મહારાષ્ટ્રનાં ગરબા આયોજનોમાં મુસ્લિમોના પ્રવેશ મામલે કેમ વિવાદ થઈ રહ્યો છે?

ઇમેજ સ્રોત, Sonu Mehta/Hindustan Times via Getty Images
મહારાષ્ટ્રમાં નવરાત્રી અને ગરબા ઉત્સવોમાં મુસ્લિમોની ભાગીદારી અંગે એક નવો વિવાદ ઊભો થયો છે.
વિશ્વ હિંદુ પરિષદ (વીએચપી)એ નવરાત્રી ઉત્સવ દરમિયાન મહારાષ્ટ્રમાં ગરબા અને દાંડિયા મહોત્સવમાં મુસ્લિમોના પ્રવેશ પર રોક લગાવવાની, તેમના પ્રવેશ માટે ઓળખ તપાસ કરવાની અને તિલક લગાવવાનું ફરજિયાત કરવાની માગ કરી છે.
રાજ્યની ગઠબંધન સરકારના મંત્રી નિતેશ રાણેએ આ માંગણીને ટેકો આપ્યો હતો, જ્યારે અભિનેતા શ્રેયસ તલપડે અને અમૃતા ફડણવીસે તમામ સમુદાયના લોકોને શાંતિપૂર્ણ રીતે તહેવાર ઉજવવાની હિમાયત કરી છે. શિવસેના (UBT)ના નેતા સંજય રાઉતે પણ આ જ મુદ્દા પર સરકાર પર સવાલ ઉઠાવ્યા છે.
સંજય રાઉતે આ મુદ્દે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું નામ લઈને તેમના પર પ્રહાર કર્યા છે.
આ અંગે બોલતા રાઉતે કહ્યું , "વડા પ્રધાન વિદેશની મસ્જિદોમાં જાય છે અને મુસ્લિમ નેતાઓને ગળે લગાવે છે અને કહે છે 'મારા ભાઈ, મારા ભાઈ. તેથી, આપણા મુસ્લિમ ભાઈઓને અહીં ગરબામાં રોકવા જોઈએ નહીં. વિદેશમાં ભાઈઓ અને અહીં દુશ્મનો, આ કેવી રીતે કામ કરી શકે?"
VHP એ માંગ કરી છે કે નવરાત્રિ ઉત્સવ દરમિયાન મુસ્લિમોને ગરબા અને દાંડિયા કાર્યક્રમોમાં પ્રવેશ ન આપવો જોઈએ. તેણે એમ પણ કહ્યું છે કે પ્રવેશ આપતી વખતે ઓળખપત્રોની તપાસ કરવી જોઈએ અને કપાળ પર તિલક લગાવવું ફરજિયાત બનાવવું જોઈએ.
આ પહેલા અભિનેતા શ્રેયસ તલપડે અને મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસનાં પત્ની અમૃતા ફડણવીસે પણ કહ્યું હતું કે તમામ સમુદાયના લોકોને ગરબા મંડપમાં પ્રવેશવાની મંજૂરી આપવી જોઈએ.
શ્રેયસ તલપડેએ ગરબામાં મુસ્લિમોના પ્રવેશ વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Sujit JAISWAL / AFP
ગરબા અને દાંડિયામાં મુસ્લિમોના પ્રવેશ માટે VHPની અપીલ પર અભિનેતા શ્રેયસ તલપડેએ પ્રતિક્રિયા આપી છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
પત્રકારો સાથે વાત કરતા શ્રેયસે કહ્યું , "અમે ઘણાં વર્ષોથી બધા તહેવારો સાથે ઉજવીએ છીએ. આ દરેકનો વ્યક્તિગત નિર્ણય છે. આ મુદ્દો રાજકીય મુદ્દો વધુ છે. મેં હંમેશાં બધા તહેવારોનો આનંદ માણ્યો છે અને આગળ પણ માણતો રહીશ."
આ મુદ્દે રાજ્યમંત્રી નિતેશ રાણેએ કહ્યું કે નવરાત્રી ઉત્સવમાં આવનારાઓના આધાર કાર્ડની માત્ર તપાસ કરવી પૂરતું નથી. તેમને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહેવું જોઈએ અને ત્યારબાદ જ તેમને પ્રવેશ આપવો જોઈએ.
દરમિયાન, મુખ્ય મંત્રી દેવેન્દ્ર ફડણવીસના પત્ની અમૃતા ફડણવીસે પણ આ મુદ્દા પર પોતાનું વલણ વ્યક્ત કર્યું. તેમણે કહ્યું કે નવરાત્રી ઉત્સવમાં તમામ ધર્મના લોકોએ ભાગ લેવો જોઈએ.
ગરબામાં મુસ્લિમોના પ્રવેશ અંગે અમૃતા ફડણવીસનું શું વલણ છે?

ઇમેજ સ્રોત, Ashish Vaishnav/SOPA Images/LightRocket via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
મુસ્લિમોને ગરબામાં પ્રવેશ ન આપવાની મંત્રી નિતેશ રાણેની માંગ પર અમૃતા ફડણવીસે સ્પષ્ટપણે પોતાનું વલણ જણાવ્યું છે.
અમૃતા ફડણવીસે કહ્યું , "નીતેશ રાણેએ આ મુદ્દો વિચારીને ઉઠાવ્યો છે. હું તેના વિશે વધુ વાત કરવા માંગતી નથી. પરંતુ, ગરબા હવે એક રાષ્ટ્રીય તહેવાર છે અને તે આંતરરાષ્ટ્રીય સ્તરે પણ ઉજવવામાં આવે છે."
"તેથી, જો કોઈ ચોક્કસ ધર્મ કે સમુદાયનો વ્યક્તિ શાંતિથી ગરબા જોવા આવે અને કોઈ ખલેલ ન પહોંચાડે, તો તેને આવવા દેવામાં કોઈ વાંધો નથી. પરંતુ, મેં આ પાછળનાં અન્ય કયાં કારણો છે તેનો અભ્યાસ કર્યો નથી."
અગાઉ, નિતેશ રાણેએ પણ VHPની આ માંગણીને ટેકો આપ્યો હતો. તેમણે કહ્યું હતું કે વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા વ્યક્ત કરવામાં આવેલી માંગણીઓ અને અપેક્ષાઓ ખોટી નથી. શું જે લોકો મૂર્તિઓની પૂજા કરતા નથી અને પોતાના ધર્મનું પાલન કરતા નથી તેમને ખરેખર આપણા નવરાત્રી કે ગરબા ઉત્સવોમાં આવવાનો અધિકાર છે?
"માત્ર આધાર કાર્ડ તપાસવાને બદલે, તેમને હનુમાન ચાલીસાનો પાઠ કરવાનું કહેવું જોઈએ અને ત્યારબાદ જ તેમને ગરબામાં ભાગ લેવાની મંજૂરી આપવી જોઈએ," તેમણે ઉમેર્યું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















