મહિલા ટી20 વર્લ્ડકપ: ભારતે નૅધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, Oli SCARFF / AFP via Getty Images
ભારતે બુધવારે મહિલા ટી20 વર્લ્ડકપમાં સતત બીજી જીત નોંધાવીને નૅધરલેન્ડ્સને 95 રનથી હરાવ્યું.
ભારતે પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટે 209 રન બનાવ્યા હતા. ત્યાર બાદ નૅધરલેન્ડ્સ 17.3 ઓવરમાં 114 રનમાં ઑલઆઉટ થઈ ગયું હતું.
લીડ્સમાં રમાયેલી મૅચમાં સ્મૃતિ મંધાના અને શેફાલી વર્માએ 115 રનની ભાગીદારી નોંધાવી હતી. મંધાનાએ 74 અને શેફાલીએ 55 રન બનાવ્યા હતા.
ભારત તરફથી શ્રી ચરણીએ 4 વિકેટ લીધી, જ્યારે શેફાલી વર્માએ પણ 3 વિકેટ લીધી.
સ્મૃતિ મંધાનાને પ્લેયર ઑફ ધ મૅચ જાહેર કરાયાં હતાં. આ જીત સાથે ભારતીય મહિલા ટીમ પૉઇન્ટ ટેબલ પર તેના ગ્રૂપમાં પ્રથમ સ્થાને પહોંચી ગઈ છે. નૅધરલેન્ડ્સનો સામનો કરતાં પહેલાં ભારતે પાકિસ્તાનને હરાવ્યું હતું.
ભારતીય ખલાસીઓનાં મોત પર શોક વ્યક્ત કરવા વિશેના સવાલ પર ટ્રમ્પે મોદીને શું કહ્યું?

ઇમેજ સ્રોત, Reuters
ફ્રાન્સના એવિયન શહેરમાં જી-7 સમિટ દરમિયાન અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ અને ભારતના વડા પ્રધાન નરેન્દ્ર મોદી વચ્ચે દ્વિપક્ષીય બેઠક યોજાઈ હતી.
આ બેઠક દરમિયાન પીએમ મોદીએ કહ્યું કે ભારતીય ખલાસીઓની સુરક્ષા ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે અને હોર્મુઝની સામુદ્રધુનીને ખોલવી એ વિશ્વ માટે ખૂબ જરૂરી છે.
ભારતીય ધ્વજવાળા જહાજ પર થયેલા અમેરિકન હુમલામાં ત્રણ ભારતીયોનાં મોત અને તેના પર શોક વ્યક્ત કરવા અંગેના પ્રશ્નના જવાબમાં ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું, "આ ખૂબ જ અઘરો વ્યવસાય છે અને અમે આ લોકોને પ્રેમ કરીએ છીએ અને આના પર ચોક્કસપણે સાથે મળીને કામ કરીશું."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
ભારત અને અમેરિકા વચ્ચેના સંરક્ષણ સંબંધો વિશે ટ્રમ્પે કહ્યું કે ભારત અને અમેરિકા વચ્ચે કોઈ સંરક્ષણ કરાર નથી, પરંતુ "જો ભારત પર કોઈ હુમલો થાય છે, તો અમેરિકા મદદ કરવા માટે હાજર રહેશે."
બીજી તરફ, ટ્રમ્પના આ નિવેદન પર કૉંગ્રેસે કહ્યું કે અમેરિકા ભારતની સાથે ઊભું રહેશે તેવી અપેક્ષા રાખવી ખોટી હશે.
કૉંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ કહ્યું , "જ્યારે ઑપરેશન સિંદૂર થયું, ત્યારે અમેરિકા દ્વારા યુદ્ધવિરામની જાહેરાત કરવામાં આવી હતી. શું ભારત આ ભૂલી શકે છે? આજે ટ્રમ્પ ફિલ્ડ માર્શલ અસીમ મુનીર સાથે ભોજન કરી રહ્યા છે. શું આપણે આ ભૂલી શકીએ? તે ભારતના દુશ્મનોનો મિત્ર છે અને અમે અપેક્ષા રાખીએ છીએ કે તે આપણી સાથે ઊભા રહે, આપણી સાથે મિત્રતા કરે. મને લાગે છે કે આ અપેક્ષા રાખવી ખોટી હશે."
પીએમ મોદીએ ટ્રમ્પને એમ પણ કહ્યું કે તેઓ પશ્ચિમ એશિયામાં શાંતિ પુનઃસ્થાપિત કરવાના તેમના પ્રયાસોની પ્રશંસા કરે છે.
અમેરિકા-ઈરાન કરાર પર હસ્તાક્ષર થયા બાદ, ગાલિબાફે કહ્યું કે આ બિલકુલ વિશ્વસનીય નથી

ઇમેજ સ્રોત, Hamed Malekpour/Iranian Parliament Communication Office/Handout via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને અટકાવવા માટે એક એમઓયુ પર હસ્તાક્ષર કરવામાં આવ્યા છે. જોકે, ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘર ગાલિબાફે જણાવ્યું કે ભલે અંતિમ કરાર થઈ ગયો હોય, પરંતુ તે "બિલકુલ વિશ્વસનીય નથી."
બીબીસી ફારસી અનુસાર, ગાલિબાફે કહ્યું કે તેઓ અમેરિકા સાથે વાટાઘાટ કરવા માગતા નથી, કારણ કે તેઓ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પને 'ટોચના કમાન્ડર હજ કાસિમની હત્યાના માસ્ટરમાઇન્ડ' માને છે.
ઉલ્લેખનીય છે કે મોહમ્મદ બઘર ગાલિબાફ ઈરાનની વાટાઘાટ ટીમમાં સામેલ છે, પરંતુ તેમનું કહેવું છે કે તેમણે આ જવાબદારી મન ન હોવા છતાં નિભાવી.
મોહમ્મદ બઘર ગાલિબાફે ઈરાની બ્રૉડકાસ્ટિંગ કૉર્પોરેશન સાથેની એક મુલાકાતમાં જણાવ્યું હતું કે, "હું મારી જાતે વાટાઘાટ ટીમમાં જોડાયો ન હતો. હું ઇચ્છતો ન હતો, પણ મેં તેમ છતાં તે કામ કર્યું. મેં આ જવાબદારી ન લેવાનું એક કારણ એ હતું કે ટ્રમ્પ હજ કાસિમની હત્યા પાછળના માસ્ટરમાઇન્ડ હતા. જનરલ સુલેમાની સમગ્ર ઇસ્લામિક વિશ્વમાં પ્રિય હતા અને તેઓ મારા માટે તો વ્યક્તિગત રીતે પણ મહત્ત્વપૂર્ણ હતા."
ટ્રમ્પનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "શું તમને લાગે છે કે આવા વ્યક્તિ સાથે કોઈ ટેક્સ્ટ તૈયાર કરવું મારા માટે સરળ હોત?"
તેમણે વધુમાં કહ્યું, "અમેરિકા પ્રત્યે મારો અવિશ્વાસ અને નિરાશા સૌથી વધુ છે."
અમેરિકા સાથેના અંતિમ કરાર પર હસ્તાક્ષર થયા પછી, ગાલિબાફે કહ્યું, "જો આ કરાર અંતિમ હોય અને સુરક્ષા પરિષદની મંજૂરી મળે, તો પણ તેના પર વિશ્વાસ કરી શકાય નહીં. અમારી અસલી ગૅરંટી ઈરાનની તાકાત છે."
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















