દિલ્હીના માલવીયનગરમાં રેસ્ટોરાંમાં આગ, અત્યાર સુધી ચાર મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા- ન્યૂઝ અપડેટ

દિલ્હી માલવીયનગર

ઇમેજ સ્રોત, PTI

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

સમાચાર સંસ્થા પીટીઆઈ અનુસાર દિલ્હીના માલવીયનગર વિસ્તારમાં લેમન ગ્રીન નામના રેસ્ટોરાંમાં આગ લાગવાનો મામલો સામે આવ્યો છે.

આ ઘટનામાં 10 લોકોનાં મોત થયાં હોવાના અહેવાલ છે. જોકે વહીવટીતંત્રે અત્યાર સુધી ચાર મૃતદેહો મળ્યા હોવાની પુષ્ટિ કરી છે.

દક્ષિણ દિલ્હીમાં દિલ્હી ડિઝાસ્ટર મૅનેજમેન્ટ ઑથોરિટીના એસડીએમે આ ઘટનામાં ચાર મૃતદેહો મળ્યા હોવાના વાત કહી છે. સાથે જ તેમણે જણાવ્યું કે સાત-આઠ લોકો આ ઘટનામાં ઘાયલ થયા છે.

ઘટના પર વડા પ્રધાન કાર્યાલયે, દિલ્હીનાં મુખ્ય મંત્રી રેખા ગુપ્તાએ દુ:ખ વ્યક્ત કર્યું છે. વડા પ્રધાન કાર્યાલયે ઍક્સ પર પોસ્ટ કરીને આ ઘટનામાં જીવ ગુમાવનારા લોકોના પરિવારજનો માટે બે લાખ અને ઘાયલોને 50 હજાર રૂપિયાનું વળતર આપવાની જાહેરાત કરી છે.

પીએમઓએ લખ્યું છે કે વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે દિલ્હીના માલવીયનગરમાં આગ લાગવાથી થયેલાં મોત દુખદ છે. જે લોકોએ પોતાના પરિવારજનોને ગુમાવ્યા છે, તેમના પ્રત્યે સંવેદનાઓ."

"ઘાયલોના જલદી સાજા થવાની કામના કરું છું. અધિકારી પ્રભાવિત લોકોને શક્ય મદદ કરી રહ્યા છે."

એસડીએમ જિતેન્દ્રકુમારે કહ્યું કે, "બિલ્ડિંગની નીચે કોઈ રેસ્ટોરાં ચાલી રહ્યું હતું અને આગનું કારણ હજુ જાણી શકાયું નથી. રેસ્ટોરાંને કારણે બિલ્ડિંગમાં આગ લાગી હોય એવી શક્યતા વધારે છે."

"બધી વિગતો અમારી પાસે નથી પણ અત્યાર સુધી ચાર મૃતદેહો મળી ગયા છે. સાત-આઠ ઘાયલોને હૉસ્પિટલમાં દાખલ કરાયા છે."

જિતેન્દ્રકુમારે કહ્યું કે આવી ઘટના ફરી ન થાય તે માટે આવી ઇમારતો સામે કડક કાર્યવાહી કરવાની જરૂર છે.

નૉર્વે ચેસ 2026: ભારતના પ્રજ્ઞાનાનંદે દુનિયાના નંબર વન ખેલાડી મૅગ્નસ કાર્લસનને બીજી વખત હરાવ્યા

ભારતીય ગ્રૅન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદ, ચેસ ખેલાડી મૅગ્નસ કાર્લસન, રાઉન્ડ-રૉબિન ટુર્નામેન્ટ, chess, બીબીસી ગુજરાતી, chess grandmaster Rameshbabu Praggnanandhaa

ઇમેજ સ્રોત, DIBYANGSHU SARKAR/AFP via Getty Images

ભારતીય ગ્રૅન્ડમાસ્ટર આર પ્રજ્ઞાનાનંદે મંગળવારે દુનિયાના નંબર વન ચેસ ખેલાડી મૅગ્નસ કાર્લસનને તેમના જ ઘરમાં બીજી વખત હરાવ્યા છે.

નૉર્વે ચેસ 2026 માં ક્લાસિકલ ગેમમાં કાર્લસનને હરાવ્યા બાદ પ્રજ્ઞાનાનંદે આ મોટી ટુર્નામેન્ટમાં પોતાની દાવેદારી મજબૂત કરી લીધી છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઈ અનુસાર, રાઉન્ડ-રૉબિન ટુર્નામેન્ટમાં પ્રજ્ઞાનાનંદ એકલા એવા ખેલાડી છે જેમણે આ વર્ષે ક્લાસિકલ ગેમમાં કાર્લસનને બે વખત હરાવ્યા છે.

વિશ્વ ચૅમ્પિયન ડી ગુકેશના ખિતાબ જીતવાની આશા પહેલાં જ ખતમ થઈ ગઈ છે. આઠમા રાઉન્ડમાં તેઓ ફ્રાન્સના અલીરેઝા ફિરોઝઝા સામે હારી ગયા હતા.

ત્યાર બાદ તેઓ આઠ અંકો સાથે ટેબલ પૉઇન્ટમાં સૌથી નીચે પહોંચી ગયા હતા. 2024માં વિશ્વ ખિતાબ જીત્યા બાદ તેમનું પ્રદર્શન હતાશાજનક જ રહ્યું છે.

કર્ણાટક: ડીકે શિવકુમાર આજે સાંજે 4 વાગ્યે મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે

કર્ણાટક કોંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર

ઇમેજ સ્રોત, Raj K Raj/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, ડીકે શિવકુમાર સાથે કેટલાક મંત્રીઓ પણ શપથ લેશે (ફાઇલ ફોટો)

કર્ણાટક કૉંગ્રેસના અધ્યક્ષ ડીકે શિવકુમાર બુધવારે સાંજે મુખ્ય મંત્રી તરીકે શપથ લેશે.

સમાચાર એજન્સી પીટીઆઈ અનુસાર, રાજ્યપાલ થાવરચંદ ગેહલોત સાંજે 4 વાગ્યે લોકભવનના ગ્લાસ હાઉસમાં પદ અને ગોપનીયતા અંગેના શપથ લેવડાવશે. તેમની સાથે કેટલાક મંત્રીઓ પણ પદના શપથ લેશે. આ સમારોહ લોકભવનમાં યોજાઈ રહ્યો છે.

સમાચાર એજન્સી પીટીઆઈએ સૂત્રોના હવાલાથી જણાવ્યું છે કે ડીકે શિવકુમાર સાથે 12થી 14 મંત્રીઓ શપથ લઈ શકે છે.

મંગળવારે, કૉંગ્રેસના ટોચના નેતાઓએ પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયા અને શિવકુમાર સાથે બેઠક કરી હતી. જેમાં રાજ્યના નવા મંત્રીમંડળને અંતિમ સ્વરૂપ આપવા અંગે ચર્ચા થઈ હતી.

આ દરમિયાન, કૉંગ્રેસે પૂર્વ મુખ્ય મંત્રી સિદ્ધારમૈયાને કૉંગ્રેસ વર્કિંગ કમિટીના સભ્ય બનાવ્યા છે.

ઉલ્લેખનીય છે કે 64 વર્ષીય શિવકુમારને 30મેના રોજ કર્ણાટક કૉંગ્રેસ વિધાનસભાના સત્તા પક્ષના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા હતા.

ઈરાને એક અમેરિકાના ઍરબેઝને નિશાન બનાવ્યું, તો જવાબમાં અમેરિકાએ કેશમ ટાપુ પર કર્યો હુમલો

અમેરિકા, ઈરાન, હુમલો

ઇમેજ સ્રોત, Morteza Nikoubazl/NurPhoto via Getty Images

ઇમેજ કૅપ્શન, આઈઆરજીસીનો દાવો છે કે તેણે અમેરિકાના ફિફ્થ ફ્લીટ પર હુમલો કર્યો હતો (ફાઇલ ફોટો)
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાની રિવૉલ્યુશનરી ગાર્ડ કૉર્પ્સ (આઈઆરજીસી)એ બુધવારે જણાવ્યું હતું કે તેણે ગઈકાલે મોડી રાત્રે અમેરિકાની ફિફ્થ ફ્લીટ અને એક અમેરિકન ઍરબેઝને નિશાન બનાવ્યું હતું.

આઈઆરજીસીનું કહેવું છે કે આ એક જવાબી હુમલો હતો, કારણ કે અમેરિકાએ તેના ટેલિકૉમ ઍન્ટેના અને ઈરાની તેલ ટૅન્કરને નિશાન બનાવ્યું હતું.

બીજી તરફ, અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ) એ કહ્યું કે તેમણે અનેક ઈરાની બૅલિસ્ટિક મિસાઇલો અને ડ્રોનને અટકાવી અને નષ્ટ કર્યા છે.

બીબીસી પર્શિયનના અહેવાલ મુજબ, સેન્ટકોમે જણાવ્યું હતું કે તેણે "સમગ્ર પ્રદેશમાં હુમલા શરૂ કરવાના ઈરાની પ્રયાસો"ના જવાબમાં કેશમ ટાપુ પર કેટલાંક લક્ષ્યો પર સ્વ-બચાવ હુમલાઓ કર્યા છે.

જો કે, આ પહેલાં અમેરિકાએ એવો દાવો કર્યો હતો કે તેણે ઈરાન તરફ જઈ રહેલા ખાલી તેલના ટૅન્કરને નિશાન બનાવ્યું હતું.

સેન્ટકૉમે જણાવ્યું હતું કે અમેરિકાના વિમાને બોત્સ્વાનાનો ધ્વજ ધરાવતા એમ/ટી જહાજના ઍન્જિન રૂમ પર હેલફાયર મિસાઇલ છોડી હતી.

આઈઆરજીસીએ તેના નિવેદનમાં જણાવ્યું હતું "અમે અગાઉથી જ ચેતવણી આપી હતી કે આક્રમતાની સ્થિતિમાં, પ્રતિક્રિયા અલગ અને વધુ ગંભીર હશે અને અમે તે મુજબ કાર્યવાહી કરી"

ઉલ્લેખનીય છે કે અમેરિકન સેનાએ 13 એપ્રિલથી હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાની બંદરો પર આવતાં જતાં તમામ જહાજો પર નાકાબંધી લાદી હતી.

એનટીએએ કહ્યું, ટેકનિકલ ખામીને કારણે સીયૂઈટી યુજીની પરીક્ષા પ્રભાવિત, હવે 6 અને 7 જૂને યોજાશે પરીક્ષા

સીયૂઈટી, પરીક્ષા

ઇમેજ સ્રોત, Sanchit Khanna/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, ટેકનિકલ સમસ્યાઓના કારણે 3765 ઉમેદવારોની પરીક્ષા છૂટી ગઈ (પ્રતીકાત્મક તસવીર)

નૅશનલ ટેસ્ટિંગ એજન્સી (એનટીએ)એ માહિતી આપી છે કે સીયૂઈટી (યુજી) 2026ની પરીક્ષા આગામી 6-7 જૂનના રોજ એવા ઉમેદવારો માટે લેવામાં આવશે જેમની પરીક્ષા ટેકનિકલ સમસ્યાઓને કારણે પ્રભાવિત થઈ હતી.

એનટીએએ તેના ઍક્સ હૅન્ડલ પર તારીખોની જાહેરાત કરીને માહિતી આપી હતી કે અપડેટ કરેલા ઍડમિટ કાર્ડ સત્તાવાર પૉર્ટલ પરથી ડાઉનલોડ કરી શકાશે.

ઉલ્લેખનીય છે કે 30મેના રોજ શિફ્ટ-1 પરીક્ષા દરમિયાન, દેશભરનાં ઘણાં કેન્દ્રોમાં ટેકનિકલ ખામીઓને કારણે પેપર સમયસર શરૂ થઈ શક્યું ન હતું.

આ કારણે 3765 ઉમેદવારોઓની પરીક્ષા છૂટી ગઈ હતી. હવે એનટીએ આ 3765 વિદ્યાર્થીઓને ફરીથી પરીક્ષા આપવાની તક આપી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન