સોનમ વાંગચુકના અનશનનો 17મો દિવસ, અભિજિત દીપકેએ તેમની તબિયત વિશે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ

સોનમ વાંગચુકના અનશનનો 17મો દિવસ, અભિજિત દીપકેએ તેમની તબિયત વિશે શું કહ્યું? – ન્યૂઝ અપડેટ પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના માગોના સમર્થનમાં 17 દિવસથી અનશન પર છે.

ઇમેજ સ્રોત, Sanchit Khanna/Hindustan Times via Getty Images

ઇમેજ કૅપ્શન, પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના માગોના સમર્થનમાં 17 દિવસથી અનશન પર છે.
પ્રકાશિત
વાંચવાનો સમય: 3 મિનિટ

પર્યાવરણ કાર્યકર્તા સોનમ વાંગચુક કૉક્રોચ જનતા પાર્ટી (સીજેપી)ના માગોના સમર્થનમાં 17 દિવસથી અનશન પર છે.

સીજેપીના સંસ્થાપક અભિજિત દીપકેએ જણાવ્યું કે સોનમ વાંગચુકનું સ્વાસ્થ્ય સતત કથળતું જાય છે.

અભિજિત દીપકેએ ઍક્સ પર કહ્યું, "સોમન સરની ભૂખ હડતાલનો 17મો દિવસ. તેમની માંસપેશીઓનું વજન ઓછું થવાનું શરૂ થઈ ગયું છે. તેમને દર્દ અનુભવાઈ રહ્યું છે."

તેમણે આગળ લખ્યું, "અન્ય તમામ લોકોની માફક મેં પણ તેમને ભૂખ હડતાળ સમાપ્ત કરવાની અપીલ કરી. તેમણે શાંત ભાવથી કહ્યું કે મને ભૂખ હડતાળ સમાપ્ત કરવાનું નહીં કહો. સરકારને પૂછો કે તેઓ વાતચીત કેમ નથી કરવા માગતી."

સોમન વાંગચુકના સમર્થનમાં તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નાં સાંસદ મહુઆ મોઇત્રાએ પણ નિવેદન જારી કર્યું છે.

તેમણે ઍક્સ પર પોસ્ટ કરીને લખ્યું, "સોમન સર, તમારા અનશને ન્યાયની લડાઈમાં દેશના યુવાનોને એક કર્યા છે. તમારો ઉદ્દેશ પૂર્ણ થઈ ગયો છે."

તેમણે આગળ લખ્યું, "સરકારને તમારી કે કરોડો યુવાનોની જિંદગીની પરવાહ નથી. પરંતુ તમારી જિંદગી અમારા માટે મહત્ત્વની છે. કૃપા કરીને અનશન સમાપ્ત કરો અને લડાઈ ચાલુ રાખો."

ઉલ્લેખનીય છે કે દિલ્હીના જંતર-મંતર પર છેલ્લા કેટલાક દિવસોથી સીજેપીનાં ધરણાપ્રદર્શન ચાલુ છે. પ્રદર્શનકારીઓની મુખ્ય માગ છે કે શિક્ષણ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાન પોતાના પદ પરથી રાજીનામું આપે.

ભારત અને અમેરિકાએ ટ્રેડ ડીલ સાથે જોડાયેલા અહેવાલ વિશે શું કહ્યું?

ભારત અને અમેરિકાએ ટ્રેડ ડીલ સાથે જોડાયેલા અહેવાલ વિશે શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

કેન્દ્રીય વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રી પિયૂષ ગોયલ અને અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ભારત-અમેરિકા ટ્રેડ ડીલ અંગે આવેલી રૉયટર્સના એક રિપોર્ટને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે.

હકીકતમાં, સમાચાર એજન્સી રૉયટર્સે પોતાના રિપોર્ટમાં દાવો કર્યો હતો કે ભારતે અમેરિકાની સાથે ઉતાવળમાં કોઈપણ વેપાર કરાર કરવા માટે ઇન્કાર કર્યો છે અને ડીલમાં વધુ સારી શરતોની અપેક્ષા રાખી રહ્યું છે.

કેન્દ્રીય મંત્રી પિયૂષ ગોયલે ઍક્સ પર આ સમાચારને "સંપૂર્ણપણે ખોટા, નિરાધાર અને ભ્રામક" ગણાવ્યા છે.

પિયૂષ ગોયલે લખ્યું, "જૂનમાં નવી દિલ્હી મુલાકાતે આવેલા અમેરિકન ટ્રેડ પ્રતિનિધિ જૅમિસન ગ્રીયર સાથે મારી ખૂબ જ સારી બેઠકો થઈ હતી. બંને પક્ષોએ એવા વેપાર કરાર પ્રત્યે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરી હતી, જે સંતુલિત હોય, અર્થપૂર્ણ હોય અને બંને દેશોના વ્યવસાયો, ખેડૂતો, શ્રમિકો અને ગ્રાહકો માટે લાભ સુનિશ્ચિત કરવામાં આવે."

તેમણે આગળ લખ્યું, "અમારી ટીમો આ ઉદ્દેશ્યને હાંસલ કરવા માટે સંપૂર્ણ રીતે સક્રિય છે."

રૉયટર્સના રિપોર્ટને ટાંકતા ભારત સ્થિત અમેરિકાના રાજદૂત સર્જિયો ગોરે ઍક્સ પર લખ્યું, "ફેક ન્યૂઝ ઍલર્ટ! કોઈએ પણ કોઈપણ પ્રસ્તાવને નકાર્યો નથી."

તેમણે લખ્યું, "બંને પક્ષો વચ્ચે અત્યંત સકારાત્મક બેઠકો થઈ હતી અને ટ્રેડ ડીલને અંતિમ સ્વરૂપ આપવા માટે પોતાની પ્રતિબદ્ધતા ફરીથી વ્યક્ત કરવામાં આવી હતી. અમે આ દિશામાં સતત સક્રિય રીતે જોડાયેલા છીએ."

નોંધનીય છે કે ભારત-અમેરિકા દ્વિપક્ષીય વેપાર કરારના ફ્રેમવર્કને લઈને મહત્ત્વપૂર્ણ બેઠક જૂનના અંતમાં નવી દિલ્હીમાં યોજાઈ હતી.

હોર્મુઝની સામુદ્રધુનીમાં બે ઑઇલ ટૅન્કરો પર હુમલો, યુએઈનો દાવો

હોર્મુઝ સામુદ્રધુનીમાં બે ઑઇલ ટૅન્કરો પર હુમલો, યુએઈનો દાવો – ન્યૂઝ અપડેટ ઈરાન અમેરિકા યુદ્ધ ખાડી ગલ્ફ

ઇમેજ સ્રોત, Amirhossein KHORGOOEI / ISNA / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, પ્રતીકાત્મક તસવીર

સંયુક્ત આરબ અમીરાત (યુએઈ)એ હોર્મુઝ સ્ટ્રેટમાં તેનાં બે ઑઇલ ટૅન્કરો પર થયેલા હુમલા માટે ઈરાનને જવાબદાર ગણાવ્યું છે.

અમીરાત અને બહેરીનના અધિકારીઓના જણાવ્યા અનુસાર, આ હુમલામાં એક વ્યક્તિનું મોત થયું જ્યારે કે આઠ લોકો ઘાયલ થયા છે.

બહેરીનના સંરક્ષણ મંત્રાલયે જણાવ્યું કે મોમ્બાસા અને બાહિયા નામનાં બે ઑઇલ ટૅન્કરોને ઈરાનથી છોડવામાં આવેલી બે ક્રૂઝ મિસાઇલોથી નિશાન બનાવવામાં આવ્યાં હતાં.

મંત્રાલયના જણાવ્યા પ્રમાણે, હુમલો હોર્મુઝ સ્ટ્રેટના દક્ષિણ ભાગમાં અને ઓમાનના સમુદ્ર ક્ષેત્રમાં થયો.

જોકે, ઈરાને આ આરોપો પર કોઈ પ્રતિક્રિયા વ્યક્ત કરી નથી.

ઈરાની સૈન્ય સૂત્રો સાથે સંકળાયેલી સમાચાર એજન્સીએ દાવો કર્યો છે કે 'ઘણા નિયમોનું ઉલ્લંઘન કરનારાં જહાજો પર હુમલો કરવામાં આવ્યો', પરંતુ હુમલાનો સ્રોત કે જવાબદાર પક્ષનો ઉલ્લેખ કરવામાં નથી આવ્યો.

આ પહેલાં, બ્રિટનની યુકે મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ (યુકેએમટીઓ)એ મંગળવારે સવાલે ઓમાનના કલહાતથી 40 નૉટિકલ માઇલ ઉત્તર-પૂર્વમાં એક સમુદ્ર ઘટનાની જાણકારી આપી હતી.

યુકેએમટીઓના કહેવા પ્રમાણે, એક ઑઇલ ટૅન્કરના કૅપ્ટને જણાવ્યું કે એક અજ્ઞાત પ્રોજેક્ટાઇલ જહાજના ઍન્જિનના રૂમના ભાગ સાથે ટકરાયું.

સંગઠને કહ્યું કે આ ઘટનામાં તમામ ચાલકદળના સભ્યો સુરક્ષિત છે અને જહાજ પર જ છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન