ખેતરમાં વીજપોલ મામલે સરકારની મોટી જાહેરાત, જિતુ વાઘાણીએ શું કહ્યું? - ન્યૂઝ અપડેટ

જીતુ વાઘાણી આજની પત્રકાર પરિષદમાં

ઇમેજ સ્રોત, Jitu Vaghani/FB

ઇમેજ કૅપ્શન, જીતુ વાઘાણી આજની પત્રકાર પરિષદમાં
પ્રકાશિત
વાંચવાનો સમય: 5 મિનિટ

ખેતરોમાં વીજથાંભલા નાખવાના વિરોધમાં ગુજરાતમાં છેલ્લા 16 દિવસથી ખેડૂતોના આમરણાંત ઉપવાસ ચાલી રહ્યા છે.

હવે આ મુદ્દે કૃષિમંત્રી જિતુ વાઘાણીએ મોટી જાહેરાત કરી છે.

તેમણે ખેડૂતોને વર્તમાન જમીનના ભાવના બમણા ભાવ ચૂકવવાની તથા એકસાથે જ ચૂકવવાની જાહેરાત કરી છે.

તેમણે કહ્યું હતું કે, "અત્યાર સુધી ખેડૂતોને જંત્રીના બમણા ભાવ ચૂકવવામાં આવતા હતા. હવે જમીનના માર્કેટ રેટના બમણા ભાવ ચૂકવવામાં આવશે. આ ખેડૂત હિતલક્ષી નિર્ણય છે."

"અત્યાર સુધી વીજપાયાના વાસ્તવિક માપ અનુસાર જ વળતર મળતું હતું. હવે તેની આજુબાજુ વધારાનું એક મીટર ગણવામાં આવશે અને એ પ્રમાણે વળતર આપવામાં આવશે."

સરકારે જમીનની બજારકિંમત નક્કી કરવા કમિટી બનાવવાની જાહેરાત પણ કરી છે.

જમીનનું વૅલ્યુએશન પણ ખેડૂતના વૅલ્યુઅર તરફથી, વીજકંપની વૅલ્યુઅર તરફથી અને કલેક્ટર તરફથી થશે તથા પછી ત્રણેય વચ્ચે સામંજસ્ય બેસાડીને આ નિર્ણય કરવામાં આવશે.

આ સિવાય માર્કેટ રેટ કમિટી (એમઆરસી)માં તેમાં જિલ્લા કલેક્ટર અધ્યક્ષસ્થાને રહેશે. ખેડૂતો તરફથી એક પ્રતિનિધિ તથા વીજકંપની તરફથી એક પ્રતિનિધિ રહેશે. આ સિવાય કલેક્ટરને જરૂર જણાય તો અન્ય બે પ્રતિનિધિ નીમાશે.

વાઘાણીએ ઉદાહરણ આપતાં કહ્યું હતું કે, "જૂની ગણતરી પ્રમાણે જેતપરના ખેડૂતોને 12.74 લાખ મળવાપાત્ર હતા. તેના બદલે હવે ખેડૂતોને 37.25 લાખ મળશે."

આ અંગે હજુ આંદોલનકારી ખેડૂતોએ કોઈ પ્રતિક્રિયા આપી નથી.

ઈરાન: આયતુલ્લાહ અલી ખામેનેઈનો અંતિમ સંસ્કાર સમારોહ શરૂ, ઘણા વિદેશી મહેમાનો તેહરાન પહોંચ્યા

બીબીસી

ઇમેજ સ્રોત, ISNA

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઈરાનના પૂર્વ સર્વોચ્ચ નેતા આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર સમારોહ શરૂ થઈ ગયો છે, જેમાં વિદેશી મહેમાનો પણ ઈરાન પહોંચી રહ્યા છે.

બીબીસીની પર્શિયન અનુસાર, થોડી ક્ષણો પહેલાં ચાઇનીઝ પીપલ્સ કૉંગ્રેસના નાયબ વડા હે વેઈના ફોટા જાહેર કરવામાં આવ્યા હતા, જેઓ આજના સમારોહમાં હાજરી આપવા માટે તેહરાન પહોંચ્યા હતા.

તેમની મુલાકાતની શરૂઆતમાં તેઓ ઈરાની સંસદના અધ્યક્ષ મોહમ્મદ બઘર ગાલિબાફને મળ્યા.

અત્યાર સુધી તુર્કમેનિસ્તાનના રાષ્ટ્રીય નેતા, ઇરાકી સંસદના સ્પીકર, દેશના રાષ્ટ્રપતિ, ઇરાકી કુર્દીસ્તાન પ્રદેશના વડા અને આર્મેનિયાના વડા પ્રધાન સામેલ છે જેઓ આયતુલ્લાહ અલી ખામેનેઈને શ્રદ્ધાંજલિ આપવા માટે સમારોહમાં હાજર રહેશે.

આ સમારોહમાં ડઝનબંધ અન્ય દેશોના નેતાઓ, સંસદના સ્પીકર્સ અને વિદેશ મંત્રીઓ હાજરી આપે તેવી અપેક્ષા છે. ઈરાન પર ઇઝરાયલી હવાઈ હુમલામાં આયતુલ્લાહ અલી ખામેનેઈનું મોત થયું હતું, તેમની સાથે ઘણા અન્ય ટોચના ઈરાની અધિકારીઓ પણ માર્યા ગયા હતા.

તેહરાનનગર પાલિકાના સાંસ્કૃતિક અને સામાજિક બાબતોના નાયબ વડા મોહમ્મદ અમીન તવાકઅલીઝાદેહના જણાવ્યા અનુસાર, "રાજધાની તેહરાનમાં 4, 5, 6, 7 અને 8 જુલાઈના રોજ યોજાનાર આયતુલ્લાહ અલી ખામેનેઈના અંતિમ સંસ્કાર સમારોહમાં દોઢથી બે કરોડ લોકો સામેલ થઈ શકે છે."

આમિર ખાન પાંચ જુલાઈએ લગ્ન કરશે, કોણ સામેલ થશે?

આમિર ખાન પાંચ જુલાઈએ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરી રહ્યા છે.

ઇમેજ સ્રોત, Sujit JAISWAL / AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, આમિર ખાન પાંચ જુલાઈએ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરી રહ્યા છે.

બૉલીવૂડ સુપરસ્ટાર આમિર ખાને પોતાનાં લગ્ન અંગે માહિતી આપી છે.

મુંબઈમાં એક કાર્યક્રમમાં તેમણે કહ્યું કે "પાંચ જુલાઈએ મારાં લગ્ન થવાનાં છે. અમારા માટે આ ખાસ દિવસ છે. લગ્ન સમારોહમાં બંને તરફના પરિવારજનો અને કેટલાક અંગત મિત્રો જ સામેલ થશે. લગ્ન ઘરે જ થશે. હું ઇચ્છું છું કે બધા અમારા માટે દુઆ કરે અને આશીર્વાદ આપે. અમે ખુશ રહીએ, અમારી સફર સારી રહે."

આમિર ખાન પાંચ જુલાઈએ ગૌરી સ્પ્રેટ સાથે લગ્ન કરી રહ્યા છે. આમિર ખાને આ વર્ષની શરૂઆતમાં તેમના 60મા જન્મદિને પહેલી વાર મીડિયા સામે ગૌરી સ્પ્રેટનો પરિચય કરાવ્યો હતો અને સાર્વજનિક રીતે પોતાના સંબંધોની પુષ્ટિ કરી હતી.

આમિર ખાનનાં પ્રથમ લગ્ન રીના દત્તા સાથે થયાં હતાં, જેનાથી તેમને બે બાળક છે- જુનૈદ ખાન અને ઈરા ખાન. બાદમાં તેમણે ફિલ્મમેકર કિરણ રાવ સાથે લગ્ન કર્યાં, તેમનો એક પુત્ર આઝાદ છે.

મહિલા ટી-20 વર્લ્ડકપ: ઇંગ્લૅન્ડની ટીમ દક્ષિણ આફ્રિકાને હરાવીને ફાઇનલમાં પહોંચી

ઇંગ્લૅન્ડે શાનદાર પ્રદર્શન કરીને દક્ષિણ આફ્રિકાને 40 રનથી હરાવીને આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ 2026ની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે

ઇમેજ સ્રોત, PA Media

ઇમેજ કૅપ્શન, ઇંગ્લૅન્ડે શાનદાર પ્રદર્શન કરીને દક્ષિણ આફ્રિકાને 40 રનથી હરાવીને આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ 2026ની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે

યજમાન ઇંગ્લૅન્ડે શાનદાર પ્રદર્શન કરીને દક્ષિણ આફ્રિકાને 40 રનથી હરાવીને આઇસીસી મહિલા ટી-20 વર્લ્ડકપ 2026ની ફાઇનલમાં સ્થાન મેળવી લીધું છે.

ગુરુવારે ઓવલમાં રમાયેલી સેમિફાઇનલમાં જીત બાદ ઇંગ્લૅન્ડ ઘરેલુ મેદાનમાં વધુ એક વર્લ્ડકપ જીતવાથી એક ડગલું દૂર છે.

પીંડીની ઈજામાંથી બહાર આવેલાં નૅટ સાઇવર-બ્રન્ટે સેમિફાઇનલમાં શાનદાર પ્રદર્શન કર્યું અને ટીમની જીતમાં મહત્ત્વની ભૂમિકા નિભાવી છે.

તેમની બેટિંગના જોરે ટીમે 20 ઓવરમાં પાંચ વિકેટ પર 169 રન કર્યા.

લક્ષ્યનો પીછો કરતી દક્ષિણ આફ્રિકાની ટીમ તરફથી તાઝમિન બ્રિટ્સે અર્ધ સદી ફટકારી, પરંતુ સામા છેડેથી તેમને એટલો સાથ ન મળ્યો.

અને આખી ટીમ 20 ઓવરમાં આઠ વિકેટ પર 129 રન બનાવી શકી અને ઇંગ્લૅન્ડની ટીમ 40 રનથી જીતી ગઈ.

ફિફા વર્લ્ડકપ 2026: પોર્ટુગલ પણ અંતિમ 16માં પહોંચ્યું, સ્પેન સામે ટકરાશે

ફિફા વર્લ્ડકપ 2026 બીબીસી

ઇમેજ સ્રોત, Cole Burston / AFP via Getty Images

ફિફા વર્લ્ડકપ 2026ની એક રોમાંચક મૅચ બાદ પોર્ટુગલે ક્રોએશિયાને 2-1થી હરાવીને અંતિમ 16માં સ્થાન મેળવ્યું છે.

હવે તેનો મુકાબલો સ્પેન સામે થશે, જેણે ઑસ્ટ્રિયાને 3-0થી હરાવીને અંતિમ 16માં સ્થાન મેળવ્યું હતું.

ફુલ ટાઇમ સુધી બંને ટીમો 1-1થી બરાબર હતી, ત્યાર બાદ મૅચ ઍકસ્ટ્રા ટાઇમમાં ગઈ.

એકસ્ટ્રા ટાઇમમાં પોર્ટુગલના ગોંસાલો રામોસે ગોલ કરીને પોતાની ટીમને 2-1ની સરસાઈ અપાવી હતી.

પરંતુ 103મી મિનિટમાં જે બન્યું તે પછી આ મૅચ લાંબા સમય સુધી યાદ રહી જશે.

ક્રોએશિયાના જોસ્કો વર્ડિલોવે ગોલ કરીને ટીમને 2-2થી ડ્રો કરાવી, પરંતુ ત્યાર બાદ ગોલ ઑફસાઇડ જાહેર કરવામાં આવ્યો. મેદાનમાં રહેલા ક્રોએશિયન સમર્થકો ગુસ્સે ભરાયા અને મેદાન પર પ્લાસ્ટિકની બૉટલો ફેંકવાનું શરૂ કર્યું.

આખરે મૅચ ફરી શરૂ કરવામાં આવી અને અંતિમ વ્હિસલ વાગતાં જ પોર્ટુગલે અંતિમ 16માં સ્થાન મેળવી લીધું.

પોર્ટુગલ માટે પહેલો ગોલ તેમના સુપરસ્ટાર ક્રિસ્ટિયાનો રોનાલ્ડોએ 68મી મિનિટે પેનલ્ટીથી કર્યો હતો, જ્યારે ક્રોએશિયા માટે એકમાત્ર ગોલ ઇવાન પેરિસિકે 53મી મિનિટે કર્યો હતો.

અમેરિકાની આ યોજનાથી ઈરાન ગુસ્સે ભરાયું, અબ્બાસ અરાગચીએ આપી ચેતવણી

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાઘચી, બીબીસી

ઇમેજ સ્રોત, OZAN KOSE/AFP via Getty Images

ઈરાનના વિદેશમંત્રી અબ્બાસ અરાગચીએ બહેરીનમાં અમેરિકાના સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકૉમ) દ્વારા આયોજિત પ્રાદેશિક સુરક્ષા સંમલેનની આકરી ટીકા કરી છે.

તેમણે એ વિચારને નકારી કાઢ્યો કે પશ્ચિમી દેશોનો હસ્તક્ષેપ પશ્ચિમ એશિયામાં સ્થિરતા લાવી શકે છે.

બીબીસી ફારસી અનુસાર, અરાગચીએ પૂછ્યું "શું અમેરિકન સેન્ટ્રલ કમાન્ડ (સેન્ટકોમ)એ અમારા પ્રદેશમાં સુરક્ષા પેદા કરી છે કે અસુરક્ષા? તેનો જવાબ સ્પષ્ટ છે. અમારા શક્તિશાળી સશસ્ત્ર દળોએ સાબિત કર્યું છે કે વિદેશીઓ પોતાનું રક્ષણ કરવામાં અસમર્થ છે. અમારા પ્રદેશમાં શાંતિ કાયમી ધોરણે ફક્ત ત્યારે જ રહેશે જ્યારે તે વ્યાપક અને સમાવેશી હોય અને કોઈ પણ પ્રકારની વિદેશી દખલગીરીથી મુક્ત હોય."

આ દરમિયાન, હોર્મુઝની સામુદ્રધુનીમાં એક કાર્ગો જહાજ પર હુમલા બાદ બંને દેશો વચ્ચે થયેલા ગોળીબાર થયા બાદ અમેરિકા અને ઈરાન વચ્ચે યુદ્ધવિરામ ઉલ્લંઘનના અહેવાલો સામે આવ્યા છે.

એક અઠવાડિયા પછી, ઈરાને ફરી એક વાર હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થતા ટેન્કરોને ચેતવણી આપી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન