પડે છે, પરંતુ વીનેશે તે નોટિસ પૂરી નથી કરી.
ડબલ્યુએફઆઇએ એમ પણ કહ્યું કે વીનેશ ફોગાટ 26 જૂન સુધી સ્થાનિક સ્પર્ધાઓમાં રમવા માટે અયોગ્ય રહેશે.
અહીં ધ્યાનમાં રાખવું જરૂરી છે કે વીનેશ ફોગાટ ગોંડામાં શરૂ થઈ રહેલી નૅશનલ ઓપન રેકિંગ ઇવેન્ટમાં રમવાની તૈયારી કરી રહ્યાં છે.
ગુજરાતમાં છ દિવસ સુધી હીટ વેવની આગાહી, આટલા જિલ્લામાં સખત ગરમી પડશે

ઇમેજ સ્રોત, Getty Images
હવામાન વિભાગે ગુજરાતમાં આજથી છ દિવસ સુધી હીટ વેવની આગાહી કરી છે, જેના કારણે રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં ગરમીનો પારો ઊંચો રહેશે. આ દરમિયાન લોકોને બપોરના સમયે બિનજરૂરી ઘરની બહાર ન નીકળવાની સલાહ આપવામાં આવી છે.
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 10 મેએ રાજકોટ, પોરબંદર, દ્વારકા, સુરત, કચ્છમાં છૂટાંછવાયાં સ્થળે હીટ વેવની સ્થિતિ રહેશે.
11 મે, સોમવારે બનાસકાંઠા, પાટણ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, રાજકોટ, પોરબંદર, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં સખત ગરમી પડશે.
12 મેએ પણ પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, વડોદરા, સુરત, સુરેન્દ્રનગર, પોરબંદર, રાજકોટ, અમરેલી, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, કચ્છ અને દીવમાં હીટ વેવની આગાહી છે.
13મેએ પણ આ તમામ જિલ્લામાં મોટા ભાગની જગ્યાએ સખત ગરમી પડશે. 14 મેએ બનાસકાંઠા, પાટણ, ગાંધીનગર, અમદાવાદ, આણંદ, દ્વારકા અને કચ્છમાં કેટલીક જગ્યાએ હીટ વેવની સ્થિતિ સર્જાવાની આગાહી છે.
15 મેએ બનાસકાંઠા, પાટણ, દ્વારકા અને કચ્છમાં છૂટીછવાઈ જગ્યાએ હીટ વેવનો અનુભવ થશે.
પાકિસ્તાનમાં પોલીસ ચોકી પર હુમલામાં ત્રણ પોલીસ કર્મચારીનાં મોત

ઇમેજ સ્રોત, JEWEL SAMAD/AFP via Getty Images
પાકિસ્તાનના ખૈબર પખ્તૂનખ્વાહમાં એક કટ્ટરપંથી હુમલામાં ત્રણ પોલીસ કર્મચારીઓનાં મોત થયાં છે.
સમાચાર એજન્સી રૉયટર્સ મુજબ બન્નુ શહેરના બહારના વિસ્તારમાં એક પોલીસચોકી સાથે વિસ્ફોટકો ભરેલી ગાડી ટકરાઈ હતી. તેનાથી વિસ્ફોટ થયો અને ત્રણ પોલીસ કર્મચારી માર્યા ગયા હતા.
સુરક્ષા અધિકારીઓએ જણાવ્યું કે પોલીસ કર્મચારીઓ જ્યારે મદદ માટે ઘટનાસ્થળે પહોંચ્યા ત્યારે તેમના પર પણ ઘાત લગાવીને હુમલો કરવામાં આવ્યો.
પોલીસ અધિકારી સજ્જાદ ખાને જણાવ્યું કે, "ચોકી પર તહેનાત 15 કર્મચારીમાંથી મોટા ભાગના માર્યા ગયા હોવાની આશંકા છે અને પોલીસચોકી સંપૂર્ણ રીતે બરબાદ થઈ ગઈ છે."
અન્ય એક પોલીસ અધિકારીએ જણાવ્યું કે, "આતંકવાદીઓએ પહેલા વિસ્ફોટકો ભરેલી ટ્રકથી ચોકી પર હુમલો કર્યો અને પછી અંદર ઘૂસીને પોલીસ કર્મચારીઓ પર ગોળીબાર કર્યો હતો."
સુપ્રિયા સુલેને કાર અકસ્માત નડ્યો, બધા સુરક્ષિત

ઇમેજ સ્રોત, Anshuman Poyrekar/Hindustan Times via Getty Images
રાષ્ટ્રવાદી કૉંગ્રેસ પાર્ટી - શરદચંદ્ર પવાર (એનસીપી-એસપી)ના નેતા અને લોકસભાનાં સાંસદ સુપ્રિયો સુલેએ જણાવ્યું કે શનિવારે તેમની ગાડીનો પુણે-મુંબઈ હાઈવે પર અકસ્માત થયો હતો.
સુપ્રિયા સુલેએ ઍક્સ પર લખ્યું, "પુણેથી મુંબઈ જતી વખતે હાઈવે પર ખરાબ અનુભવ થયો. એક ગાડીએ મારી કારને સાઇડમાં ટક્કર મારી દીધી. સદનસીબે બધા લોકો સુરક્ષિત છે."
તેમણે લખ્યું કે, "આવી ઘટનાઓ આપણને યાદ અપાવે છે કે બહુ ઝડપથી અને બેદરકારીથી કાર ચલાવવી કેટલા લોકોના જીવ જોખમમાં નાખી શકે છે. હું બધાને અપીલ કરું છું કે સીટ બેલ્ટ લગાવો, સતર્ક રહો અને જવાબદારીથી કાર ચલાવો, જેથી બધા સુરક્ષિત રહે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન




























