અમદાવાદ : જ્યારે સ્ટેજ પર કામદારનો મૃતદેહ લવાયો અને મજૂરોએ સત્તા બદલી નાખવાના સોગંદ ખાધા

ઇમેજ સ્રોત, Puneet Barnala/bbc
- લેેખક, અપૂર્વ અમીન
- પદ, બીબીસી સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 7 મિનિટ
62 વર્ષ પહેલાં અમદાવાદના રિલીફ રોડ પર બનેલી આ ઘટનાએ આખા શહેરને હચમચાવી નાખ્યું હતું. આ ઘટના બાદ એવું આંદોલન થયું કે શહેરમાં સત્તાના શિખરે રહેલી કૉંગ્રેસ પાર્ટીને મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં હારનો સામનો કરવો પડ્યો.
આ આંદોલનમાં મજૂરોએ સત્તાધારી પાર્ટીને ઘરભેગી કરવાના શપથ લીધેલા અને થયું પણ એવું જ. શહેરની આગામી સ્થાનિક સ્વરાજની ચૂંટણી સામ્યવાદી વિચારધારા ધરાવતો પક્ષ અને ગઠબંધનમાં મહાગુજરાત જનતા પરિષદ પક્ષ ચૂંટાઈ આવ્યો અને કૉંગ્રેસની હાર થઈ.
5 ઑગસ્ટ, 1964નો દિવસ અમદાવાદના કામદાર આંદોલનનો એક ઐતિહાસિક દિવસ મનાય છે. આ દિવસે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાનીમાં ઓછા મોંઘવારી ભથ્થાના વિરોધમાં રિલીફ રોડથી એક રેલી નીકળી, જે કાંકરિયાના ફૂટબૉલ ગ્રાઉન્ડ સુધી પહોંચવાની હતી.
પરંતુ રેલી જેમ જેમ આગળ વધી એમ તણાવ વધતો ગયો અને કાલુપુર પોલીસ સ્ટેશન આવતાં કંઈક એવું બન્યું કે કામદારોના આ જૂથે કૉર્પોરેશનની આગામી ચૂંટણીમાં સત્તાધારી પક્ષને ઘરે બેસાડવાનો પાયો નાખી દીધો. એ દિવસે ખરેખર શું બન્યું હતું, જાણીશું આ અહેવાલમાં.

ઇમેજ સ્રોત, Indiana University Press Bloomington and Indianapolis
કૅમ્બ્રિજ યુનિવર્સિટી પ્રેસના રિસર્ચ પેપર ધ ટેક્સટાઇલ લેબર ઍસોસિયેશન ઍન્ડ દાદાગીરી: પાવર ઍન્ડ પૉલિટિક્સ ઇન ધ વર્કિંગ-ક્લાસ નેબરહુડ્સ ઑફ અહમદાબાદમાં ઉલ્લેખ છે કે ઇન્દુલાલ યાજ્ઞિકની આગેવાની હેઠળની સંગ્રામ સમિતિએ મોંઘવારી ભથ્થાના વિરોધમાં 5 ઑગસ્ટ, 1964ના રોજ હડતાળનું આહ્વાન કર્યું હતું. જેમાં મિલ કામદાર યુનિયન અને કૉમ્યુનિસ્ટ પક્ષોએ મોંઘવારી સામે વિરોધપ્રદર્શન કર્યું.
તેમાં ઉલ્લેખ છે કે આ આંદોલનમાં ભેગા થયેલા કામદારોના પ્રદર્શન પર પોલીસે ગોળીબાર કર્યો હતો, પ્રદર્શનકારીઓ પર 'બર્બર પોલીસ દમન' ગુજારવામાં આવ્યું અને એ પછી થયેલી હિંસામાં છ લોકો માર્યા ગયા અને ઘણા ઘાયલ થયા.
અને તેના જ કારણે પ્રત્યાઘાતમાં કૉંગ્રેસ પક્ષ અને મજૂર મહાજને અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશન પર પોતાનું વર્ચસ્વ ગુમાવવું પડ્યું.
1964માં પ્રવર્તમાન મોંઘવારીને અંગે ઇન્દુલાલ યાજ્ઞિક તેમની આત્મકથામાં નોંધે છે કે, "આજે કામદારો અને જનતા મોંઘવારી ભથ્થાં સામે ઝઝૂમી રહી છે. આ યાતના માટે જવાબદાર મૂડીપતિઓને અને તેમની લાગવગથી દબાયેલી સરકાર છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તેમણે લખ્યું છે કે, "ગુજરાત પાંચમી ઑગસ્ટે હડતાળ પાડશે, એ ચોક્કસ છે."
હાર્વર્ડ સ્પોડેકના પુસ્તકમાં ઉલ્લેખ છે કે એ દિવસે અમદાવાદમાં એક વિશાળ હડતાળ, પરેડ અને સભાનું આયોજન કરવામાં આવ્યું હતું. શહેરની તમામ મિલો ઠપ થઈ ગઈ હતી.
પ્રથમ વખત, હજારો દલિત અને બિનદલિત કામદારો સાથે એવી હડતાળમાં જોડાયા જેનાથી મિલોની કુલ ક્ષમતાના 60થી 70 ટકા જેટલું ઉત્પાદન બંધ થઈ ગયું.
હાર્વર્ડ સ્પોડેકે લખેલા પુસ્તકમાં નોંધાયું છે કે, "કૉંગ્રેસ અને મજૂર મહાજન સંઘ પ્રત્યેનો અસંતોષ તીવ્ર તિરસ્કારમાં ફેરવાઈ ગયો. અને પરિણામે 1965ની અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં મહાગુજરાત જનતા પરિષદ (એમજીજેપી)એ જીત મેળવી, જેમાં કામદારોની સામ્યવાદી વિચારધારાવાળી ધ પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી પણ તેના ગઠબંધનમાં હતી. આ ચૂંટણીમાં એમજીજેપીએ 42 બેઠકો જીતી, જ્યારે કૉંગ્રેસને 13 બેઠકો મળી. એમજીજેપીના આઠ ઉમેદવારોએ જેલના સળિયા પાછળથી પ્રચાર કર્યો હતો, જ્યાં તેમને ગુજરાત બંધમાં તેમની ભૂમિકા માટે કેદ કરવામાં આવ્યા હતા."
હાર્વર્ડ સ્પોડેકના પુસ્તક અનુસાર, "મજૂર વિસ્તારો પર મજૂર મહાજનની પકડ પહેલી વાર તૂટી. આ ઉપરાંત, અન્ય ચૂંટાયેલા કૉર્પોરેટરો પણ એમજીજેપીના સંભવિત સહયોગી હતા. ધ પ્રજા સોશિયાલિસ્ટ પાર્ટી (પીએસપી)ના નવ તેમજ પાંચ રિપબ્લિકન પાર્ટી (દલિતો) અને નવમાંથી ઓછામાં ઓછા પાંચ અપક્ષો ચૂંટાયા હતા."
આંદોલન કેમ શરૂ થયું હતું?

ઇમેજ સ્રોત, ‘Aatmakatha’: Indulal Yagnik
અમદાવાદના ગોમતીપુરમાં રહેતા 90 વર્ષીય વરિષ્ઠ કર્મશીલ આનંદ પરમારે પણ આ આંદોલનમાં ભાગ લીધો હતો.
તેમણે બીબીસી સાથેની વાતચીતમાં કહ્યું, "તે વખતે અમદાવાદના મિલ કામદારોનું મોંઘવારી ભથ્થું 99 રૂપિયે અટકી ગયેલું અને વધી નહોતું રહ્યું, તેની સામે કામદાર નેતા દિનકર મહેતાએ દસ પૈસાની એક પુસ્તિકા બહાર પાડી હતી."
"આ પુસ્તિકા નામ હતું 'મોંઘવારી ભથ્થાની ગણતરીમાં થતી છેતરપિંડી'."
મનીષી જાની કહે છે, "તે વખતે નેતાઓને ખ્યાલ આવ્યો કે મોંઘવારી ભથ્થું અંગ્રેજ સરકારથી જે રકમ નક્કી થઈ હતી તે જ નીતિ અને પદ્ધતિ પ્રમાણે 1964માં પણ ગણતરી થતી હતી જે ખોટું હતું, તેથી દિનકર મહેતા અને ઇન્દુલાલ યાજ્ઞિક જેવા કામદાર નેતાઓએ શોધી કાઢ્યું કે મિલના માલિકો અને મજૂર મહાજન આ મોંઘવારી ભથ્થાની ગણતરી ખોટી રીતે કરી રહ્યા છે અને કામદારોને છેતરી રહ્યા છે."

ઇમેજ સ્રોત, Getty Images
આનંદ પરમાર આગળ કહે છે, "તે વખતે મજૂર મહાજન પાસે ઑફિશિયલી મુંબઈના ઍક્ટ પ્રમાણે વાટાઘાટ કરવાની શક્તિ હતી. મિલ કામદારોના ટ્રેડ યુનિયન તરીકે તે કંઈ પણ નક્કી કરી શકે તે ખ્યાલ બધાને પાછળથી આવ્યો."
"આ પુસ્તિકા અમે ખુદ મિલોના દરવાજે જઈને વેચતા અને તે પુસ્તિકા હજારોની સંખ્યામાં વેચાઈ."
"મિલોના ઝાંપે ઠેરઠેર મહિનામાં મીટિંગો થઈ અને આ મોંઘવારી ભથ્થા મુદ્દે હડતાળ પાડવી કે નહીં તે માટે બધી જ મિલોના દરવાજે ડબ્બા મૂકી કામદારો પાસે મતદાન કરાવડાવ્યું."
આનંદ પરમાર આગળ કહે છે, "મોટા ભાગના કામદારોએ હડતાળ પાડવાને સમર્થન જાહેર કર્યું."
"આખરે 5 ઑગસ્ટના દિવસે અમદાવાદમાં કામદારોની યોજના પ્રમાણેની તે વખતે આપતા ઓછા મોંઘવારી ભથ્થાના વિરોધ સામે હડતાળ પડી."
"પાંચમી ઑગસ્ટ, 1964ની સવારે વાગે મિલનાં ભૂંગળાં સતત વાગતાં રહ્યાં, પણ કોઈ મિલ કામદાર મિલમાં ગયા નહીં, હડતાળ માટેનો જોરદાર માહોલ સર્જાયો."
હડતાળમાં દલિત કામદારોની ભાગીદારી

ઇમેજ સ્રોત, Getty Images
આનંદ પરમાર કહે છે, "આ અગાઉ મિલમાલિકોની અને મજૂર મહાજન સંઘની એવી સહિયારી ગોઠવણ હતી કે અમુક જ ખાતાંમાં, જેમ કે, સ્પિનિંગ ખાતામાં માત્ર દલિત કામદારોની જ ભરતી થતી અને એ રીતે કામદારોમાં જાતિવ્યવસ્થાને અકબંધ રહે તે ષડ્યંત્રનું પણ ધ્યાન રખાતું."
"સ્પિનિંગ ખાતામાં તાર તૂટે ત્યારે જીભથી થૂંક લગાવીને તેને જોડવો પડતો એટલે અસ્પૃશ્યતા પાળતા અન્ય કામદારો તેમાં કામ કરતા નહીં, કેમ કે તેમાં આભડછેટ સીધી આડે આવી જતી. તેથી દલિત કામદારોએ જ આ ખાતું ચલાવવું પડતું."
તેમનું કહેવું છે, "જોકે, આ હડતાળમાં પહેલી વાર બધા જ કામદારો જોડાયા, જેમાં દલિત કામદારો પણ હતા જેમનું મોટા પાયે યોગદાન રહ્યું હતું."
"આ એક દિવસની પ્રતીક હડતાળના દિવસે બપોરથી રિલીફ રોડ, કાલુપુરથી સરઘસનું આયોજન હતું અને સાંજે કાંકરિયા ફૂટબૉલ ગ્રાઉન્ડ પર વિશાળ સભામાં તે સરઘસ પરિવર્તિત થશે તેવું નક્કી થયેલું."
રેલી અને પોલીસ કાર્યવાહી

આનંદ પરમાર કહે છે, "આમ પાંચ ઑગસ્ટે તે વખતનું મણિલાલ મેન્શન સ્થળ (જે હાલના કાલુપુર રેલવે સ્ટેશનથી રિલીફ રોડ તરફ જતી વખતનું શરૂઆતનું નાકું છે)થી આ સરઘસ નીકળ્યું, જેમાં હું પણ હતો. તે આગળ વધીને જ્યારે કાલુપુર પોલીસ સ્ટેશને પહોંચ્યું ત્યારે ત્યાં તહેનાત ઘોડેસવાર પોલીસકર્મીઓએ સરઘસને વેરવિખેર કરવા ટોળાં પર ઘોડા દોડાવી મૂક્યા."
આનંદ પરમાર જણાવે છે, "આટલા 'બળપ્રયોગ' પછી પણ, 'અત્યાચારથી ડર્યા વિના' હજારો કામદારો સૂત્રોચ્ચાર સાથે કાંકરિયાના ફૂટબૉલ ગ્રાઉન્ડે સભાસ્થળે પહોંચ્યા.
કાંકરિયાના ફૂટબૉલ ગ્રાઉન્ડની સભા અને ઇન્દુલાલ યાજ્ઞિકનું ભાષણ

ઇમેજ સ્રોત, Getty Images
એ આંદોલનનાં સંસ્મરણો યાદ કરતાં કર્મશીલ મનીષી જાની બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં જણાવે છે કે, "1964માં હું સાતમા ધોરણમાં ભણતો હતો અને મારા ઘરની પાસે જ કાંકરિયા વિસ્તારમાં આવેલું પ્રખ્યાત ફૂટબૉલ ગ્રાઉન્ડ હતું, જે હાલ પણ છે."
"1964માં ત્યાં યોજાયેલી મીટિંગમાં હું પણ ત્યાં ગયો હતો. તે એક મોટી સભા હતી, ત્યાં મેં જે જોયું એ મને કાયમ માટે યાદ રહી ગયું હતું. એક તો ત્યાં સ્ટેજ પર ખાટલા પર એક મૃતદેહ લાવવામાં આવ્યો હતો."
મનીષી જાની કહે છે "આ મૃતદેહ મગનભાઈ નામના એક કામદારનો હતો, મૃતદેહને સ્ટેજ પર લવાતાં જ સભામાં હાજર સેંકડો શ્રમિકોએ હૈયાફાટ રુદન અને આક્રોશ વચ્ચે શહેરની સત્તા બદલી નાખવાના શપથ લીધા."
આનંદ પરમાર પણ કહે છે, "ત્યાં મેં જોયું કે લોકોમાં એટલો ગુસ્સો હતો કે પોલીસ પણ ત્યાંથી જતી રહી હતી."
આનંદભાઈ કહે છે, આ સ્ટેજ પર ઇન્દુલાલ યાજ્ઞિક અને દિનકર મહેતા સહિત અન્ય કામદાર નેતા હતા.
"ત્યારે ઇન્દુલાલ યાજ્ઞિકે મજૂરોને શાંત પાડ્યા અને કહ્યું, 'હવે તમે બતાવી દો કે આગામી ચૂંટણીમાં કે આ મજૂરોનું લોહી સસ્તું નથી.' તેમણે અમદાવાદની આગામી મ્યુનિસિપલ કૉર્પોરેશનની ચૂંટણીમાં સત્તાધારી પક્ષને ઘર ભેગો કરવાનું આહ્વાન કર્યું."
"કામદારોની એકતાની તાકતથી આશ્ચર્યચકિત થઈ ગયેલી સરકારે બીજા દિવસે આ હિંસા અને હડતાળ માટે કામદાર આગેવાનોને જવાબદાર ઠેરવી દીધા અને ત્રીજા દિવસે આ તમામ કામદાર યુનિયનના અગ્રણીઓની મોટા પાયે ધરપકડ કરી જેલમાં ધકેલી દીધા."
આનંદભાઈ યાદ કરતાં આગળ કહે છે, "આખરે એવું જ થયું જે ઇન્દુલાલ યાજ્ઞિકે સ્ટેજ પરથી કહ્યું હતું. 1965માં અમદાવાદ મ્યુનિસપલ કૉર્પોરેશનની ચૂંટણી થઈ અને કૉંગ્રેસ પક્ષ હારી ગયો."
હડતાળ પછી પણ 'ગુજરાત બંધ'નું એલાન

ઇમેજ સ્રોત, Getty Images
ઇન્દુલાલ યાજ્ઞિકની આત્મકથામાં તેમણે નોંધ્યું છે કે સંયુક્ત કામદાર સંગ્રામ સમિતિ તરફથી 'અમદાવાદ બંધ'નું એલાન આપવામાં આવ્યું હતું.
5 ઑગસ્ટે હડતાળ પછી 11મી ઑગસ્ટે મહાગુજરાત જનતા પરિષદની મધ્યસ્થ કમિટીએ 'ગુજરાત બંધ'નું એલાન આપ્યું.
અમદાવાદ સાહિત ગુજરાતના મોટા ભાગના જિલ્લામાં સંપૂર્ણ હડતાળને સમર્થન અપાયું હતું.
ઇન્દુલાલ યાજ્ઞિક તેમની આત્મકથામાં નોંધે છે, "1962માં 60 કરોડના અને 1963માં 245 કરોડના કર વધારાની સામે વિરોધમાં પણ આ હડતાળ પાડવામાં આવી હતી."
આનંદ પરમાર જણાવે છે "આમ તેનું મુખ્ય કારણ મોંઘવારી ભથ્થા સામે વિરોધ અને તે વખતની સરકાર જે રીતે મોંઘવારી ભથ્થાની ગણતરી કરતી હતી તે પણ હતું અને કામદારો તેનાથી નાખુશ હતા"
ઇન્દુલાલ લખે છે, "મુખ્ય સવાલ તે જીવલેણ મોંઘવારીને અને તે મુજબ સરકારે મંજૂર કરેલું મોંઘવારી ભથ્થું ચૂકવવા મોટા ભાગના મિલમાલિકો ઇનકાર કરે છે."
"વળી, આ બંને વરસમાં કરવેરાની સરખામણીમાં મોંઘવારી વધી હતી."
ઇન્દુલાલે લખ્યું છે, "તેની સામે પણુ હડતાળ પાડવામાં આવી હતી પછી ફરજિયાત અંકુશ હળવા કરવામાં આવ્યા. તેમાં જનતા પરિષદે પોતાની ફતેહ માની હતી."
જેલમાં રહી ચૂંટણી જીતીને અમદાવાદના મેયર બનનાર પ્રથમ સામ્યવાદી નેતા

મનીષી જાની જણાવે છે "કામદારોની એકતાની તાકાતથી ચોંકી ગયેલી સરકારે બીજા દિવસે આ હિંસા અને હડતાળ માટે કામદાર આગેવાનોને જવાબદાર ઠેરવી દીધા અને ત્રીજા દિવસે મોટા પાયે આ તમામ કામદાર યુનિયનના અગ્રણીઓની ધરપકડ કરીને જેલમાં મોકલી દીધા."
બીબીસી ગુજરાતીના એક લેખમાં નોંધાયેલી વિગતો અનુસાર અમદાવાદ મ્યુનિસિપલ કૉર્પોરેશનની 1965ની ચૂંટણી થઈ, ત્યારે જનતા પરિષદની પાંખ જેવી 'સંયુક્ત કામદાર સંઘર્ષ સમિતિ'ના દિનકરભાઈ સહિતના નવ સભ્યો જેલમાં હતા.
તેમાંથી આઠ સામ્યવાદી હતા. દિનકરભાઈ સહિતના આઠ જેલવાસી આગેવાનોએ કૉર્પોરેશનની ચૂંટણીમાં ઉમેદવારી નોંધાવી. સરકારે તેમને પેરોલ ન આપતાં, તેઓ જેલમાં રહીને ચૂંટણી લડ્યા અને જીત્યા.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન























