તરણેતરના મેળામાં 30 મિનિટમાં 28 લાડવા ખાઈને વિજેતા બનનાર વ્યક્તિએ શું કહ્યું?

વીડિયો કૅપ્શન, તરણેતરના મેળામાં અડધા કલાકમાં 28 લાડવા ખાઈને વિજેતા બનનાર કાકાએ શું કહ્યું?
તરણેતરના મેળામાં 30 મિનિટમાં 28 લાડવા ખાઈને વિજેતા બનનાર વ્યક્તિએ શું કહ્યું?
પ્રકાશિત

તરણેતરનો મેળો એ સુરેન્દ્રનગરના તરણેતરમાં દર વર્ષે યોજાતો ગુજરાતનો સૌથી જાણીતો લોકમેળો છે. પોતાની ભાતીગળ સંસ્કૃતિના કારણે આ મેળો વિશ્વવિખ્યાત છે.

ગુજરાતના પ્રસિદ્ધ તરણેતરના મેળામાં લાડવા ખાવાની સ્પર્ધા લોકોના આકર્ષણનું કેન્દ્ર બની હતી.

આ સ્પર્ધામાં 25થી 75 વર્ષની વયના કુલ 28 સ્પર્ધકોએ ભાગ લીધો હતો. 30 મિનિટ સુધી ચાલેલી આ રોમાંચક હરીફાઈમાં દાળ સાથે લાડુ ખાવાના હતા.

વીંછિયા તાલુકાના ઓરી ગામના બળવંતભાઈ રાઘવાણીએ 28 લાડવા ખાઈને સતત બીજી વાર વિજેતા બનવાનો ખિતાબ મેળવ્યો હતો. વિજેતા બળવંતભાઈને 2,000 રૂપિયાનું રોકડ પુરસ્કાર આપી સન્માનિત કરવામાં આવ્યા હતા.

30 મિનિટમાં દાળ સાથે બેસનના ખાંડવાળા લાડુ ખાવાની આ સ્પર્ધામાં શરૂઆતની 15 મિનિટમાં મોટા ભાગના સ્પર્ધકો સરેરાશ 15 લાડુ ખાઈને બહાર થઈ ગયા હતા.

ઉલ્લેખનીય છે કે ચોટીલાથી લગભગ 40 કિલોમીટર દૂર આવેલા તરણેતરનો મેળો ઐતિહાસિક, સામાજિક, સાંસ્કૃતિ અને આધ્યાત્મિક મહત્ત્વ ધરાવે છે. ભાદરવા સુદ ત્રીજથી છઠ દરમિયાન આ મેળો યોજાય છે.

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના થાન ખાતે આ મેળો યોજાય છે. લોકમેળાના કેન્દ્રમાં ત્રણ નેત્રવાળા ત્રિનેત્રેશ્વર મહાદેવનું મંદિર છે, જેમના નામ પરથી આ વિસ્તાર અને મેળાનાં નામ ઊતરી આવ્યાં છે.

જાણકારોના કહેવા મુજબ છેલ્લાં લગભગ 200-250 વર્ષથી મેળો યોજાતો હોવાનું મનાય છે, પરંતુ તેના વિશે ચોક્કસ તારીખ કે માહિતી નથી મળતી.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન