અભિષેક બેનરજી પર હુમલાના મામલામાં પાંચ લોકોની ધરપકડ, પોલીસે શું જણાવ્યું - ન્યૂઝ અપડેટ

ઇમેજ સ્રોત, ANI
કોલકાતાથી બીબીસી હિંદીના સહયોગી પત્રકાર પ્રભાકર મણિ તિવારીએ જણાવ્યું કે તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)ના સાંસદ અને પાર્ટીના મહાસચિવ અભિષેક બેનરજી પર થયેલા હુમલાના મામલામાં પોલીસે પાંચ લોકોની ધરપકડ કરી છે.
આ ઉપરાંત ત્રણ લોકોની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે. પોલીસના એક અધિકારીએ રવિવારે આ માહિતી આપી હતી.
પોલીસ અધિકારીએ જણાવ્યું કે પોલીસે ઘટનાને ધ્યાને લેતાં વિસ્તારના વીડિયો ફૂટેજની મદદથી આ લોકોની ધરપકડ કરી હતી. આ મામલામાં ધરપકડની સંખ્યા વધી શકે છે.
આ સમાચાર લખાય છે ત્યાં સુધી અભિષેક બેનરજી અથવા તૃણમૂલ કૉંગ્રેસ તરફથી આ મામલામાં પોલીસ સ્ટેશનમાં કોઈ ફરિયાદ નથી નોંધાવવામાં આવી.
પોલીસે કહ્યું કે ધરપકડ કરાયેલા લોકો સામે હુમલો કરવા, અવૈધ રીતે ભીડ ભેગી કરવા, રસ્તો રોકવા અને ગાળો દેવા જેવા આરોપોમાં કેસ નોંધવામાં આવી છે. આ લોકોને આજે સ્થાનિક કોર્ટમાં રજૂ કરવામાં આવશે.
આમ તો અભિષેક બેનરજી શનિવારના દક્ષિણ 24 પરગના જિલ્લાના સોનારપુરમાં ચૂંટણી બાદ હિંસામાં માર્યા ગયેલા તૃણમૂલ કૉંગ્રેસ કાર્યકર્તાના ઘરે જતા હતા. આ દરમિયાન તેમની પર હુમલો થયો હતો.
સોનારપુરથી અભિષેકને કોલકાતાના એક ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. પરંતુ પાર્ટીનો આરોપ હતો કે ત્યાં તેમની સારવાર ન થઈ શકી.
ત્યાર બાદ તેમને એક અન્ય ખાનગી હૉસ્પિટલમાં લઈ જવાયા હતા. ત્યાં મેડિકલ તપાસ બાદ અભિષેક બેનરજી ઘરે પાછા ફર્યા હતા.
End of સૌથી વધારે વંચાયેલા સમાચાર
તૃણમૂલ કૉંગ્રેસ કાલથી જ આ ઘટનામાં સામેલ આરોપીઓની ધરપકડની માગ કરી રહી હતી.
મમતા બેનરજીએ અભિષેક બેનરજી પરના હુમલા અંગે કહ્યું- 'જો તેણે હેલ્મેટ ન પહેર્યું હોત તો મરી જાત'

ઇમેજ સ્રોત, Samir Jana/Hindustan Times via Getty Images
તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો
વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ
Whatsapp કન્ટેન્ટ પૂર્ણ
તૃણમૂલ કૉંગ્રેસ (ટીએમસી)નાં વડાં અને પશ્ચિમ બંગાળનાં પૂર્વ મુખ્ય મંત્રી મમતા બેનરજીએ શનિવારે પાર્ટીના સાંસદ અભિષેક બેનરજી પર થયેલા હુમલા અંગે ચિંતા કરી હતી. તેમણે કહ્યું હતું કે જો અભિષેકને યોગ્ય સમયે હેલ્મેટ પહેરાવ્યું ન હોત, તો તેનું મોત થઈ શકતું હતું.
તેમણે દાવો કર્યો હતો કે પથ્થરમારો અને હુમલાને કારણે અભિષેકને છાતી અને પાંસળીમાં ઈજા થઈ હતી.
મમતા બેનરજીએ તંત્રની ભૂમિકા પર પણ સવાલ ઉઠાવ્યા અને કહ્યું હતું કે પોલીસને આ મુલાકાતની અગાઉથી જાણ હતી.
તેમણે કહ્યું હતું કે, "પોલીસને અભિષેકની મુલાકાતની અગાઉથી જાણ હતી. છતાં, સુરક્ષા વ્યવસ્થા અંગે પ્રશ્નો રહે છે."
તેમણે આરોપ લગાવ્યો હતો કે હિંસા ભડકાવવા માટે બહારના લોકોને લવાયા હતા. તેમણે કહ્યું હતું કે, "રાજકીય વિરોધનો અર્થ હિંસા ન હોવો જોઈએ. લોકશાહીમાં લોકોનું સમર્થન અને ચર્ચા જ રસ્તો હોવો જોઈએ, ભય કે દબાણ નહીં."
ઉલ્લેખનીય છે કે શનિવારે સોનારપુર વિસ્તારમાં અભિષેક બેનરજી પર હુમલો કરાયો હતો. ચૂંટણી પછીની હિંસાથી પ્રભાવિત પરિવારોને મળવા તેઓ આવ્યા હતા ત્યારે આ હુમલો થયો હતો.
અભિષેક બેનરજીએ આ ઘટના માટે ભાજપને દોષી ઠેરવ્યો છે, જ્યારે રાજ્યના ભાજપના નેતા અને કેન્દ્રીય મંત્રી સુકાંત મજુમદારે આ ઘટનાની નિંદા કરતા કહ્યું છે કે, "પશ્ચિમ બંગાળના લોકો ટીએમસીથી ગુસ્સે છે."
આરસીબી અને ગુજરાત ટાઇટન્સ વચ્ચેની ફાઇનલ મૅચ પહેલાં વિજય માલ્યાએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, TOLGA AKMEN/AFP via Getty Images
ડિફેન્ડિંગ ચૅમ્પિયન રૉયલ ચૅલેન્જર્સ બૅંગલુરુ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે આજે આઇપીએલ 2026ની ફાઇનલ આજે અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં રમાશે.
આરસીબી ક્વૉલિફાયર-1 જીતીને સતત બીજી વખત ફાઇનલમાં પહોંચી, જ્યારે ગુજરાત ટાઇટન્સે ક્વૉલિફાયર-2 જીતીને ફાઇનલમાં પ્રવેશ મેળવ્યો છે.
ફાઇનલ મૅચ પહેલાં આરસીબીના પૂર્વ માલિક વિજય માલ્યાએ ટીમને પ્રોત્સાહિત કરતા કહ્યું કે અમારા બૅંગલુરુ સિંહોએ આઇપીએલ ફાઇનલમાં પહોંચવા માટે સખત મહેનત કરી છે.
તેમણે રવિવારે સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "આરસીબી - અમારી મહાન સિંહોની ટીમ, આ તમારું વિજય તરફનું છેલ્લું પગલું છે જે તમે પહેલાંથી જ પ્રાપ્ત કરી ચૂક્યા છો."
"અમારા બૅંગલુરુ સિંહોએ આઇપીએલ ફાઇનલમાં પહોંચવા માટે સખત મહેનત કરી છે. હવે એક જોરદાર 'પ્લે બોલ્ડ' ગર્જનાથી ટ્રૉફી જીતો. શુભકામનાઓ, ભગવાન તમને આશીર્વાદ આપે. બૅંગલુરુના સિંહો પહેલાં કરતાં પણ વધુ જોરથી ગર્જના કરો."
નોંધનીય છે કે આ સિઝનમાં બંને ટીમો ત્રણ વખત આમનેસામને થઈ છે, જેમાં આરસીબીએ બે વખત જીત મેળવી છે અને ગુજરાતે એક વખત જીત મેળવી છે.
ભારતે પેટ્રોલ અને ડીઝલ પર નિકાસ ડ્યૂટી ઘટાડી

ઇમેજ સ્રોત, Nasir Kachroo/NurPhoto via Getty Images
ભારત સરકારે શનિવારે જાહેરાત કરી હતી કે 1 જૂનથી પેટ્રોલ, ડીઝલ અને એવિએશન ટર્બાઇન ફ્યુઅલ (એટીએફ) પર નિકાસ ડ્યૂટી ઘટાડવામાં આવશે.
સમાચાર એજન્સી રૉયટર્સ અનુસાર, પેટ્રોલ પર નિકાસ ડ્યુટી રૂપિયા 1.5 પ્રતિ લિટર નક્કી કરવામાં આવી છે, જ્યારે ડીઝલ પર રૂપિયા 13.5 પ્રતિ લિટર હશે. એટીએફ પર નિકાસ ડ્યૂટી રૂપિયા 9.5 પ્રતિ લિટર નક્કી કરાઈ છે.
દરો દર પખવાડિયે (બે અઠવાડિયાં) બદલાય છે. આ ફેરફારો ક્રૂડઑઇલ, પેટ્રોલ, ડીઝલ અને એટીએફના સરેરાશ વૈશ્વિક ભાવ પર આધારિત છે.
સરકાર સામાન્ય રીતે દર પખવાડિયે આંતરરાષ્ટ્રીય ઑઇલની કિંમતોની સમીક્ષા કરે છે અને તે મુજબ પેટ્રોલ, ડીઝલ અને એટીએફ પર નિકાસ ડ્યૂટી નક્કી કરે છે.
જોકે, સામાન્ય લોકો માટે ઉપલબ્ધ પેટ્રોલ અને ડીઝલ પર એ જ જૂનો કર લાદવામાં આવશે. ન તો નવા કર ઉમેરાયા છે કે ન તો ઘટાડો કરાયો છે.
નોંધનીય છે કે નિકાસ ડ્યૂટી એ કોઈ પણ સરકાર દ્વારા દેશની બહાર (અન્ય દેશોમાં) નિકાસ કરવામાં આવતા માલ પર લાદવામાં આવતો પરોક્ષ કર છે.
બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન






















