મહિલા પહેલવાન વીનેશ ફોગાટે કહ્યું, 'બ્રિજભૂષણ શરણસિંહ સામેના યૌન શોષણ કેસમાં હું પણ હતી સર્વાઇવર'

ઇમેજ સ્રોત, @Phogat_Vinesh
ભારતીય મહિલા કુસ્તીબાજ વીનેશ ફોગાટે રવિવારે સોશિયલ મીડિયા પર ભારતીય કુસ્તી સંઘ (ડબલ્યુએફઆઈ) દ્વારા આયોજિત એક રૅન્કિંગ ટુર્નામેન્ટમાં સામેલ થવા પર પોતાની સુરક્ષાને લઈને ઘણી આશંકાઓ વ્યક્ત કરી છે.
આ સાથે તેમણે એ પણ ખુલાસો કર્યો કે 'તેઓ એ છ મહિલા પીડિતાઓ પૈકીનાં એક છે' જેમણે ડબલ્યુએફઆઈના ભૂતપૂર્વ પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ સામે 'યૌન શોષણ'ની ફરિયાદ નોંધાવી હતી.
વીનેશ ફોગાટે જણાવ્યું હતું કે ડબલ્યુએફઆઈએ રૅન્કિંગ ટુર્નામેન્ટના આયોજનની જાહેરાત કરી છે જે બ્રિજભૂષણ શરણસિંહના વિસ્તાર ગોંડામાં યોજાઈ રહી છે.
વીનેશે પોતાની સલામતી તેમજ આ ટુર્નામેન્ટની નિષ્પક્ષતા અંગે ઊંડી ચિંતા વ્યક્ત કરી છે.
ડબલ્યુએફઆઈના પ્રમુખ સંજયસિંહે અંગ્રેજી અખબાર ધ ઇન્ડિયન એક્સપ્રેસને જણાવ્યું હતું કે તેઓ તેમની સુરક્ષાની "વ્યક્તિગત રીતે ગૅરંટી" આપશે. તેમણે એમ પણ કહ્યું કે વીનેશ, કે જેઓ કૉંગ્રેસનાં ધારાસભ્ય પણ છે, તેમણે આ મુદ્દા પર 'રાજકારણ' ન કરવું જોઈએ.
વીનેશ ફોગાટે તેમનાં વિવિધ સોશિયલ મીડિયા એકાઉન્ટ્સ પર પોસ્ટ કરેલા એક વીડિયોમાં પોતાને 'સર્વાઇવર' હોવાની વાત કરતાં કહ્યું કે આ મામલો હજુ પણ કોર્ટમાં છે અને તેની સુનાવણી ચાલુ છે, પરંતુ સંજોગો એવા બની ગયા છે કે તે આ બધું કહેવા માટે મજબૂર થયાં છે.
આ સમાચાર અહેવાલ પ્રકાશિત થાય ત્યાં સુધી, વીનેશના આ આરોપો પર બ્રિજભૂષણ શરણસિંહ તરફથી કોઈ પ્રતિક્રિયા આવી નથી. જો આ મુદ્દા પર આવો કોઈ પ્રતિભાવ કે નિવેદન આવશે, તો અમે તેને અહેવાલમાં સામેલ કરીશું.
તમને જણાવી દઈએ કે 2023માં, વીનેશ ફોગાટ પણ એ મહિલા કુસ્તીબાજોમાં સામેલ હતાં જેમણે તત્કાલીન ડબલ્યુએફઆઈ પ્રમુખ અને ભૂતપૂર્વ ભાજપ સાંસદ બ્રિજભૂષણ શરણસિંહ સામે 'યૌન શોષણ' અંગેની ઝુંબેશ શરૂ કરી હતી.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
વીનેશ ફોગાટે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Boris Streubel/Getty Images for Laureus
વીનેશ ફોગાટે કહ્યું, "એક મહિના પહેલાં, રેસલિંગ ફેડરેશને રૅન્કિંગ ટુર્નામેન્ટની જાહેરાત કરી હતી. આ સ્પર્ધા ગોંડા, યુપીમાં યોજાઈ રહી છે. જ્યાં બ્રિજભૂષણનું ઘર છે અને તેમની એક પ્રાઇવેટ કૉલેજ પણ છે."
પોતાની આશંકા વ્યક્ત કરતાં તેમણે કહ્યું, "એ અશક્ય છે કે ત્યાં સખત મહેનત કરનારાં દરેક ખેલાડીને તેમનો હક મળે. કયા રૅફરી કોની મૅચમાં જશે, કોને કેટલા પૉઇન્ટ આપશે, કયા મૅટ ચૅરમૅન ક્યાં બેસશે, કોણ જીતશે, કોણ હારશે, આ બધું બ્રિજભૂષણના લોકો દ્વારા નિયંત્રિત કરવામાં આવશે. બધાં મહેનત કરનારાં ખેલાડીઓનું વજન યોગ્ય રીતે તપાસવામાં આવે અને તેમની મહેનતનું પરિણામ મૅટ પર દેખાશે એવું મને નથી લાગતું."

ઇમેજ સ્રોત, David Ramos/Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
વીનેશે કહ્યું, "ત્રણ વર્ષ પહેલાં, અમે પણ સેક્સ્યુઅલ હૅરેસમેન્ટ સામે અવાજ ઉઠાવ્યો હતો. છ મહિલા ખેલાડીઓએ ફરિયાદો નોંધાવી હતી, જેના આધારે જુબાનીઓ હજુ પણ ચાલુ છે. સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો છે કે કોઈ પણ પીડિતાની ઓળખ જાહેર ન કરવી જોઈએ. પરંતુ આજે, મને તમારા બધા સાથે વાત કરવાની ફરજ પડી છે. હું તમને કહેવા માંગુ છું કે હું તે છ પીડિતામાંથી એક છું, જેમણે ફરિયાદ નોંધાવી હતી."
તેમણે આગળ કહ્યું, "પહેલેથી જ અમારાં જેવા ઍથ્લીટ્સ પર ખૂબ દબાણ રહેતું હોય છે અને મને નથી લાગતું કે હું ત્યાં જઈને મારું 100 ટકા પ્રદર્શન આપી શકીશ. હું માંનું છું કે છોકરીઓ માટે આવી પરિસ્થિતિઓમાં સ્પર્ધા રમવી ખૂબ જ મુશ્કેલ છે અને આ પરિસ્થિતિમાંથી પસાર થતાં દરેક ખેલાડી મારી સાથે રિલેટ કરી શકે છે."
વીનેશે કહ્યું, "જો હું તે સ્પર્ધામાં જઈશ, તો મારી ટીમ મારી સાથે હશે, મારા શુભેચ્છકો પણ ત્યાં હશે અને જો કોઈ પણ સાથે દુર્ઘટના થાય તો તેના માટે સીધી ભારત સરકાર જવાબદાર રહેશે."
"મને કોઈ વિશેષાધિકાર કે ખાસ વ્યવસ્થા કે સવલતો નથી જોઈતાં. હું ફક્ત એટલું જ ઇચ્છું છું કે મૅટ પરનો નિર્ણય દરેક ખેલાડીની મહેનતને આધારે થાય, કોઈ ગુંડા કે બદમાશના ઇશારે નહીં. તે જેને ઇચ્છે તેને જીતાડી દેશે અને જેને ઇચ્છે તેને હારાવી દેશે," વીનેશે કહ્યું.
'સુરક્ષાની વ્યક્તિગત ગેરંટી'

ઇમેજ સ્રોત, Vipin Kumar/Hindustan Times via Getty Images
ધ ઇન્ડિયન એક્સપ્રેસ અનુસાર , વીનેશનાં નિવેદન પર પ્રતિક્રિયા આપતાં, ડબલ્યુએફઆઈના પ્રમુખ સંજયસિંહે કહ્યું કે તેઓ વીનેશ ફોગાટની સલામતીની 'વ્યક્તિગત ગૅરંટી' આપે છે, પરંતુ એમ પણ ઉમેર્યું કે વીનેશ પણ કૉંગ્રેસનાં ધારાસભ્ય છે, તેમણે આ મુદ્દાનું રાજકારણ ન કરવું જોઈએ.
સંજયસિંહે અખબારને જણાવ્યું, "હું વીનેશને તેની સુરક્ષા અંગે મારી 'વ્યક્તિગત ગૅરંટી' આપી રહ્યો છું. ડબલ્યુએફઆઈના પ્રમુખ તરીકે, હું તેમને અને તેમની ટીમને ખાતરી આપું છું કે તે ગોંડામાં સંપૂર્ણપણે સુરક્ષિત રહેશે. હું વ્યક્તિગત રીતે તેની સુરક્ષા સુનિશ્ચિત કરીશ. કૃપા કરીને આવો અને મૅટ પર તમારું શ્રેષ્ઠ પ્રદર્શન કરો."
તેમણે વધુમાં કહ્યું, "બીજી બાજુ, જો તેઓ રાજકારણ રમવા માંગે છે તો તે તેમની પસંદ છે. મામલો કોર્ટમાં છે, તેથી હું તેના પર કોઈ ટિપ્પણી કરીશ નહીં. સત્ય બહાર આવવા દો."
સંજયસિંહે એમ પણ કહ્યું કે, "ગોંડામાં યોજાનારી નૅશનલ ઓપન રૅન્કિંગ ટુર્નામેન્ટ માટે લગભગ 1,200 ઍન્ટ્રીઓ મળી છે, જેમાંથી લગભગ 800 ઍન્ટ્રીઓ હરિયાણાના કુસ્તીબાજોની છે. અન્ય કોઈ કુસ્તીબાજોએ કોઈ વાંધો ઉઠાવ્યો નથી."
તેમણે વધુમાં કહ્યું, "જો વીનેશ પક્ષપાતી રૅફરીથી ચિંતિત છે, તો હું તેમને ખાતરી આપવા માંગુ છું કે આ સ્પર્ધા માટે પસંદ કરાયેલા બધા રૅફરી ભારતીય કુસ્તી મહાસંઘ અને ભારતીય ઑલિમ્પિક ઍસોસિએશન (IOA)ના પૅનલમાંથી હશે. આ પસંદગી સંપૂર્ણપણે નિષ્પક્ષ છે અને રૅફરી કોણ હશે તે અંગે બ્રિજભૂષણ શરણસિંહ કે મારી તેમ કોઈ દખલ રહેશે નહીં."
'યૌન શોષણ' સામે ઝુંબેશ

ઇમેજ સ્રોત, Arun THAKUR / AFP) (Photo by ARUN THAKUR/AFP via Getty Images
2023માં ભારતીય કુશ્તી સંઘના પ્રમુખ બ્રિજભૂષણ શરણસિંહ પર યૌન શોષણનો આરોપ મૂકવામાં આવ્યો હતો, અને મહિલા પહેલવાનો સહિતનાં કેટલાંક ભારતીય કુસ્તીબાજોએ વારંવાર તેમનો વિરોધ કર્યો હતો. જોકે, બ્રિજભૂષણસિંહ આ આરોપોને નકારતા રહ્યા.
કુસ્તીબાજ બજરંગ પુનિયા અને વીનેશ ફોગાટે દિલ્હીમાં કર્તવ્ય પથ પર પોતાના સરકારી પુરસ્કારો, ખેલ રત્ન અને અર્જુન પુરસ્કારો છોડી દીધા. તેમણે દિલ્હી પોલીસ આ પુરસ્કારો વડા પ્રધાન નરેન્દ્ર મોદીને પરત કરવાનો અનુરોધ પણ કર્યો હતો.
ગયા વર્ષે મે મહિનામાં વીનેશ ફોગાટ સહિતનાં કુસ્તીબાજોને ઝાટકો ત્યારે લાગ્યો હતો જ્યારે દિલ્હીની પટિયાલા હાઉસ કોર્ટે બ્રિજભૂષણ શરણસિંહ સામે દાખલ 'પૉકસો' કેસને બંધ કરી દીધો.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















