ઈરાને અમેરિકા સામે મૂકી છ શરતો, હોર્મુઝને લઈને કડક સંકેત આપ્યા - ન્યૂઝ અપડેટ

ઈરાન, હોર્મુઝ સ્ટ્રેટ, બીબીસી ગુજરાતી

ઇમેજ સ્રોત, Stringer/Anadolu via Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાને હોર્મુઝ સ્ટ્રેટના મામલામાં કડક વલણના સંકેત આપ્યા છે, જે અમેરિકા સાથે સમજૂતીને લઈને આશંકા ઊભી કરે છે (પ્રતીકાત્મક તસવીર)
    • લેેખક, બીબીસી ન્યૂઝ ગુજરાતી
    • દ્વારા રિપોર્ટિંગ, નવી દિલ્હી
  • પ્રકાશિત
  • વાંચવાનો સમય: 3 મિનિટ

ઈરાનની સર્વોચ્ચ રાષ્ટ્રીય સુરક્ષા પરિષદના સચિવ મોહમ્મદ બગર જોલગાદ્રે કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટ ત્યાર સુધી નહીં ખૂલે જ્યાં સુધી અમેરિકા તેની છ માગો નહીં માની લે.

બીબીસી પર્શિયન અનુસાર, આ માગમાં ઈરાન પર લાગેલા પ્રતિબંધોમાં ઢીલ, યુદ્ધમાં થયેલા નુકસાનની ભરપાઈ, ઈરાની બંદરોની નોસૈનિક નાકાબંધી તરત હટાવવા, ઈરાન વિરુદ્ધ ધમકીઓ રોકવા અને દેશની જપ્ત સંપત્તિઓને મુક્ત કરવાની માગ સામેલ છે.

વિશ્લેષકો અનુસાર જોલગાદ્રે ઘણી હદ સુધી ઈરાનની પહેલાંની માગોને ઉચ્ચારી છે, પરંતુ આ વાતચીતમાં હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાનના કડક વલણના સંકેત મળે છે.

આ નિવેદન એવા સમયે આવ્યું છે જ્યારે ઈરાન અને ઓમાને હોર્મુઝથી જહાજોના પસાર થવા માટે નવી વ્યવસ્થા પર હાલની વાતચીતને "હકારાત્મક અને રચનાત્મક" ગણાવી છે.

ઈરાનના વિદેશ મંત્રી અબ્બાસ અરાગચીએ કહ્યું કે ઓમાન સાથે વાતચીત અંતિમ તબક્કામાં છે, પરંતુ તેમણે એ વાત પર ભાર મૂક્યો છે કે સમજૂતી પર પહોંચવાનો મતલબ હોર્મુઝ સ્ટ્રેટનું તરત ખૂલવું નથી અને આ જળમાર્ગનું ફરીથી ખૂલવું "અન્ય શરતોને આધીન" છે.

આની પહેલાં સમાચાર સંસ્થા રૉઇટર્સે એક અમેરિકન અધિકારીને ટાંકતા કહ્યું કે હોર્મુઝ સ્ટ્રેટને લઈને ઈરાન અને ઓમાન વચ્ચે વાતચીતમાં પ્રગતિ થઈ છે અને અમેરિકાને આશા છે કે જલ્દી જ એક સમજૂતી થઈ જશે.

અધિકારી અનુસાર, હોર્મુઝથી કૉમર્શિયલ જહાજો રોક-ટોક વિના પસાર થવાની ગૅરંટી આપતી સમજૂતીની ઘોષણા પછી અમેરિકા ઈરાની બંદરોની નાકાબંધી હટાવી લેશે.

અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો, IIT દિલ્હીના કાર્યક્રમમાં પીએમ મોદી સામે માથું નમાવવા કહેવામાં આવ્યું

અસદુદ્દીન ઓવૈસીએ આરોપ લગાવ્યો, આઈઆઈટી દિલ્હીના એક કાર્યક્રમમાં PM મોદી સમક્ષ નમન કરવાનું કહેવામાં આવ્યું

ઇમેજ સ્રોત, YT/@bjp

એઆઈએમઆઈએમના પ્રમુખ અસદુદ્દીન ઓવૈસીએ આઈઆઈટી દિલ્હીના કાર્યક્રમમાં પીએમ મોદીની હાજરી દરમિયાન 'કેટલીક સૂચનાઓ' અંગે પ્રશ્નો ઉઠાવ્યા છે.

બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

શનિવારે આઈઆઈટી દિલ્હીના દીક્ષાંત સમારોહમાં પીએમ મોદીને મુખ્ય મહેમાન તરીકે આમંત્રણ આપવામાં આવ્યું હતું.

પત્રકારો સાથે વાત કરતા ઓવૈસીએ આરોપ લગાવ્યો કે , "આઈઆઈટી દિલ્હીએ દીક્ષાંત સમારોહ માટે પીએમ મોદીને બોલાવ્યા હતા. પરંતુ મને દુઃખ છે કે મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ત્યાંના વિદ્યાર્થીઓને કહેવામાં આવ્યું હતું કે જ્યારે તેઓ પીએમને મળે ત્યારે તેઓએ કેટલી વાર ગરદન ઝુકાવવી જોઈએ."

ઓવૈસીએ આરોપ લગાવ્યો, "મીડિયાએ એવો પણ અહેવાલ આપ્યો છે કે વૈદિક મંત્રોનો પાઠ કરતી વખતે દરેક વ્યક્તિએ ઉભા રહેવું પડશે. ભારતના બંધારણમાં સ્પષ્ટપણે લખાયેલું છે કે સરકારી શૈક્ષણિક સંસ્થાઓમાં કોઈપણ ધાર્મિક બાબતો શીખવી શકાતી નથી અથવા ન આવું કઈ કરી શકાય."

અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું કે ભારતનું બંધારણ લોકોમાં વૈજ્ઞાનિક વિચારસરણીને પ્રોત્સાહન આપવાનું કહે છે, પરંતુ આ તેનાથી વિપરીત હતું.

પીએમ મોદીએ આઈઆઈટી દિલ્હીમાં પોતાના ભાષણ દરમિયાન બાબા બાગેશ્વરનો પણ ઉલ્લેખ કર્યો હતો, જેના પર અન્ય લોકો પ્રશ્નો ઉઠાવી રહ્યા છે.

પીએમ મોદીએ કહ્યું, "...આ કાર્યક્રમમાં બધા વિદ્યાર્થીઓ હાજર છે, પરંતુ તેમના મનના કોઈ ખૂણામાં કંઈક બીજું જ ચાલી રહ્યું હશે. હું બાબા બાગેશ્વર નથી, પણ કંઈક તો ચાલી રહ્યું હશે."

કેનેડાના જંગલમાં લાગેલી આગનું કદ બમણું થયું, હજારો લોકોએ ઘર છોડ્યા

કેનેડાના જંગલમાં લાગેલી આગનું કદ બમણું થયું, હજારો લોકોએ ઘર છોડ્યા

ઇમેજ સ્રોત, Reuters

પશ્ચિમ કેનેડાના એક અંતરિયાળ વિસ્તારમાં ઝડપથી ફેલાઈ રહેલી જંગલની આગનું કદ હવે બમણું થઈ ગયું છે, જેના કારણે હજારો લોકોને તેમના ઘર છોડવાની ફરજ પડી છે.

બીસી વાઇલ્ડફાયર સર્વિસ અનુસાર, બાલ્ડ રેન્જની આગ હવે બ્રિટિશ કોલંબિયાના સમરલેન્ડ અને ઓકાનાગન-સિમિલકામીન જિલ્લામાં 95 ચોરસ કિલોમીટરથી વધુ વિસ્તારમાં ફેલાઈ ગઈ છે.

ઓકાનાગન-સિમિલકામીન પ્રાદેશિક જિલ્લાના ઇમરજન્સી સેવા અધિકારી એરિક થૉમ્પસનએ જણાવ્યું હતું કે તેમણે આટલી ઝડપથી અને આટલા મોટા વિસ્તારમાં ફેલાયેલી આગ મેં ક્યારેય જોઈ નથી.

સ્થાનિક સમય મુજબ શનિવારે સવાર સુધી આ વિસ્તારમાં લાગેલી આગ પર કાબુ મેળવી શકાયો ન હતો.

લગભગ 12 હજાર જેટલી વસ્તી ધરાવતા સમરલેન્ડ જિલ્લાને ખાલી કરાવવાના આદેશો જાહેર કરવામાં આવ્યા છે. અધિકારીઓએ શનિવારે સવારે જણાવ્યું હતું કે સમગ્ર વિસ્તારમાં વીજળી પણ ગુલ થઈ ગઈ છે.

આસપાસના ઓકાનાગન, પીચલેન્ડ અને ઓકાનાગન-સિમિલકામીન જિલ્લાઓએ પણ કેટલાક વિસ્તારોમાં લોકોને સ્થળાંતર કરવાના આદેશો જાહેર કર્યા છે.

કેટલાક અન્ય વિસ્તારોમાં, લોકોને તેમના ઘર ખાલી કરવાની શક્યતા માટે તૈયાર રહેવા ચેતવણી આપવામાં આવી છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યુઝરુમનું પ્રકાશન