માંજલપુર બેઠક પર પેટાચૂંટણી માટે મતદાન શરૂ, આ ચૂંટણી કેમ ભાજપ-કૉંગ્રેસ બંને માટે મહત્ત્વની છે?

ઇમેજ સ્રોત, Getty Images
ગુરુવારે ગુજરાતના વડોદરામાં 'ભાજપનો ગઢ' મનાતી માંજલપુર વિધાનસભા બેઠક પર યોજાઈ રહેલી ચૂંટણી માટે મતદાન શરૂ થઈ ચૂક્યું છે.
નોંધનીય છે કે ગત જૂન માસમાં ભાજપની 'નો રિપીટ થિયરી'ને ઘણી વાર 'નોટ ઍપ્લિકેબલ' સાબિત કરનારા એવા પીઢ ધારાસભ્ય અને ભૂતપૂર્વ મંત્રી યોગેશ પટેલના નિધન બાદ આ બેઠક ખાલી પડી હતી.
ભારતના ચૂંટણીપંચે 2 જુલાઈ ના રોજ આ બેઠક પર પેટાચૂંટણી યોજવાની જાહેરાત કરી હતી.
ગુરુવારે એટલે કે 30 જુલાઈના રોજ મતદાન બાદ આ પેટાચૂંટણીનું પરિણામ 3 ઑગસ્ટના રોજ જાહેર કરાશે.
પેટાચૂંટણી અંગે જાહેર કરાયેલી માહિતી પ્રમાણે, આ પેટાચૂંટણીમાં બેઠકના 2.19 લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે. 260 મતદાનમથકો ખાતે આ મતદાનપ્રક્રિયા હાથ ધરાઈ રહી છે.
ઉમેદવારોની વાત કરીએ તો આ બેઠક પર ભાજપના સતીશ પટેલ અને કૉંગ્રેસના ભીખાભાઈ રબારી વચ્ચે સીધો મુકાબલો છે તેમજ રાજકીય નિષ્ણાતો આ બેઠકને બંને પક્ષો માટે મહત્ત્વપૂર્ણ ગણાવી રહ્યા છે.
ભાજપ-કૉંગ્રેસ તરફથી કોણ છે મેદાને?

ઇમેજ સ્રોત, Social Media
માંજલપુરની પેટાચૂંટણી માટે કૉંગ્રેસે પોતાના જૂના ઓબીસી નેતા ભીખા રબારીને મેદાનમાં ઉતાર્યા છે, જ્યારે ભાજપે વડોદરા મ્યુનિસિપલ કૉર્પોરેશનના ભૂતપૂર્વ સ્ટેન્ડિંગ કમિટીના ચૅરમૅન સતીશ પટેલને ટિકિટ આપી છે.
ગુજરાત કૉંગ્રેસના ઉપાધ્યક્ષ ભીખા રબારી એક સમયે માધવસિંહ સોલંકીની સરકારમાં ઊર્જા અને ઉદ્યોગમંત્રી રહી ચૂક્યા છે. જ્યારે સતીષ પટેલ ભાજપમાં સંગઠનની કામગીરી સંભાળે છે અને સહકારી તથા શૈક્ષણિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. તેઓ છાણી કો-ઑપરેટિવ બૅન્ક અને અર્બન બૅન્ક ફેડરેશનના ચૅરમૅન પણ છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
'માંજલપુર બેઠકનાં પરિણામો મહત્ત્વપૂર્ણ બની રહેશે'

ઇમેજ સ્રોત, Yogesh Patel/FB
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
માંજલપુર બેઠક પરની પેટાચૂંટણીને કેટલાક રાજકીય વિશ્લેષકો આવતા વર્ષે યોજાનારી ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં મતદારોના વલણનો અંદાજ મેળવવા માટે મહત્ત્વપૂર્ણ ગણાવી રહ્યા છે.
વડોદરાના રાજકારણ પર બારીકાઈથી નજર રાખતા રાજકીય વિશ્લેષક વિનોદ ભટ્ટે અગાઉ બીબીસી ગુજરાતી સાથેની વાતચીતમાં કહ્યું હતું કે, "ભીખાભાઈ એ માધવસિંહ સોલંકીના નજીકના સાથીદાર હતા અને તેમની સરકારમાં મંત્રી પણ રહી ચૂક્યા છે. તેઓ ઓબીસીમાં આવે છે, પરંતુ આ શહેરી વિસ્તાર છે જ્યાં જ્ઞાતિનું કાર્ડ એટલું પ્રભાવશાળી નથી રહેતું."
તેઓ માને છે કે આવી ચૂંટણીઓમાં ઍન્ટિ-ઇન્કમ્બન્સીનું પરિબળ કેટલું સક્રિય છે તેનો અંદાજ આવતો હોય છે. પેટાચૂંટણીના પરિણામ પરથી બંને પક્ષ 2027ની વિધાનસભા ચૂંટણીની રણનીતિ ઘડી શકે છે.
રાજકીય વિશ્લેષક વિદ્યુત જોશીએ જણાવ્યું હતું કે, "વડોદરામાં ઍન્ટિ-ઇન્કમ્બન્સી છે, પરંતુ કૉંગ્રેસ તેને વોટમાં કેવી રીતે રૂપાંતરિત કરે છે તે જોવાનું રહેશે. બીજી તરફ કૉંગ્રેસ પટેલ વિરુદ્ધ ઓબીસી કાર્ડ રમીને સરકી ગયેલા મતોને અંકે કરવા માગે છે, કારણ કે પટેલ એ ગુજરાતમાં સૌથી પ્રભાવશાળી જ્ઞાતિ છે. તેમનું એક સોશિયલ કૅપિટલિઝમ છે. ભાજપના ઉમેદવાર છાણી નાગરિક બૅન્કના ચૅરમૅન અને એક શૈક્ષણિક સંસ્થાના પ્રમુખ છે. તેઓ ગુજરાત અર્બન બૅન્ક ફેડરેશનના ડાયરેક્ટર છે, તેથી તેમણે સહકારી બૅન્ક અને શૈક્ષણિક સંસ્થા મારફતે પોતાનું આગવું સોશિયલ કૅપિટલિઝમ ઊભું કર્યું હોય તે તેમના તરફ કેટલું ઝૂકે છે, એ આ પેટાચૂંટણીમાં નક્કી થશે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન


























