You’re viewing a text-only version of this website that uses less data. View the main version of the website including all images and videos.
આ 'જાદુઈ ધૂળ' કાળઝાળ ગરમીથી રાહત અપાવી શકે છે?
- લેેખક, જોનાહ ફિશર
- પદ, બીબીસી પર્યાવરણ સંવાદદાતા
- પ્રકાશિત
- વાંચવાનો સમય: 4 મિનિટ
ભારે મશીનરીના શોરબકોરથી ઘેરાયેલી એક ક્વૉરીમાં જિમ માન નીચે ઝૂકે છે અને મુઠ્ઠીમાં ધૂળ ઉપાડે છે.
હાથમાં તેને મસળતાં-મસળતાં ખુશ થઈને તેઓ કહે છે, "આ મારી જાદુઈ ધૂળ" છે.
તેમના હાથમાં જે ધૂળ છે એ હકીકતમાં બેસાલ્ટ છે. જે જ્વાળામુખીના લાવામાંથી બને છે. આ ધૂળ ન તો દુર્લભ છે અને ન તો વિશેષ રૂપે મહત્ત્વપૂર્ણ.
જોકે, 'ઍનહાન્સ્ડ રૉક વેધરિંગ' નામની પ્રક્રિયા વડે તેનો ઉપયોગ અસહ્ય ગરમી તેમજ ગ્લોબલ વૉર્મિંગને પહોંચી વળવા માટે કરી શકાય છે.
યુનાઇટેડ નૅશન્સના વૈજ્ઞાનિકોનું સ્પષ્ટપણે માનવું છે કે હાલમાં સતત વધી રહેલી ગરમીથી બચવા માટે માત્ર ગ્રીનહાઉસ ગૅસ ઉત્સર્જન ઘટાડવું પૂરતું નથી.
તેઓ કહે છે કે થોડોક કાર્બન ડાયૉક્સાઇડ ઘટાડવાની જરૂરિયાત રહેશે. તેને સક્રિયપણે વાતાવરણની બહાર પહોંચાડવો પડશે.
આ માટે વૃક્ષારોપણ કરવું એ સૌથી કુદરતી વિકલ્પ છે, પરંતુ તેની પણ કેટલીક સીમાઓ છે. જેમ કે, જ્યારે પણ લાકડું સડી જાય છે અથવા તો સળગાવી દેવામાં આવે છે ત્યારે કાર્બન ડાયૉક્સાઇડનું ઉત્સર્જન થાય છે.
ડાયરેક્ટ ઍર કૅપ્ચર (ડીએસી) નામક પ્રક્રિયા યાંત્રિકરૂપે વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઇડને ખેંચીને જમીનમાં સંગ્રહે છે.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
આ એક રીતે સ્થાયી છે, પરંતુ જ્યારે આપણે 'ફૉસિલ ફ્યુલ' એટલે કે જિવાશ્મ બળતણથી દૂર જવાની વાત કરતાં હોઈએ ત્યારે આ કેટલું યોગ્ય હશે?
'ઍનહાન્સ્ડ રૉક વેધરિંગ' પ્રક્રિયા કુદરતી અને માનવીય પદ્ધતિઓનો સમન્વય છે. આ કુદરતી રીતે થનારી એકદમ ધીમી પ્રક્રિયાની મદદથી કાર્બનને ઝડપથી હઠાવવા માટે ટર્બોચાર્જ કરે છે.
‘મફતનું ખાતર’
હું જિમને મળવા માટે ઍડિનબર્ગથી ફર્થ ઑફ ફૉર્થસ્થિત એક ક્વૉરીમાં આવ્યો છું. અહીંની એક રૉક વેધરિંગ કંપની યુએનડીઓને તાજેતરમાં જ 12 મિલિયન પાઉન્ડનું રોકાણ પ્રાપ્ત થયું છે અને તેઓ પોતાનું સંચાલન વધારવાનું વિચારી રહ્યા છે.
જિમની કંપની માટે બેસાલ્ટના ખડકો અમૂલ્ય છે. તેઓ વરસાદની ઋતુમાં વાતાવરણમાંથી કાર્બન ડાયૉક્સાઇડને હઠાવવાનું કામ કરે છે.
સદીઓથી જ્વાળામુખીના લાવામાંથી બનેલા ખડકો વાતાવરણમાંથી કાર્બનને ધીમેધીમે હઠાવતા આવે છે.
રૉક વેધરિંગ પદ્ધતિ વરસાદ અને ખડકો વચ્ચેના સંપર્કનું પ્રમાણ વધારવા માટે નાના ટુકડાઓનો ઉપયોગ કરે છે અને એ રીતે વાતાવરણમાંથી કાર્બન દૂર થવાનું પ્રમાણ ઝડપી બને છે.
બેસાલ્ટને ખાણમાં ખડક તરીકે જ રાખવામાં આવે તો વાતાવરણમાંથી કાર્બનનું પ્રમાણ ઘટાડવાનું કામ ખૂબ ધીમે થાય છે. તેનો મહત્તમ ઉપયોગ થાય તે માટે તેને મોટા વિસ્તારમાં ફેલાવવાની જરૂર છે.
અને અહીં સ્થાનિક ખેડૂતો કામે લાગે છે. ખેતરમાં બેસાલ્ટનો ભૂક્કો (જેને જિમ 'જાદુઈ ધૂળ' ગણાવે છે) તેમના માટે મફત ખાતર જેવું છે.
ખેતરમાં બેસાલ્ટનો ઉપયોગ કરવાથી પાકની ઉપજ અને તેની ગુણવત્તા સુધરી હોવાનું સંશોધનમાં જાણવા મળ્યું છે.
ખાણથી ચાલીને અડધો કલાકનું અંતર કાપ્યા બાદ મને એક ખેતરમાં બેસાલ્ટ પથરાયેલું જોવા મળ્યું.
હું એ જોઈને પણ આશ્ચર્યચકિત થયો કે તેને ખેતરમાં નાખવા માટે કોઈ અલગ સાધનોની જરૂર નથી.
બિયારણ નાખવાં માટે વપરાતાં મશીન વડે પણ તેને ખેતરમાં પાથરી શકાય છે.
હું આગળ વધ્યો ત્યારે જ્હૉન લોગન નામક એક વ્યક્તિના ખેતરમાં બેસાલ્ટ પથરાઈ રહ્યું હતું.
તેમણે મને હસતાંહસતાં કહ્યું, " ખેડૂતો માટે સૌથી મહત્ત્વપૂર્ણ બાબત એ છે કે તે તદ્દન મફત છે."
તેમણે આગળ કહ્યું, "અમને લાગે છે કે તેના ઉપયોગથી અમારો પાક વધુ સારો બનશે. સાથે જ ઘાસની ગુણવત્તા પણ સુધરશે. જેથી અમારા પશુઓ પણ સારું ઘાસ ખાઈ શકશે."
તેના ગેરફાયદા પણ છે?
કેટલાક નિષ્ણાતો ચિંતા વ્યક્ત કરે છે કે આના જેવી કાર્બન દૂર કરવાની તકનીકો લોકોને ઉત્સર્જન ઘટાડવાની પ્રાથમિકતાથી વિચલિત કરી શકે છે અને આપણું કાર્બન સઘન જીવન યથાવત રહેશે.
જીપીએસ દ્વારા માર્ગદર્શિત ટ્રૅક્ટરને જોતાંજોતાં જિમ કહે છે, "કાર્બન ઘટાડવી એ જ પ્રાથમિકતા છે, પરંતુ આપણે આ તકનીકો વિકસાવવાની જરૂર છે જે વાતાવરણમાંથી મોટી સંખ્યામાં કાર્બનને દૂર કરી શકે."
જિમની કંપની 'અનડૂ'ના વૈજ્ઞાનિકોની ગણતરી મુજબ વાતાવરણમાંથી એક ટન કાર્બન ડાયૉક્સાઇડ દૂર કરવા માટે ચાર ટન બેસાલ્ટ ખડકોની જરૂર છે.
ઑક્સફર્ડ યુનિવર્સિટીના પ્રોફેસર ડૉ. સ્ટીવ સ્મિથ કહે છે કે આ પદ્ધતિને ખેતી સાથે જોડી શકાય છે.
તેમનું કહેવું છે, "ખોરાક અને પાક માટે આપણે જે રીતે જમીનનો ઉપયોગ કરીએ છીએ, વાતાવરણમાં કાર્બન ડાયૉક્સાઇડ ઘટાડવાના સંદર્ભમાં પણ તેનો ઉપયોગ કરી શકાય છે."
જિમ માન કહે છે, "હાલ એમાં કોઈ નુક્સાન નથી. તેમાં સામેલ દરેક લોકોની જીત છે."
આ વર્ષે તેમની કંપની 1,85,000 ટન બેસાલ્ટ ફેલાવવાનું આયોજન કરી રહી છે અને 2025 સુધીમાં તેમને એક મિલિયન ટન કાર્બન ડાયૉક્સાઇડ ઘટાડવાની આશા છે. ઉત્સર્જનની તુલનામાં તેઓ હજુ પણ સમુદ્રમાં એક ટીપાં સમાન છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન