ગુજરાતની છ નાની પાર્ટીઓને કરોડો રૂપિયાનું ફંડ કેમ મળ્યું?
'સત્યવાદી રક્ષક પાર્ટી'ના ગુજરાતના આણંદ શહેરમાં આવેલા કાર્યાલયની બહાર ઘોર અંધકાર છવાયેલો હતો. ફ્લૅટના દરવાજા પર તાળું લટકતું હતું અને આ ખરેખર પાર્ટીનું સત્તાવાર નોંધણી કરાયેલું કાર્યાલય છે એમ સૂચવતું કોઈ બોર્ડ તો ઠીક, પોસ્ટર સુધ્ધાં ત્યાં જોવા મળતું નહોતું.
આવી સ્થિતિ જોતાં માનવું મુશ્કેલ લાગે કે આ પાર્ટીને 2023-24માં રૂ. 330 કરોડનું દાન મળ્યું હતું. પાર્ટીના સત્તાવાર રેકૉર્ડ દર્શાવે છે કે આટલી મોટી રકમ પ્રાપ્ત થઈ હોવા છતાં, 2024ની લોકસભાની ચૂંટણીમાં આ પાર્ટીએ માત્ર એક ઉમેદવારને મેદાનમાં ઉતાર્યા હતા.
પાર્ટીના તે વર્ષના ઑડિટ અહેવાલ અનુસાર, તેણે પ્રચાર માટે રૂ. 8.48 કરોડ ખર્ચ્યા હતા અને "જનકલ્યાણ" માટે આશ્ચર્યજનક જણાય એટલા, રૂ. 316 કરોડ ખર્ચ્યા હતા.
બીબીસીને જાણવા મળ્યું કે પાર્ટીનાં પ્રમુખ સ્વાતીબહેન એ જ સંકુલમાં આવેલા એક ફ્લૅટમાં રહે છે, જ્યાં પાર્ટીનું રજિસ્ટર્ડ કાર્યાલય આવેલું છે. તેમની પાર્ટીને મળેલા દાન અને તેના ખર્ચ અંગે પૂછવામાં આવતાં સ્વાતીબહેને કહ્યું, "અમે આ નાણાં દાનમાં વાપર્યાં છે, પરંતુ તેનો હિસાબ જાળવ્યો નથી."
નાણાંના મામલે પારદર્શિતાના આ પ્રકારના દેખીતા અભાવનો મુદ્દો, છ નોંધાયેલા, પરંતુ અમાન્ય રાજકીય પક્ષો (રજિસ્ટર્ડ અનરેકગ્નાઇઝ્ડ પોલિટિકલ પાર્ટીઝ/આરયુપીપી) અંગેની બીબીસીની તપાસમાં જોવા મળ્યો હતો.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન



