You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
પાવાગઢ ડુંગર પર પથ્થરો ધસી પડતાં બે લોકોનાં મોત – ન્યૂઝ અપડેટ
પંચમહાલ જિલ્લાના યાત્રાધામ પાવાગઢના ડુંગર ઉપર પાટિયા પુલ પાસે યાત્રાળુઓ ઉપર ચઢતા હતા એ વખતે એક દુર્ઘટના સર્જાઈ છે.
પંચમહાલના બીબીસી ગુજરાતી સહયોગી દક્ષેશ શાહે આપેલી માહિતી પ્રમાણે, વહેલી સવારે પાંચ વાગ્યા આસપાસ સાઇડની દીવાલ તૂટી જતાં કેટલાક લોકો દબાઈ ગયા હતા.
હાલોલના નાયબ કલેક્ટર જે.ડી. પટેલના જણાવ્યા અનુસાર, "આ ઘટનામાં બે લોકોનાં મોત થયાં છે."
તેમણે મીડિયાને જણાવ્યું કે "રાતના સમયે 116 મિમી જેટલો વરસાદ પડતાં ત્યાં થોડા પથ્થરો ધસી પડવાની ઘટના બની છે. આ સમયે યાત્રાળુઓ જઈ રહ્યા અને તેમને ઈજા પહોંચી છે."
તેમણે કહ્યું કે "કુલ છ લોકોને ઈજા થઈ હતી અને બે લોકોનાં મોત થયાં છે. બાકીના ચાર લોકોને હાલોલ હૉસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને બે લોકોને સારવાર બાદ રજા આપી દેવાઈ છે."
તેમણે કહ્યું કે હાલમાં પાવાગઢ ડુંગરના રૂટ પર અવરજવર બંધ કરી દેવાઈ છે. ફૉરેસ્ટ, પોલીસ સહિતની ચાર એજન્સીઓ તપાસમાં લાગી છે અને રૂટમાં આવા કોઈ સ્પોટ હોય તો તંત્ર તેના માટે કામે લાગ્યું છે.
ટેલીગ્રામ પર લાગેલી કામચલાઉ રોક યથાવત્ રહેશે: દિલ્હી હાઇકોર્ટ
દિલ્હી હાઇકોર્ટે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ટેલીગ્રામ પર સરકાર દ્વારા લગાવવામાં આવેલી કામચલાઉ રોકને યથાવત્ રાખી છે.
લાઇવ લૉ પ્રમાણે, કોર્ટે કહ્યું, "સરકાર સેક્શન 69-એ અંતર્ગત ટેલીગ્રામ પર રોક લગાવી શકે છે, તેને જોતાં ટેલીગ્રામ પર લગાવવામાં આવેલી અસ્થાયી રોકને પડકાર આપનારી અરજી ફગાવી દેવામાં આવે છે."
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
સરકારે ટેલીગ્રામ પર 22 જુન સુધી પ્રતિબંધ લગાવ્યો હતો, જેની સામે દિલ્હી હાઇકોર્ટમાં અરજી કરવામાં આવી હતી.
કેન્દ્ર સરકારે 18મી જૂને તેના પર જવાબ દાખલ કર્યો હતો.
કેન્દ્ર સરકારે કોર્ટને જણાવ્યું કે 21મી જૂને થનારી નીટની ફેરપરીક્ષા પહેલાં માત્ર ટેલીગ્રામ પર જ કેમ પ્રતિબંધ લગાવ્યો?
એક સરકારી રિપોર્ટને હવાલેથી સરકારે જણાવ્યું હતું કે મોટા પાયે ખોટી જાણકારી ફેલાવવા મામલે ટેલીગ્રામનું બૉટ આર્કિટેક્ચર તેને વધારે સંવેદનશીલ બનાવે છે.
બાર ઍન્ડ બેન્ચ પ્રમાણે, સરકાર તરફથી કોર્ટમાં દાખલ સોગંદનામામાં કહેવામાં આવ્યું છે, "ટેલીગ્રામ નવું ડાર્ક વેબ બની ગયું છે. તે જોખમ પેદા કરનારા લોકોને પરસ્પર જોડે છે. અપરાધિઓએ ઝડપથી ટેલીગ્રામને અપનાવી લીધું છે. તેઓ તેની ચૅનલો પર એવી લિંક પોસ્ટ કરે છે, જે ડીપ વેબ લિંક મારફતે ડાર્ક વેબ ફોરમથી જોડાય છે, જેથી અપરાધિઓને ટ્રૅક કરવા અને તેમની ઓળખની ભાળ મેળવવી મુશ્કેલ બને છે."
કેન્દ્ર સરકારે કહ્યું હતું કે નીટ માફિયાનું નામની ટેલીગ્રામ ચૅનલ મળી હતી, જેના 18,617 સબ્સ્ક્રાઇબર હતા.
ઈરાનની કોર્ટે આ ગાયિકાને ચાબુકના 74 ફટકા મારવાની સજા આપી, શા માટે?
ઈરાનની એક અદાલતે ગાયિકા પરસ્તૂ અહમદી અને 'કારવાંસરાય કૉન્સર્ટ'ના 8 અન્ય સભ્યોને ચાબુકના 74 ફટકા મારવાની સજા આપી છે.
સાથે જ તેમના પર બે વર્ષ સુધી દેશ છોડી જવા અને બે વર્ષ સુધી કલા સાથે જોડાયેલી કોઈ પણ પ્રવૃત્તિઓ કરવા પર રોક લગાવી છે.
આ ચુકાદો કોમ પ્રાંતની અદાલતે સંભળાવ્યો હતો. કોર્ટે ઇસ્લામી કાયદાની કલમનો હવાલો આપીને આ તમામ સભ્યોને સજા આપી છે. સાથે કહેવામાં આવ્યું કે આ ચુકાદો દેશના મીડિયામાં પણ છપાશે.
જેમને આ સજા સંભળાવવામાં આવી છે, તેના પર આરોપ છે કે ઇન્ટરનેટ પર ખોટી અને અશ્લિલ બાબત મૂકીને લોકોની શાલીનતાને નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું.
કારવાંસરાય કૉન્સર્ટનો વીડિયો ડિસેમ્બર 2014માં ગાયિકા પરસ્તૂ અહમદીની યૂટ્યૂબ ચૅનલ પર મૂકવામાં આવ્યો હતો. સોશિયલ મીડિયા પર તેને લઈને ઘણી ચર્ચા થઈ હતી. આ વીડિયોમાં ગાયિકા હિજાબ પહેર્યા વગર ગાયન ગાય છે.
આ વીડિયો કેટલીક મિનિટોમાં જ વાઇરલ થઈ ગયો હતો.
જેડી વેન્સનો ઇઝરાયલને કડક સંદેશ, 'દુનિયામાં એક માત્ર બચેલા તેમના મિત્ર પર હુમલો ન કરો'
ગુરુવારે અમેરિકાના ઉપ રાષ્ટ્રપતિ જેડી વેન્સે લગભગ 45 મિનિટ સુધી પ્રેસ કૉન્ફરન્સ કરી હતી.
તેમાં તેમએ ઈરાન સાથેની સજૂતી મામલે જાણકારી આપી. પરંતુ સાથે તેમણે અમેરિકાના નીકટ સહયોગી ઇઝરાયલ અને ત્યાંના વડા પ્રધાન બેન્જામિન નેતન્યાહૂને સલાહ પણ આપી.
આ પહેલાં પણ રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે નેતન્યાહૂને સલાહ આપતા કહ્યું હતું કે તેમણે લેબનોન અને હિઝ્બુલ્લાહ મામલે વધારે જવાબદાર થવાની જરૂર છે.
ઇઝરાયલ સરકારના કેટલાક કૅબિનેટ મંત્રીઓએ અમેરિકા-ઈરાન સમજૂતી મામલે અસહમતિ જાહેર કરી હતી. ખુદ નેતન્યાહૂ તેનાથી વધારે ખુશ નજર નથી પડતા. તેમણે ઈરાન સામે કડક વલણ જારી રાખવોનો સંકેત આપ્યો હતો.
જ્યારે ઈરાન સાથે સમજૂતીની વાત ચાલી રહી હતી, તેના વચ્ચે ઇઝરાયલે લેબનોનની રાજધાની બૈરુત પર હુમલો કરી દીધો હતો. તેનાથી પણ ટ્રમ્પ નારાજ હતા. કારણકે ઈરાનની માગ હતી કે સમજૂતીમાં લેબનોનમાં પણ સંપૂર્ણ યુદ્ધવિરામની બાબત લાગુ થાય.
હવે વ્હાઇટ હાઉસમાં જેડી વેન્સને મીડિયા સાથેની વાતચીતમાં જ્યારે આ મામલે સવાલ પૂછવામાં આવ્યો ત્યારે તેના જવાબમાં તેમણે કહ્યું, "સૌથી પહેલી વાત એ છે કે દુનિયામાં માત્ર ડોનાલ્ડ ટ્રમ્પ જ એક માત્ર નેતા છે જેઓ ઇઝરાયલ પ્રત્યે સહાનુભૂતિ અને સમર્થન દેખાડે છે. સાથે, તેઓ દુનિયાના સૌથી તાકતવર દેશના નેતા પણ છે."
તેમણે ઉમેર્યું, "જો હું ઇઝરાયલી કૅબિનેટનો સભ્ય હોત તો કદાચ હું દુનિયામાં એક માત્ર બચેલા તાકતવર સહયોગી પર સાર્વજનિક રીતે હુમલો ન કરત."
અમેરિકાની ઈરાન સાથે ડીલ થતાં જ તેણે આપી આ છૂટ
અમેરિકા દ્વારા ઈરાનનાં બંદરો પર લગાવવામાં આવેલી નૌકાદળની નાકાબંધી હટાવી લેવામાં આવી છે. બંને દેશો વચ્ચેના કરાર પર હસ્તાક્ષર થતાં જ આ પગલું લેવામાં આવ્યું છે.
અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ)એ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર તેની પુષ્ટિ કરતાં લખ્યું છે કે રાષ્ટ્રપતિના નિર્દેશ અનુસાર નાકાબંધી સમાપ્ત કરી દેવામાં આવી છે.
સેન્ટકૉમે ઍક્સ પર લખ્યું, "આજે અમેરિકી સેનાએ રાષ્ટ્રપતિના નિર્દેશ મુજબ ઈરાનનાં બંદરો અને દરિયાકાંઠાના વિસ્તારોમાં આવતાં-જતાં તમામ જહાજો પર લાગુ નાકાબંધી હટાવી દીધી છે."
સેન્ટકૉમે આગળ લખ્યું, "અમેરિકી સેના હવે ઈરાનનાં બંદરો તરફ આવતાં અને ત્યાંથી જતાં જહાજોને રોકી રહી નથી. અમેરિકી નૌકાદળની નાકાબંધી અમલમાં મૂકવાના તમામ પ્રયાસો બંધ કરી દેવામાં આવ્યા છે. અમારા મોટા નૌકાદળનાં જહાજો સામાન્ય વિસ્તારમાં તહેનાત રહેશે જેથી કરારની તમામ શરતોનું પાલન સુનિશ્ચિત થઈ શકે."
ઉલ્લેખનીય છે કે મધ્યસ્થ તરીકે પાકિસ્તાનના વડા પ્રધાન શહબાઝ શરીફે ગુરુવારે જ કહ્યું હતું કે આ કરાર તરત જ અમલમાં આવશે.
તેમણે કહ્યું હતું કે પ્રથમ પગલા તરીકે ઈરાન હોર્મુઝ સામુદ્રધુની ખોલશે અને અમેરિકા નૌકાદળની નાકાબંધી હટાવશે.
ઈરાનના સુપ્રીમ લીડર મોજતબા ખામેનેઈ પહેલી વખત અમેરિકા સાથે થયેલી ડીલ પર શું બોલ્યા?
ઈરાનના સર્વોચ્ચ નેતા મોજતબા ખામેનેઈએ કહ્યું છે કે અમેરિકા સાથે થયેલા કરાર અંગે તેમનો અભિપ્રાય અલગ હતો, છતાં તેમણે તેના પર હસ્તાક્ષર કરવાની મંજૂરી આપી હતી.
ઈરાની મીડિયાએ ગુરુવાર સાંજે મોજતબા ખામેનેઈનું નિવેદન પ્રકાશિત કર્યું.
મોજતબા ખામેનેઈએ પોતાના લેખિત સંદેશમાં જણાવ્યું, "આ કરાર અંગે મારી અલગ દૃષ્ટિ હતી. પરંતુ રાષ્ટ્રપતિ મસૂદ પેઝેશ્કિયાને મને વિશ્વાસ અપાવ્યો હતો કે તેઓ ઈરાની જનતા અને વિરોધી શક્તિઓ સામે ઊભેલા લોકોના હકોનું રક્ષણ કરશે. તેમણે તેની જવાબદારી પણ સ્વીકારી હતી. તેથી જ મેં મંજૂરી આપી."
ખામેનેઈએ કહ્યું કે પેઝેશ્કિયાને તેમને જણાવ્યું હતું કે જો અમેરિકી પક્ષ વધુ માંગણીઓ કરશે તો તેઓ તેને સ્વીકારશે નહીં.
ખામેનેઈએ સંદેશમાં લખ્યું, "હવે આપણે બધા, હું અને આપણો ગૌરવશાળી દેશ, જણાવવામાં આવેલી શરતો પૂર્ણ થવાની રાહ જોશું."
આ સંદેશમાં ખામેનેઈએ સીધા રીતે ઈરાની અને અમેરિકી અધિકારીઓ વચ્ચેની ચર્ચાઓને પણ મંજૂરી આપી છે.
આ પહેલી વખત છે જ્યારે મોજતબા ખામેનેઈએ આ કરાર અંગે જાહેર પ્રતિક્રિયા આપી છે. માર્ચમાં સર્વોચ્ચ નેતાનું પદ સંભાળ્યા પછીથી તેઓ જાહેરમાં દેખાયા નથી.
તેમના પિતા આયાતુલ્લાહ અલી ખામેનેઈનું 28 ફેબ્રુઆરીએ અમેરિકા-ઇઝરાયલના હુમલામાં અવસાન થયું હતું.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન