ગુજરાતમાં હજુ બે દિવસ સુધી આ જિલ્લાઓમાં અતિભારે વરસાદની આગાહી, ક્યાં ઑરેન્જ એલર્ટ જાહેર કરાયો

ઇમેજ સ્રોત, Getty Images
અમદાવાદસ્થિત હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે ગુજરાતના અલગ અલગ ભાગોમાં ચોમાસાની પ્રક્રિયા તીવ્ર બની છે.
છેલ્લા ચોવીસ કલાકમાં વલસાડના કપરાડામાં સૌથી વધારે 4.45 ઇંચ વરસાદ પડ્યો છે જ્યારે ભરૂચમાં 3.82 ઇંચ, વલસાડના નાનાપોંઢા તાલુકામાં 3.54 ઇંચ, ધરમપુરમાં 3.43 ઇંચ, બોટાદના બરવાળામાં 3.39 ઇંચ, મહેસાણાના બેચરાજીમાં 3.35 ઇંચ, નવસારીના વાંસદામાં 3.27 ઇંચ વરસાદ પડ્યો છે.
આ ઉપરાંત વાપી તાલુકામાં 3.11, ઉમરપાડામાં ત્રણ, ચુડામાં 2.82, ગરુડેશ્વરમાં 2.76, ઉમરગાંવમાં 2.64, રાણપુરમાં 2.64 ઇંચ વરસાદ નોંધાયો છે.
તેની સાથે સાથે દાહોદ, અંબિકા, નવસારી, કપડવંજ, ખેડા, ઝઘડિયા, ડેડિયાપાડા, માતર, જલાલપોર, કઠલાલ, બોરસદ, ધંધુકા, ભરૂચ અને ભેસાણ તાલુકામાં પણ બેથી અઢી ઇંચ સુધી વરસાદ પડ્યો છે.
છેલ્લા ચોવીસ કલાકમાં દક્ષિણ ગુજરાતમાં તાપી, ડાંગ, નર્મદા, સુરત, જિલ્લામાં છૂટાછવાયાં સ્થળોએ અતિ ભારે વરસાદ નોંધાયો છે. નવસારી અને ભરૂચ જિલ્લામાં પણ અલગ-અલગ જગ્યાએ ભારે વરસાદ નોંધાયો હોવાનું બુલેટિન જણાવે છે.
અત્યારે કઈ સિસ્ટમ સક્રિય છે?

ઇમેજ સ્રોત, IMD
હાલમાં મધ્ય પ્રદેશ અને પડોશમાં વિદર્ભના વિસ્તાર પર એક લો પ્રેશર એરિયાની રચના થઈ છે. તેના કારણે એક સાઇક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે જે સમુદ્રની સપાટીથી 7.6 કિમીની ઊંચાઈએ સ્થિત છે. આગામી ચોવીસ કલાકમાં તે રાજસ્થાન અને ઉત્તર ગુજરાત તરફ આગળ વધે તેવી આગાહી છે.
હાલમાં જૈસલમેર, કોટા પરથી એક મોન્સુન ટ્રફ પસાર થાય છે જેના કારણે દક્ષિણ-પશ્ચિમ મધ્ય પ્રદેશ, વિદર્ભ, રાજનંદનગાંવ અને ભવાનીપટના પર લો પ્રેશર એરિયાના કેન્દ્રનું સર્જન થયું છે.
હવે ક્યાં વરસાદ પડશે?
હવામાન વિભાગના બુલેટિન પ્રમાણે 14 સપ્ટેમ્બર, સોમવારે દક્ષિણ ગુજરાતમાં ભરૂચ, સુરત, અને નવસારી તથા સૌરાષ્ટ્રમાં જામનગર, પોરબંદર, જૂનાગઢ, દ્વારકા, ગીર સોમનાથ અને દીવમાં છૂટાછવાયાં સ્થળોએ અતિભારે વરસાદ પડવાની આગાહી છે. આ તમામ જિલ્લાઓ માટે ઑઞરેન્જ એલર્ટની જાહેરાત કરવામાં આવી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
આ ઉપરાંત સુરેન્દ્રનગર, રાજકોટ, અમરેલી, ભાવનગર, મોરબી, બોટાદ, કચ્છ, અમદાવાદ, આણંદ, નર્મદા, તાપી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ પડી શકે છે.
આ દરમિયાન પવનની ઝડપ 30થી 40 કિમી પ્રતિ કલાક રહેશે અને વરસાદની સાથે ગાજવીજ જોવા મળી શકે છે. ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના તમામ જિલ્લામાં હળવાથી મધ્યમ વરસાદ પડવાની આગાહી છે.
15 સપ્ટેમ્બર, મંગળવારે સૌરાષ્ટ્રમાં કેટલીક જગ્યાએ ભારે વરસાદ થવાની આગાહી છે જેમાં રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકા જિલ્લાનો સમાવેશ થાય છે. આ બનાસકાંઠા, વાવ-થરાદ, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી તથા ખેડા, અમદાવાદ, આણંદ, પંચમહાલ, છોટા ઉદેપુર, મહીસાગર, દાહોદ, વડોદરા, નર્મદા, ભરુચ, સુરત, તાપી, નવસારી, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, મોરબી, ગીર સોમનાથ, બોટાદ અને કચ્છમાં કેટલીક જગ્યાએ હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
અમદાવાદમાં આજે મુખ્યત્વે વાદળછાયું વાતાવરણ રહેશે અને કેટલીક જગ્યાએ ગાજવીજ સાથે ભારે ઝાપટાં પડવાની આગાહી છે. હવામાન વિભાગ મુજબ હાલમાં ગુજરાત પર દક્ષિણ-પશ્ચિમથી પશ્ચિમ દિશામાં પવન ફૂંકાઈ રહ્યા છે.
ખેતીવાડીને રાહત મળશે?

ઇમેજ સ્રોત, IMD
અલ નીનોની અસરના કારણે આ વખતે ભારતમાં ઘણી જગ્યાએ ચોમાસું નબળું રહ્યું છે જેમાં ગુજરાત પણ સામેલ છે. આ વખતે દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જામનગર અને કચ્છમાં મોટેભાગે ઓછા વરસાદને કારણે ગંભીર સ્થિતિ સર્જાઈ છે અને દુષ્કાળ જેવી સ્થિતિ છે.
ખાસ કરીને સૌરાષ્ટ્ર, કચ્છ અને ઉત્તર ગુજરાતમાં ખેડૂતો માટે સ્થિતિ અતિશય ચિંતાજનક બની ગઈ છે.
અનેક વિસ્તારોમાં સિંચાઈના પાણીની તંગી ઊભી થઈ છે, તથા વાવેતર પણ નિષ્ફળ ગયું છે. તેવામાં ભાદરવા મહિનામાં પડી રહેલો વરસાદ રાહત આપનારો છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન





















