‘પેપર લીક મામલે ફાસ્ટ ટ્રૅક કોર્ટની જાહેરાત વિદ્યાર્થીઓની ક્રૂર મજાક છે’, પીએમ મોદીની જાહેરાત પર સીજેપીએ શું કહ્યું?

ઇમેજ સ્રોત, Getty Images
વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ જાહેરાત કરી હતી કે પેપર લીક કૌભાંડના દોષિતોને સજા આપવા માટે દેશમાં ફાસ્ટ ટ્રૅક કોર્ટની સ્થાપના કરવામાં આવશે.
પીએમ મોદીની જાહેરાતને ગૃહ મંત્રી અમિત શાહે વધાવી છે. તેમણે ઍક્સ પર પીએમ મોદીની જાહેરાતના ટ્વિટને શૅર કરતા લખ્યું, “યુવાનોનું હિત અને તેમનું ઉજ્જવળ ભવિષ્ય મોદી સરકારની સર્વોચ્ચ પ્રાથમિકતા પણ છે અને સંકલ્પ પણ. વડા પ્રધાન દ્વારા ફાસ્ટ ટ્રૅક કોર્ટના ગઠનથી પેપર લીકના કેસમાં દોષિતોની વિરુદ્ધમાં ઝડપી અને કઠોર કાર્યવાહીનો નિર્ણય આનું પ્રતિબિંબ છે. પેપર લીકના કારણે યુવાનોના ભવિષ્ય સાથે રમનારા વિરુદ્ધ વડા પ્રધાન નરેન્દ્ર મોદીનું આ પગલું માઇલસ્ટોન સાબિત થશે.”
તો બીજી તરફ, કૉક્રોચ જનતા પાર્ટીએ પીએમની જાહેરાત પર પ્રતિક્રિયા આપતા કહ્યું કે દેશમાં ફાસ્ટ ટ્રૅક કોર્ટનો અભાવ એ પેપર લીકનું કારણ નથી.
કૉક્રોચ જનતા પાર્ટીના રાષ્ટ્રીય પ્રવક્તા આશુતોષ રંકાએ કહ્યું, “ફાસ્ટ ટ્રૅક કોર્ટની જાહેરાત માત્ર ધ્યાન ભંગ કરવા જેવી છે. દેશના લાખો વિદ્યાર્થીઓનાં ભવિષ્ય સાથે આ ક્રૂર મજાક છે.”
તેમણે કહ્યું, “દેશમાં ફાસ્ટ ટ્રૅક કોર્ટ ન હોવાને કારણે પેપર લીક થઈ નથી રહ્યું પરંતુ ધર્મેન્દ્ર પ્રધાન બિનકાર્યક્ષમ હોવાથી આ ઘટનાઓ ઘટી રહી છે. ધર્મેન્દ્ર પ્રધાન પરીક્ષાઓ માટે સારી અને સુરક્ષિત વ્યવસ્થા બનાવવા માટે અયોગ્ય છે.”
કૉક્રોચ જનતા પાર્ટીએ સ્પષ્ટ કર્યું છે કે સરકાર જ્યાં સુધી અમારી માગ નહીં સ્વીકારે ત્યાં સુધી આંદોલન ચાલુ જ રહેશે.
તેમની માગણી આ પ્રમાણે છે.
1)ધર્મેન્દ્ર પ્રધાનનું રાજીનામું.
2)જે વિદ્યાર્થીઓએ આત્મહત્યા કરી છે તેમને માટે રાહત ભંડોળ.
3)શાંતિપૂર્વક પ્રદર્શન કરનારા સામે કાર્યવાહી કરનારાને સજા.
4)પ્રદર્શન કરતા વિદ્યાર્થીઓ સામે કોઈ ગુના નોંધવા ન જોઈએ.














