અમિતાભ બચ્ચને વૈભવ સૂર્યવંશીનાં વખાણ કરતાં શું કહ્યું - ન્યૂઝ અપડેટ

પ્રકાશિત
વાંચવાનો સમય: 4 મિનિટ

બોલીવૂડ અભિનેતા અમિતાભ બચ્ચને શુક્રવાર મોડી રાત્રે એક ઍક્સ પોસ્ટમાં ક્રિકેટર વૈભવ સૂર્યવંશીનાં વખાણ કર્યાં છે.

અમિતાભ બચ્ચનેઍક્સ પોસ્ટમાં લખ્યું કે, "સૂર્યવંશી - 15 વર્ષની ઉંમરનો અદ્ભુત સૂર્યા. આ ઉંમરમાં તો અમે બંટા અને ગિલ્લીદંડો પણ સરખી રીતે નહોતા રમી શકતા."

પૂર્વ ક્રિકેટર યુવરાજ સિંહે એક ઍક્સ પોસ્ટમાં લખ્યું કે, "વૈભવ આટલી નાની ઉંમરમાં તાકાત અને પરિપક્વતા સાથે રમી રહ્યા છે. ભારતીય ક્રિકેટરના ભવિષ્ય માટે શાનદાર સંકેત છે."

ઉલ્લેખનીય છે કે શુક્રવારના રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે મૅચ રમાઈ હતી.

આ મૅચ ગુજરાત ટાઇટન્સે સાત વિકેટથી જીતી લીધી. આની સાથે જ રાજસ્થાન રૉયલ્સ આઈપીએલ 2026માંથી બહાર થઈ ગઈ.

વૈભવે 47 બૉલમાં 97 રન બનાવ્યા. તેમણે આ ઇનિંગમાં સાત સિક્સ ફટકારી હતી. આ ઇનિંગ દરમિયાન વૈભવ સૂર્યવંશીનો સ્ટ્રાઇક રેટ 200થી વધારે રહ્યો.

વીનેશ ફોગાટને એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં 53 કિલો વજન કૅટેગરીમાં રમવાની મંજૂરી

ભારતીય રેસલર વીનેશ ફોગાટને એશિયન ગેમ્સ ટ્રાયલ્સમાં મહિલાઓની 53 કિલો વજન કૅટેગરીમાં રમવાની મંજૂરી મળી ગઈ છે.

ન્યૂઝ એજન્સી પીટીઆઇ અનુસાર, અગાઉ ભારતીય કુસ્તી સંઘ (ડબલ્યુએફઆઇ)એ તેમને માત્ર 50 કિલોવર્ગમાં રમવાની મંજૂરી આપી હતી, પરંતુ બાદમાં તેનો નિર્ણય બદલી નાખ્યો.

રેસલર વીનેશ ફોગાટે આ નિર્ણયનો ભારે વિરોધ કર્યો હતો અને ફેડરેશન પર ભેદભાવનો આરોપ મૂક્યો હતો. તેમણે કહ્યું કે તેમને તેમની પસંદગીના વજનવર્ગમાં રમવાનો મોકો નથી અપાતો.

બાદમાં ડબલ્યુએફઆઇના અધ્યક્ષ સંજયસિંહે હસ્તક્ષેપ કર્યો અને વીનેશને 53 કિલોવર્ગની ટ્રાયલ્સમાં ઊતરવાની મંજૂરી આપી.

સંજયસિંહે કહ્યું, "અમે તેમને (વીનેશ) મંજૂરી આપી છે, કેમ કે તેમણે આરોપ મૂક્યા અને અધિકારીઓને તેમનું વજન માપવા માટે કહ્યું હતું. અમે કોઈની સાથે ભેદભાવ નથી કરવા માગતા. તેમણે એ ન કહ્યું કે એ કયા વર્ગમાં રમવા માગે છે, છતાં અમે તેમને તક આપી છે."

ઉલ્લેખનીય છે કે સુપ્રીમ કોર્ટે શુક્રવારે નિર્ણય સંભળાવ્યો હતો કે રેસલર વીનેશ ફોગાટ એશિયન ગેમ્સ 2026માં થનાર ટ્રાયલ્સમાં ભાગ લઈ શકે છે.

આઇપીએલ 2026: રિષભ પંતની કૅપ્ટનશિપ છોડવા પર લલિત મોદીએ કોને જવાબદાર ઠેરવ્યા?

આઇપીએલના પૂર્વ ચૅરમૅન લલિત મોદીએ રિષભ પંતની લખનૌ સુપર જાયટ્સની કૅપ્ટનશિપ છોડવા પર ફ્રેન્ચાઇઝીના માલિક સંજીવ ગોયનકાને જવાબદાર ઠરાવ્યા છે.

લલિત મોદીએ કહ્યું કે આ એલએસજી માટે દુખનો દિવસ છે, જ્યારે માલિકે એવી સ્થિતિ સર્જી દીધી છે કે એક ખેલાડીએ રાજીનામું આપવું પડ્યું.

લલિત મોદીએ ઍક્સ પોસ્ટમાં લખ્યું, "સંજીવ ગોયનકા મીડિયામાં વારંવાર કહે છે કે તેઓ રિષભ પંતને 10-15 વર્ષ સુધી ટીમમાં રાખશે, પરંતુ હકીકત એ છે કે આ યુવા ખેલાડી એક દિવસથી વધુ આ માલિકની ટીમમાં રહી શક્યો નથી, કેમ કે તેમને બધા સામે અપમાનિત થવું પડ્યું."

તેમણે વધુમાં કહ્યું, "હવે સવાલ એ થાય કે હરાજી બાદમાં પસંદ થયા બાદ શું ખેલાડી પાસે એ હક છે કે તેઓ એ ટીમ માટે રમવાની ના પાડી શકે, જેનો માહોલ ખરાબ થશે? જવાબ છે, ના. તો શું એ યોગ્ય છે કે એવા માલિક માટે રમવું પડે, જ્યાં માહોલ ખરાબ હોય. બિલકુલ નહીં."

લલિત મોદીએ આગળ લખ્યું કે "મારી પાસે આનું સમાધાન છે. ખેલાડીઓ પાસે 'ફરિયાદ બૉક્સ' હોવું જોઈએ, જ્યાં તેઓ ફરિયાદ કરી શકે. જો કોઈ માલિક ફરિયાદની તપાસમાં દોષી સાબિત થાય તો તેને ખેલાડીઓ સાથે વાતચીત પર પ્રતિબંધ મૂકવો જોઈએ. આવાં સખત પગલાં લેવાની જરૂર છે, જેથી ખેલાડીઓની માનસિક સ્થિતિ સુરક્ષિત રહે."

આઇપીએલ 2026માંથી લખનૌ સુપરજાયન્ટ્સ બહાર થઈ ગયા બાદ રિષભ પંતે કૅપ્ટનશિપ છોડી દીધી હતી, જેની પુષ્ટિ શુક્રવારે ટીમે ઍક્સ પર કરી હતી.

આઇપીએલ 2026માં લખનૌ સુપર જાયન્ટ્સે સતત ખરાબ પ્રદર્શન કર્યું હતું.

પંતને વર્ષ 2025ની હરાજીમાં એલએસજીએ 27 કરોડની કિંમત પર પોતાની ટીમમાં સામેલ કર્યા હતા.

ડોનાલ્ડ ટ્રમ્પે 'ઈરાન યુદ્ધ' પર બેઠક કરી

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના પ્રમુખ સલાહકારો સાથે ઈરાન યુદ્ધ પર બેઠક કરી છે. જોકે આ બેઠક બાદ અમેરિકાની આગળની રણનીતિ સ્પષ્ટ થઈ શકી નથી.

વ્હાઇટ હાઉસમાં શુક્રવારે સિચ્યુએશન રૂપમાં આ બેઠક થઈ હતી.

આ જગ્યાનો ઉપયોગ મોટાં સંકટોથી ઊગરવા સંબંધિત રણનીતિ ઘડવા કે ચર્ચા માટે થાય છે.

બેઠકની માહિતી આપતા વ્હાઇટ હાઉસના એક અધિકારીએ બીબીસીને માત્ર એટલું કહ્યું કે 'મીટિંગ પૂરી થઈ ગઈ છે.'

અધિકારીએ આ સિવાય કશી માહિતી આપી નહોતી.

વ્હાઇટ હાઉસના એક અધિકારીએ સીબીએસ ન્યૂઝને જણાવ્યું કે "રાષ્ટ્રપતિ ટ્રમ્પ માત્ર એ જ કરાર કરશે જે અમેરિકા માટે સારો હોય અને જેનાથી તેમની શરતો પૂરી થાય. ઈરાન ક્યારેય પરમાણુ હથિયાર ન રાખી શકે."

ઉલ્લેખનીય છે કે અગાઉ ગુરુવારે અમેરિકા અને ઈરાને એક પ્રાથમિક કરારનું ફ્રેમવર્ક તૈયાર કર્યું હતું. તેને "મેમોરેન્ડમ ઑફ અન્ડરસ્ટેન્ડિંગ" કહેવાય છે. પરંતુ આ કરાર ત્યારે જ પાક્કો થશે, જ્યારે ટ્રમ્પ પ્રશાસન અને ઈરાનની સરકાર તેને મંજૂરી આપે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન