હોર્મુઝમાં તણાવ : ઈરાને ત્રણ માલવાહક જહાજો પર હુમલો કર્યો, બે કબજે કર્યાં

હોર્મુઝની સામુદ્રધુની, ઈરાન

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાન સાથે યુદ્ધવિરામ લંબાયા બાદ હોર્મુઝની સામુદ્રધુનીમાં ત્રણ કાર્ગો જહાજો પર હુમલો કરવામાં આવ્યો છે
વાંચવાનો સમય: 4 મિનિટ

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે યુદ્ધવિરામની સમયમર્યાદા લંબાવ્યા બાદ બુધવારે હોર્મુઝની સામુદ્રધુનીમાં ત્રણ કાર્ગો જહાજો પર હુમલો કરવામાં આવ્યો હતો અને ઈરાને બે જહાજો કબજે કર્યાં છે.

યુકે મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ સેન્ટર (યુકેએમટીઓ) અનુસાર, શરૂઆતમાં જહાજ પર ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (આઇઆરજીસી) દ્વારા ગોળીબાર કરાયો હતો.

ઈરાની મીડિયા અનુસાર, આઇઆરજીસીએ હોર્મુઝની સામુદ્રધુનીમાં ત્રણેય જહાજોને નિશાન બનાવ્યાં હતાં. આઇઆરજીસી સાથે જોડાયેલી ફાર્સ ન્યૂઝ એજન્સીનું કહેવું છે કે "યુફોરિયા" જહાજને નિશાન બનાવાયું હતું અને તે હવે ઈરાની કિનારા પાસે છે.

આઇઆરજીસીની નૌકાદળનું કહેવું છે, કાર્ગો જહાજોમાં એમએસસી ફ્રાન્સેસ્કા અને એપામિનોન્ડાસને "જપ્ત" કરવામાં આવ્યાં હતાં અને ઈરાની કિનારા તરફ વાળવામાં આવ્યાં હતાં. નૌકાદળનું કહેવું છે કે જહાજો "જરૂરી પરવાનગી વિના સંચાલન કરતાં હતાં અને નેવિગેશન સિસ્ટમ સાથે ચેડાં કરી રહ્યાં હતાં."

ટ્રમ્પે મંગળવારે રાત્રે કહ્યું હતું કે તેઓ યુદ્ધવિરામ લંબાવી રહ્યા છે, તેમજ અમેરિકા દ્વારા હોર્મુઝની સામુદ્રધુની પર નાકાબંધી ચાલુ છે, જેનો હેતુ પાકિસ્તાનમાં અમેરિકા સાથેની વાતચીત પહેલાં ઈરાન પર દબાણ લાવવાનો છે.

પરંતુ વાટાઘાટની સ્થિતિ હજુ પણ અસ્પષ્ટ છે. અમેરિકાના ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ મંગળવારે નિર્ધારિત સમય મુજબ પાકિસ્તાન ગયા ન હતા, જ્યારે ઈરાને હજુ સુધી ટ્રમ્પના નિવેદનનો સત્તાવાર રીતે જવાબ આપ્યો નથી.

ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બઘર ગાલિબાફના સલાહકારે કહ્યું કે યુદ્ધવિરામ લંબાવવાનો "કોઈ અર્થ નથી" અને તેને "અચાનક હુમલા કરવા માટે સમય મળી રહે તેવી ચાલ" ગણાવી.

મહદી મોહમ્મદીએ સોશિયલ મીડિયા પ્લૅટફૉર્મ ઍક્સ પર લખ્યું, "હારનાર પક્ષ શરતો નક્કી કરી શકતો નથી. ઘેરો ચાલુ રાખવો એ બૉમ્બમારાથી અલગ નથી અને તેનો સામનો લશ્કરી કાર્યવાહીથી થવો જોઈએ."

તેમણે લખ્યું, "ટ્રમ્પે અચાનક હુમલાની તૈયારી માટે યુદ્ધવિરામ લંબાવ્યો છે. હવે ઈરાન માટે પહેલ કરવાનો સમય છે."

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે 22 એપ્રિલે યુદ્ધવિરામ અનિશ્ચિત સમય માટે લંબાવ્યો હતો.

પહેલા જહાજ પર ગ્રીકનો ઝંડો હતો

યુકે મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ સેન્ટર અનુસાર, આઇઆરજીસીએ હોર્મુઝની સામુદ્રધુનીમાં એક કન્ટેનર જહાજ પર ગોળીબાર કર્યો હતો.

બ્રિટિશ રૉયલ નેવીના નેતૃત્વ હેઠળના યુકેએમટીઓએ જણાવ્યું હતું, આ ઘટના ઓમાનથી ઉત્તર-પૂર્વમાં 15 નોટિકલ માઈલ દૂર બની હતી.

બીબીસી વેરિફાઇ અનુસાર, એપામિનોન્ડાસ નામના આ જહાજ પર ગ્રીકનો ઝંડો લહેરાતો હતો.

અહેવાલમાં જણાવાયું છે કે આઇઆરજીસી ગનબોટ જહાજની નજીક આવી હતી, પરંતુ કોઈ રેડિયો ચેતવણી આપવામાં આવી ન હતી.

આ પછી ગનબોટે જહાજ પર ગોળીબાર કર્યો, જેના કારણે જહાજના નિયંત્રણ કેન્દ્રને ભારે નુકસાન થયું.

ઈરાની સમાચાર એજન્સીઓએ જણાવ્યું હતું કે જહાજે ઈરાની સૈન્યની ચેતવણીઓની "અવગણના" કરવામાં આવી હતી.

યુએઇ કંપનીની માલિકીના જહાજ પર બીજો હુમલો

હેલિકોપ્ટર, જહાજ, અમેરિકા, ઈરાન

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, હોર્મુઝની સામુદ્રધુનીમાં ઈરાની ગનબોટ્સ કાર્ગો જહાજોને રોકી રહી છે (પ્રતીકાત્મક તસવીર)

બીબીસી વેરિફાઇ અનુસાર, બુધવારે સવારે નિશાન બનાવવામાં આવેલું બીજું કાર્ગો જહાજ પનામાના ઝંડાવાળું હતું. આ જહાજનું નામ "યુફોરિયા" છે. તે યુએઇસ્થિત એક કંપનીનું છે.

કેપ્લરના એઆઇએસ ડેટા અનુસાર, જહાજે 22 એપ્રિલના રોજ ભારતીય સમય મુજબ સવારે 2:10 બીએસટી એટલે કે ભારતીય સમયાનુસાર 6:30 વાગ્યે હોર્મુઝની સામુદ્રધુનીમાંથી પસાર થવાનું શરૂ કર્યું.

યુકે મેરિટાઇમ ટ્રેડ ઑપરેશન્સ સેન્ટર અને વૅનગાર્ડના અહેવાલો અનુસાર, જહાજ પર હુમલો 7.38 બીએસટી એટલે કે ભારતીય સમય મુજબ બપોરે 12 વાગ્યાની આસપાસ ઈરાનથી લગભગ આઠ નોટિકલ માઈલ પશ્ચિમમાં કરવામાં આવ્યો હતો.

જહાજના કૅપ્ટને તેને રોકી દીધું. ક્રૂ સુરક્ષિત હોવાનું જાણવા મળ્યું છે અને જહાજને કોઈ નુકસાન થયું હોવાના અહેવાલ નથી.

આ બુધવારે સવારે ખાડીમાં નિશાન બનાવેલા બીજા જહાજની વાત છે.

ત્રીજા જહાજ પર પનામાનો ઝંડો

હેલિકોપ્ટર, જહાજ, અમેરિકા, ઈરાન

ઇમેજ સ્રોત, AFP via Getty Images

ઇમેજ કૅપ્શન, ઈરાની મીડિયા અનુસાર, એમએસસી ફ્રાન્સેસ્કાને જપ્ત કરવામાં આવ્યું છે અને તેને ઈરાની કિનારા તરફ જવાનો આદેશ આપવામાં આવ્યો છે

બીબીસી વેરિફાઇ અનુસાર, બુધવારે એક ત્રીજા કાર્ગો જહાજ પર પણ હુમલો કરાયો છે. આ માહિતી મેરિટાઇમ ઇન્ટેલિજન્સ કંપની વૅનગાર્ડે આપી છે.

આ જહાજ પર પનામાનો ઝંડો લાગેલો હતો. તેનું નામ છે એમએસસી ફ્રાન્સેસ્કા. તેને ઈરાનના તટથી અંદાજે છ નોટિકલ માઈલ દૂર નિશાન બનાવાયું હતું.

એ સમયે જહાજ હોર્મુઝ સામુદ્રધુનીનીથી નીકળીને ઓમાનની ખાડી તરફ જતું હતું.

વૅનગાર્ડ અનુસાર, એમએસસી ફ્રાન્સેસ્કાને આઇઆરજીસીએ રોક્યું અને "લંગર નાખવા" માટે કહ્યું.

અગાઉ બે ઈરાની જહાજ પર અમેરિકન નેવીનો કબજો

હેલિકોપ્ટર, જહાજ, અમેરિકા, ઈરાન

ઇમેજ સ્રોત, US Department of War

ઇમેજ કૅપ્શન, પેન્ટાગોન દ્વારા એક્સ પર પોસ્ટ કરાયેલ ફૂટેજનો ફોટો, જેમાં એક યુએસ હેલિકોપ્ટર જહાજ પર ઉતરતું દેખાય છે. અમેરિકાની નેવી દ્વારા જપ્ત કરાયેલ આ બીજું ઈરાની-સંબંધિત જહાજ છે.
બદલો Whatsapp
બીબીસી ન્યૂઝ ગુજરાતી હવે વૉટ્સઍપ પર

તમારા કામની સ્ટોરીઓ અને મહત્ત્વના સમાચારો હવે સીધા જ તમારા મોબાઇલમાં વૉટ્સઍપમાંથી વાંચો

વૉટ્સઍપ ચેનલ સાથે જોડાવ

Whatsapp કન્ટેન્ટ પૂર્ણ

ઇસ્લામાબાદથી દક્ષિણ એશિયન સંવાદદાતા અઝાદેહ મોશીરી અનુસાર, ઈરાની સૂત્રોએ જણાવ્યું કે તેમનું પ્રતિનિધિમંડળ વાતચીત માટે મંચ પર આવવા તૈયાર હતું, પરંતુ જેવું અમેરિકાએ ઈરાની ઝંડાવાળા માલવાહક જહાજ (ટુસ્કા) પર ગોળીબાર કર્યો કે "બધું બદલાઈ ગયું."

ઓમાનની ખાડીમાં આ હુમલો એવા સમયે થયો જ્યારે ઇસ્લામાબાદમાં શાંતિવાર્તાના બીજા તબક્કાની આશા રખાઈ રહી હતી.

વ્હાઇટ હાઉસને લાગ્યું હશે કે તેનાથી વાતચીત માટે ઈરાનીઓ પર દબાણ વધશે, પરંતુ તેના બદલે કોઈ પણ પ્રતિનિધિમંડળ ઇસ્લામાબાદ ન પહોંચ્યું અને ઈરાનની સેનાએ જવાબી કાર્યવાહી કરવાની વાત કરી છે.

બુધવારે સંઘર્ષવિરામ ખતમ થવાના થોડા સમય પહેલાં મંગળવારે પેંટાગને વધુ એક જહાજ કબજામાં લીધું હોવાનું નિવેદન કર્યું. પેંટાગન અનુસાર, અમેરિકન સેનાએ ઇન્ડો-પેસિફિક વિસ્તારમાં એક પ્રતિબંધિત ટૅન્કરને કબજામાં લીધું છે.

આ પગલું ઈરાનનું સમર્થન કરનારા "અવૈધ નેટવર્ક રોકવાના" પ્રયાસ હેઠળ લેવાયું હતું.

સોશિયલ મીડિયા ઍક્સ પર એક પોસ્ટમાં અમેરિકાના ડિપાર્ટમેન્ટ ઑફ વૉરે કહ્યું કે ટૅન્કરનું નામ એમ/ટી ટિફની છે અને તેના પર કોઈ ઝંડો નહોતો.

ઈરાને તેને 'સશસ્ત્ર લૂંટ' ગણાવી અને તેને સંઘર્ષવિરામનું ઉલ્લંઘન ગણાવ્યું. માનવામાં આવે છે કે ઈરાન આ કાર્ગો શિપને છોડવાની માગ કરી રહ્યું છે.

બીબીસી માટે કલેક્ટિવ ન્યૂઝરૂમનું પ્રકાશન