264 રન કરનારી ટીમ માત્ર 75 રનમાં કેવી રીતે ઑલઆઉટ થઈ ગઈ?

આઇપીએલ, દિલ્હી કૅપિટલ્સ, રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ, સ્પૉર્ટ્સ, બીબીસી ગુજરાતી, ક્રિકેટ

ઇમેજ સ્રોત, ani

વાંચવાનો સમય: 4 મિનિટ

25 એપ્રિલના રોજ દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં પંજાબ કિંગ્સ સામેની મૅચમાં દિલ્હી કૅપિટલ્સે 20 ઓવરમાં 264 રન બનાવ્યા હતા અને પંજાબ કિંગ્સે 19મી ઓવરમાં લક્ષ્યનો પીછો કરીને ઇતિહાસ રચી દીધો.

પણ બે દિવસ પછી... જે મેદાનમાં 529 રન થયા હતા તે મેદાનની બાજુમાં આવેલી પીચ પર દિલ્હી કૅપિટલ્સ જ્યારે ફરીથી પ્રથમ બેટિંગ માટે મેદાનમાં ઊતરી ત્યારે ચાહકોને એવી અપેક્ષા હતી કે રનનો વરસાદ થશે. જોકે આરસીબીની આક્રમક બૉલિંગ દિલ્હી માટે ખૂબ જ મુશ્કેલ સાબિત થઈ અને તે માત્ર 75 રનમાં ઑલઆઉટ થઈ ગઈ.

ભુવનેશ્વરકુમાર અને જોશ હેઝલવૂડે શાનદાર બૉલિંગ કરી હતી. દિલ્હીએ પહેલા 23 બૉલમાં છ વિકેટ ગુમાવી દીધી અને તે પણ ફક્ત આઠ રનમાં. દિલ્હી કૅપિટલ્સ આ બે ઝડપી બૉલરોની ઓવર સામે સંપૂર્ણપણે લાચાર દેખાઈ રહી હતી અને પાવરપ્લેમાં તેનો સ્કોર 13/6 હતો.

આ આઇપીએલનાં 19 વર્ષના ઇતિહાસમાં સૌથી ઓછો પાવરપ્લે સ્કોર છે.

આરસીબીએ દિલ્હી કૅપિટલ્સે આપેલો 16.3 ઓવરનો લક્ષ્યાંક માત્ર 6.3 ઓવરમાં જ હાંસલ કરી લીધો અને સિઝનની છઠ્ઠી જીત મેળવી. આ મોટી જીત સાથે ટીમે તેના રનરેટમાં પણ નોંધપાત્ર થયો.

બૅંગલુરુના ભુવનેશ્વરકુમારે ત્રણ અને જોશ હેઝલવૂડે ચાર વિકેટ લીધી હતી.

ભુવનેશ્વરકુમારની શાનદાર બૉલિંગ

આઇપીએલ, દિલ્હી કૅપિટલ્સ, રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ, સ્પૉર્ટ્સ, બીબીસી ગુજરાતી, ક્રિકેટ

ઇમેજ સ્રોત, ani

દિલ્હી કૅપિટલ્સ ગત મૅચની જેમ રન બનાવવાની આશા સાથે મેદાનમાં ઊતરી હતી. ઓપનિંગમાં આવેલા સાહિલ પરખે અગાઉ માત્ર બે ટી-20 રમી હતી. આઇપીએલના ઇતિહાસમાં સૌથી વધુ વિકેટ લેનાર ભુવનેશ્વરકુમાર સામે તેઓ ટકી ન શક્યા. ભુવનેશ્વરે ઇન-સ્વિંગ યૉર્કર ફેંક્યો અને ડેબ્યૂ કરનાર બૅટ્સમૅન પરખ કોઈ અંદાજ ન લગાવી શક્યા.

સાહિલ પોતાનું બૅટ નીચે કરે એ પહેલાં વિકેટ ગુમાવી દીધી હતી.

આ વિકેટ બાદ ભુવનેશ્વરકુમારે ધડાધડ વિકેટ ખેરવવા માંડી.

દિલ્હી કૅપિટલ્સની ઇનિંગ પછી ભુવનેશ્વરકુમારે કહ્યું કે તેમણે દિલ્હી-પંજાબ મૅચની શરૂઆતની ઓવરોમાં બૉલને સ્વિંગ થતો જોયો અને તેનો સંપૂર્ણ લાભ લેવાની યોજના ઘડી. તેમણે આ મૅચમાં તેનો અમલ પણ કર્યો. દિલ્હી સામેની મૅચમાં ભુવનેશ્વરકુમારે એ તક ઝડપી લીધી અને તેનો એક હથિયાર તરીકે ઉપયોગ કર્યો.

ભુવનેશ્વરે તેમની પહેલી ઓવરમાં એક વિકેટ લીધી અને બીજી ઓવરમાં ટ્રિસ્ટન સ્ટબ્સ અને અક્ષર પટેલની વિકેટ લીધી. અનુભવી ઝડપી બૉલરે બંને વિકેટો લેવા માટે બંને તરફ સ્વિંગ બૉલિંગ કરી હતી.

હેઝલવૂડની 'ભ્રામક બૉલિંગ'

આઇપીએલ, દિલ્હી કૅપિટલ્સ, રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ, સ્પૉર્ટ્સ, બીબીસી ગુજરાતી, ક્રિકેટ

ઇમેજ સ્રોત, ani

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ભુવનેશ્વરે તેમની સ્વિંગ બૉલિંગથી, તો હેઝલવૂડ તેમની લંબાઈને કારણે નિયમિત બાઉન્સર ફેંકીને દિલ્હીના બૅટ્સમૅનો સામે ભારે પડ્યા.

કેએલ રાહુલે ગત મૅચમાં અણનમ 152 રન બનાવ્યા હતા. જોકે આ મૅચમાં તેઓ માત્ર એક રન કરી શક્યા. તેઓ હેઝલવૂડના પહેલા જ બૉલ પર આઉટ થઈ ગયા. હેઝલવૂડે બૅક-ઑફ-લૅન્થ પીચ પર 141.4 કિમી પ્રતિ કલાકની ઝડપે બૉલ ફેંક્યો હતો. રાહુલે તેને પુલ શૉટ રમવાનો પ્રયાસ કર્યો, પરંતુ બૉલ તેમના ખભા તરફ ઊછળ્યો અને જિતેશ શર્માના હાથમાં ગયો.

તે સમયે કૉમેન્ટરી કરતા પૂર્વ ભારતીય કૅપ્ટન સુનીલ ગાવસ્કરે કહ્યું હતું કે, "હેઝલવૂડની બૉલિંગ લૅન્થ ભ્રામક છે. તે શૉર્ટ બૉલ જેવી લાગે, પરંતુ એવું નથી હોતું. જોકે, તે લૅન્થ પર પણ બૉલને સારી રીતે ઉછાળી શકે છે. તેણે અહીં પણ એવું જ કર્યું. રાહુલ યોગ્ય સ્થિતિમાં ન હતો અને બૉલને ફટકારી શકતો ન હતો."

હેઝલવૂડે પહેલા જ બૉલ પર ફૉર્મમાં રહેલા બૅટ્સમૅનને આઉટ કરી દીધા હતા.

જ્યારે રિઝવી બૅટિંગમાં આવ્યા ત્યારે હેઝલવૂડે તેમની બૉલિંગ લૅન્થ સંપૂર્ણપણે બદલી નાખી. રિઝવીએ ઑફ-સ્ટમ્પની બહાર ફુલ-લૅન્થ ડિલિવરી ફટકારવાનો પ્રયાસ કર્યો, પરંતુ જિતેશે તેમનો કૅચ પકડી લીધો.

એ પછીની ઓવરમાં નીતીશ રાણા પણ રાહુલની જેમ બૅક-ઑફ-લૅન્થ ડિલિવરીથી આઉટ થયા.

જ્યારે નીતીશ રાણા આઉટ થયા, ત્યારે દિલ્હી કૅપિટલ્સનો સ્કોર 3.5 ઓવરમાં 8 વિકેટે 6 રન હતો. એ પછી ટીમ ક્યારેય તે નબળી પરિસ્થિતિમાંથી બહાર આવી ન શકી.

હેઝલવૂડે તેમની પ્રથમ ત્રણ ઓવરમાં માત્ર 8 રન આપીને ત્રણ વિકેટ લીધી, તેઓ 17મી ઓવરમાં ફરી બૉલિંગ કરવા આવ્યા. તેમણે અભિષેક પોરેલને યૉર્કર ફેંકી બોલ્ડ કર્યા, જેનાથી દિલ્હીની ઇનિંગનો અંત આવ્યો. હેઝલવૂડે 4/12ના આંકડા સાથે પોતાનો સ્પેલ પૂરો કર્યો.

દિલ્હી તરફથી સૌથી વધુ રન (30) અભિષેકે કર્યા હતા.

'મને હાલ પણ સમજાતું નથી કે શું થયું'

આઇપીએલ, દિલ્હી કૅપિટલ્સ, રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ, સ્પૉર્ટ્સ, બીબીસી ગુજરાતી, ક્રિકેટ

ઇમેજ સ્રોત, ani

આરસીબીના બંને મુખ્ય બૉલરોની ઉત્તમ બૉલિંગને જોતાં આરસીબીના ફિલ્ડરોએ વધુ ટેકો પૂરો પાડ્યો હોય તેવું લાગતું હતું.

આરસીબીના કૅપ્ટન રજત પાટીદારે પોતાની ફિલ્ડિંગ વ્યવસ્થા મજબૂત રાખી હતી. કેએલ રાહુલના આઉટ થયા પછી જ્યારે રિઝવી બૅટિંગ કરવા આવ્યા, ત્યારે તેમની જગ્યાએ બે સ્લિપ ફિલ્ડરો ગોઠવી દીધા. ભુવનેશ્વરકુમાર સારી આઉટસ્વિંગ બૉલિંગ કરી રહ્યા હોવાથી શરૂઆતની ઓવરોમાં પણ બે સ્લિપ ફિલ્ડરો ગોઠવ્યા હતા.

એક સમય એવો પણ આવ્યો કે પાટીદારે 30-યાર્ડ સર્કલની બહાર માત્ર એક જ ફિલ્ડર રાખ્યો અને બાકીના બધાને અંદર બોલાવી લીધા.

આમ, ઓછો સ્કોર હોવા છતાં મજબૂત ફિલ્ડિંગ કરીને આરસીબીએ નવ વિકેટે મૅચ જીતી લીધી. આરસીબી તરફથી વિરાટ કોહલી (23 અણનમ) અને દેવદત્તે (34 અણનમ) રન કર્યા હતા.

મૅચ બાદ દિલ્હી કૅપિટલ્સના કૅપ્ટન અક્ષર પટેલે કહ્યું કે "મને હાલ પણ સમજાતું નથી કે શું થયું. એટલા માટે લોકો કહે છે કે ક્રિકેટમાં તમારે દરેક સમયે તમારે જાગૃત રહેવું પડે છે. 'જો અને તો' તો ચાલ્યા કરશે. જેમ કે જો અમે તે કૅચ પકડી લેતા અથવા તે રન લઈ લેતા. (ગુજરાત ટાઇટન્સ વિરુદ્ધ) આવું ચાલતું રહેશે."

"દરેક દિવસે, તમારે જાગૃત રહેવું પડશે અને તે કરતા રહેવું પડશે જે તમે સારું કરો છો. તમે એક દિવસ માટે પણ ઢીલ છોડી નહીં શકો. જે થઈ ગયું છે, તેના વિશે વિચાર્યા વિના તેના વિશે વિચારો જે આવવાનું છે. ભુવનેશ્વરકુમાર અને હેઝલવૂડ વર્લ્ડક્લાસ બૉલર છે."

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન